Get The App

ભોજનની ઉપેક્ષાથી ચરબી ઘટવાને બદલે વધે છે!

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
ભોજનની ઉપેક્ષાથી ચરબી ઘટવાને બદલે વધે છે! 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ક કડીને ભૂખ લાગવા છતાં ન જમો ત્યારે તમે ગર્વ અનુભવો છો કે તમે ઇચ્છાશક્તિને નાથી શકો છો, પણ વાસ્તવમાં તે સમયે તમને ખૂબ ભૂખ લાગી હોય છે. ''ભૂખ લાગી હોવા છતાં ભોજનની ઉપેક્ષા કરો તો તે તમારા લોહીમાંના શુગરના સ્તરને અસ્તવ્યસ્ત કરી નાખે છે.'' ન્યુ યોર્કની પ્રેસ્બેટેરિયન હોસ્પિટલના 'વેઇટ કંટ્રોલ'ના નિષ્ણાત મેક કેટ્રિક હકીકત સમજાવતા કહે છે, ''આ કારણે જ કદાચ તમે લાંબા સમય સુધી જમ્યા વિના રહો છો ત્યારે કંઈક અસ્વસ્થતા અનુભવાય છે અને કંટાળો પણ આવે છે.'' અટલે જ તમે ભોજન માટે બેસી જાઓ ત્યારે ભોજનનું સ્થળ કે ભોજન કર્યું છે તેની દરકાર કરવાનું તમે પસંદ નથી કરતા કારણ કે તમે ખૂબ ભૂખ્યા થઈ ગયા હો છો. તમે કેલરી અને અમાંય ખાસ કરીને પ્રોટીન કેલરી લેવાનું ખૂબ ઓછું કરો ત્યારે શરીર કેલરીને બાળવાના બદલે તેનો સંગ્રહ કરવા માટે વધુ સજાગ થઈ જાય છે અટલું જ નહીં કેલરી લેવાનું સાવ ઓછું થઈ જાય ત્યારે મસલ્સના કોષોને પોષણ મળવાનં પડી ભાંગે છે. આ મસલ્સ તમારા શરીરની ચયાપચય ક્રિયા માટે ચાવીરૂપ તો છે જ પણ તે તમારી કેલરી બાળવાની ક્રિયાને પણ વેગ આપે છે. વધુ મસલ્સ અટલું ચયાપચય ઝડપી અને શરીરની ચરબી ઓછી. તમારા શરીરને સમયાંતરે દરેક નાસ્તા અને ભોજન દરમિયાન શું મેળવતા રહેવાનું છે તેનું વ્યવસ્થિત આયોજન કરો. ભૂખ્યા રહેવાનું કદી ન વિચારો. સાથે સાથે દરેક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું ભોજન લો. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફેટ વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે.

અફીણનો રાજકીય ઉપયોગ 

અફીણનો રાજકારણમાં ખૂબ ઉપયોગ થયો છે. ચીનના સૈનિકોને અંગ્રેજાએ અફીણના બંધાણી બનાવ્યા. તેનો બદલો ૧૦૦ વર્ષ પછી ચીને વિયેતનામમાં લડતા અમેરિકાના સૈનિકોને અફીણના બંધાણી બનાવીને લીધો. ભારતમાં અંગ્રેજો સામે આસામના ડુંગરાળ પ્રદેશોમાં કોઈ વિરોધ ન કરે તે માટે આ ડુંગરાળ પ્રજાને અફીણની વ્યસની બનાવી હતી. અટલે જ ૧૯૨૪માં કોંગ્રેસ અધિવેશન વખતે ચાર્લ્સ ઍન્ડ્રુઝ નામના અંગ્રેજ વિચારકે અંગ્રેજોની અફીણનીતિની કડક ટીકા કરી હતી. અત્યારે પાકિસ્તાન સરકાર અફીણનું ઉત્પાદન ગેરકાનૂની રીતે વધારી રહી છે.

