- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- વિવેકશક્તિની જન્મજાત બક્ષિસ ધરાવનાર માણસનો આત્મવંચક અંધાપો ખરેખર શરમજનક છે
''ભ લે મંત્રજાપની સંખ્યા ગણતા રહીને આ લોકો 'દિવ્યતા' અને 'મુક્તિ'ના પંથે, સારા માર્ગે જતા હોય તો ખોટું શું છે ? સ્વર્ગની લાલચ, નરકના ચિત્ર-વિચિત્ર ભય, કલ્પનાના બેફામ અને સ્વચ્છંદ વિહાર જેવી પૌરાણિક વાર્તાઓ દ્વારા પણ આ ટોળાંઓ અધ્યાત્મ તરફ, દિવ્યતા તરફ પ્રેરાતાં હોય તો ખોટું શું છે ?'' પ્રથમવાર સાંભળો ત્યારે ગળે ઊતરી જાય, તમને તમારો ભારે જોખમી ક્રાંતિકારી રસ્તો છોડી, યાંત્રિકતા અને ઘેટાં-પરંપરાને રસ્તે જોડાઈ જવાનું ક્ષણભર મન થઈ જાય એવી ચોટડૂક દલીલ છે, પણ જરા ઊંડા ઊતરો, આજ સુધી દુનિયાનાં તમામ ''ધર્મચુસ્ત'' ટોળાંઓએ શું ઉકાળ્યું છે એનો વિચાર કરો તો સ્પષ્ટ સમજાય કે યાંત્રિકતા દ્વારા દિવ્યતા તરફ જવાની વાત વિરાટ છેતરપિંડી છે, પ્રાચીનકાળથી ગણતરીપૂર્વક ચલાવાતું ઊંટવૈદું છે, શારીરિક ઊઠબેઠની કસરત દ્વારા કામચોરને કાર્યનિષ્ઠ બનાવવાની વાત છે, નાની બાળકીને સાડી પહેરાવીને યુવતી બનાવવાની વાત છે !
ના, મીરાંબાઈનાં કૃષ્ણભક્તિનાં ભજનો કરોડો વાર ગોખી, ગીનીઝ વિશ્વવિક્રમમાં નોંધ કરાવવા પછી પણ, કદાચ ભક્તિનો અંશ પણ પ્રગટ ન થાય, ને ''નમોસિદ્ધાણં''ના કરોડો જાપ કર્યા પછી પણ માણસ દુન્યવી સફળતાને જ સિદ્ધિ માનતો હોય, તો મોડે મોડે પણ ડાહ્યા માણસે જરા એકાંતમાં, અમૂલ્ય માનવજીવન વિષે જાગી જવું જોઈએ.
સાંપ્રદાયિક વફાદારી, એમાંથી પેદા થતું સર્વનાશી ઝનૂન માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે એના પુરાવા આપણે ચંગીઝખાનથી માંડી ન્યૂયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી લઈને કાશ્મીર સુધી જોયા છે. આ સર્વનાશી અને માનવ તરીકેની સ્વતંત્રતાને હણી નાખનાર ગાંડપણનાં મૂળમાં એક ''વિચાર'' રહેલો છે, એક ''માન્યતા'' રહેલી છે, જે વિચારોની તકલીફ સહન કરવાનાં એદી બહુમતી સમાજે બહુ સગવડભરી રીતે 'પહેરી' લીધી છે. આ વિચારો છે ''બાહ્ય પદ્ધતિઓ, ઉધારી થોપાયેલા વિચારો, સંસ્થાગત સરમુખત્યારી દ્વારા માણસને આંતરિક રીતે બદલી શકાય એવી જૂઠી માન્યતાઓ.'' પછી વસ્ત્રોની માફક માણસ ધર્મગ્રંન્થો, વસ્ત્રો, લેબલો, સાધુ સંસ્થાને પહેરતો થઈ જાય છે.
આજે હાલત એવી સર્જાઈ છે કે તમારી પાસે જો સન્નિષ્ઠ, સ્વતંત્ર, જીવંત ધબકારવાળું મૌલિક વ્યક્તિત્વ હોય, તો તમે આપણા કહેવાતા 'ધાર્મિક' મેળાવડાઓમાં ભયંકર ગૂંગળામણ અનુભવો. માણસ પાસેથી બધું ઝૂંટવી લેવામાં આવે તો પણ એ દેવાળિયો બનતો નથી, પણ લાંબી-ટૂંકી, ઓછીવત્તી, નાની મોટી મૌલિકતા જો ઝુંટવી લેવામાં આવે તો માણસજાત તરીકેનાં એનાં સમગ્ર અસ્તિત્વનું ખૂન થઈ જાય છે. ઘેટાં માટે ઘેટાંપણું શરમજનક નથી, પણ વિવેકશક્તિની જન્મજાત બક્ષિસ ધરાવનાર માણસનો આત્મવંચક અંધાપો ખરેખર શરમજનક છે.
એક ભાઈએ મોઢું ભારેખમ કરીને મને કહ્યું, ''હું તો ફલાણા મહારાજના અદ્વૈતવાદમાં માનું છું.'' શું ''અદ્વૈત''ની અનુભૂતિ કોઈ મહારાજ, કોઈ મંડળ, કોઈ પુસ્તક આપી શકે ? 'વીજળીને ચમકારે મોતી પરોવી લોરે પાનબાઈ' વાળી અનુભૂતિની ક્ષણ આ બુડથલોને ક્યાંથી સમજાય ?