CAનો વ્યવસાય : યુરોપ-અમેરિકા અને આપણા દેશમાં 

યુરોપ-અમેરિકા અને ભારતના કલ્ચરમાં શો ફેર? મુરતિયા તરીકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને ગુજરાતી છોકરીઓ જલદીથી પસંદ કરી લે છે. ત્યારે યુરોપ-અમેરિકામાં કન્યાઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોને પુસ્તકના કીડા અને અનરોમેન્ટિક માને છે. કલ્ચરમાં આ ફેર છે. જોન શિપી નામના બ્રિટનના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનું શબ તેની સ્પેનિશ વિલામાં મોટરના બૂટમાં પડેલું મળ્યું. પોલીસે જાહેર કર્યું કે જાન શિપી ૪૭ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને તેમને સંખ્યાબંધ લફરાં છે અને ગર્લફ્રેન્ડો છે. આખી યુરોપિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સોસાયટી બરાડી ઊઠી કે અસંભવ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કોઈ દિવસ લફરાં કરતો નથી. તેને તો પોતાનો ધંધો પ્રિય છે. કહ્યાગરો કંથ છે. યુરોપ-અમેરિકામાં પ્રમુખ ક્લિન્ટન લફરાંબાજ હોય, તેના ચીફ જસ્ટિસ લફરાંબાજ હોય, ડૉક્ટરો હોય, પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તો હોય જ નહીં. યુરોપની કન્યાઓને કહ્યાગરા કંથ ગમતા જ નથી. સી.એ.ની આવી છાપ છે તેથી લંડનમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો માટે કન્યા શોધવા અક ખાસ અલગ મેરેજ બ્યુરો સ્થપાયો છે. અને તે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોને કન્યાઓ શોધી આપે છે.

બેકારી અને આધાશીશીનો રોગ

બ્રિટનની રોયલ કોલેજ આફ સાયકીઍટ્રિસ્ટ્સના ભારતીય માનસચિકિત્સક કહે છે કે બ્રિટનમાં જબરી આર્થિક મંદીનો ઇલાજ કરવા માટે ઘણી સ્ત્રીઓએ નોકરી શોધવી પડી છે. પણ પત્નીઓને જલદી નોકરી મળી જાય છે અને પતિ બેકાર થઈ જાય છે. આર્થિક મંદીનો ઇલાજ કરવા જતાં જુદો રોગ પેદા થયો છે. બેકાર બનેલા ઘણા પુરુષ દર્દીઓ આધાશીશીની ફરિયાદ લઈને આવે છે. ડૉ. નિદાન કરે છે કે આ પતિદેવોની પત્નીઓ ખૂબ કમાય છે એટલે તેઓ પત્નીઓ ઉપર શંકા કરે છે, અડધી રાતે જાગીને પત્નીનો ટેલિફોન તપાસે છે. આ ઇર્ષાળુ પતિદેવો પછી આધાશીશીથી પીડાય છે.

સિંહ વિશેની જાત-ભાતની માન્યતા

અલગ અલગ પ્રદેશના લોકો સિંહ વિશે ભાતભાતની માન્યતાઓ ધરાવે છે. આફ્રિકનો માને છે કે સિંહનું કલેજું ખાવાથી બહાદુરી મેળવી શકાય છે. એની ચામડી પરિધાન કરવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે અવી પણ આફ્રિકનોની માન્યતા છે. કલહરીમાં રહેતા આદિવાસી બુશમેન માને છે કે સંપૂર્ણપણે અંધારામાં શિકાર કરવાની ઇચ્છાને લીધે, સિંહ પોતાના પંજા વડે ચંદ્રને ઢાંકી દે છે એટલે ચંદ્રગ્રહણની ઘટના બને છે. સિંહો વિશેની માન્યતામાં મનુષ્યઅ પોતાની કલ્પનાના ઘણા રંગો ઉમેર્યા છે, જેના પરિણામે સિંહનું વ્યક્તિત્વ બેવડાં ધોરણોવાળું દેખાય છે. અક તરફ સિંહની ઉદારતા અને તેના રાજવીપણા અંગે પ્રવર્તતી માન્યતાઓ મુજબ, સિંહ અત્યંત ઉદાર, ન્યાયી, દયાળુ અને જરૂર વિના બળનો ઉપયોગ કરતો નથી. પહેલી સદીના પ્રકૃતિશાસ્ત્રી પ્લીનીએ આ બધા ગુણો ઉપરાંત સિંહનો એક વધારાનો ગુણ પણ દર્શાવ્યો હતો કે 'સિંહો મનુષ્યની પ્રાર્થના સમજી શકે છે.' મધ્યયુગમાં સિંહો માટે અવી માન્યતા પ્રચલિત હતી કે સિંહનું નવજાત બચ્ચું ત્રણ દિવસ સુધી મૃત અવસ્થામાં પડી રહે છે, પછી સિંહ તેમાં પ્રાણ ફૂંકે છે. આ ગેરમાન્યતાને લીધે, મધ્યયુગીન કળા અને સાહિત્યમાં સિંહને જિસસ ક્રાઇસ્ટના દૂતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

Tags :