ભગવાને માણસને પત્ર લખવો હોય તો તેનું સ્વરૂપ કેવું હોય?
- એક જ દે ચિનગારી-શશિન્
- કુદરત તમને ઝવેરી બનાવવા માગે છે. શરત એક જ: તમને 'હીરા' અને પથ્થર વચ્ચેનો ભેદ પારખતાં આવડવું જોઈએ
''શું ચાલે છે હમણાં ?'' રોજની ઘટમાળ ! નોકરીએ જવું થાય તેટલું કામ કરવું, ઘેર આવ્યા બાદ જમીને ટી.વી. જોવું અને દસ વાગતાં ઊંઘી જવું. મારી પાસે બીજો કોઈ કાર્યક્રમ નથી તો શું કરું ?
'અરે ભલા માણસ, હજી તો તમે પાંત્રીસના થયા, નિવૃત્ત માણસની જેમ વાતો કેમ કરો છો ?'
'એટલા માટે જિંદગીના મારા ધ્યેય વિશે મેં કદી વિચાર્યું જ નથી ! મૃત્યુ વિચારીને ચાલનારા કે વિચારીને નહીં ચાલનારાનો ભેદ જાણતું નથી !'
બે વ્યક્તિ વચ્ચેની વાતચીત. કદાચ આવો પ્રમાદી, ધ્યેયહીન અને અંદરથી સાવ ખાલી માણસ તમને મળ્યો હશે !
કેટલાક લોકોને મન જીવન એટલે કેવળ આરામ, કેટલાકને મન જીવન એટલે વિરામ. કેટલાકને મન તાપ તો કેટલાકને મન સંતાપ. કોઈ જીવનને ગતિ માને છે તો કોઈ કેવળ પડાવ. કેટલાક જીવી નાખે છે અને કેટલાક જીવનની પ્રત્યેક પળને માણે છે. જીવન ઉત્સવ પણ છે અને મહોત્સવ પણ. પરંતુ એક વાત નક્કી છે કે આ પૃથ્વી પર બોજ બનીને વિદાય થઈ જવાનો અવસર નથી જ નથી.
જિંદગીમાં એક સ્પષ્ટ ધ્યેયનું એક આગવું મહત્વ છે. એને કેન્દ્રમાં રાખીને તમે જીવન દેવતાની પ્રદક્ષિણા કરતા રહો તો કુદરત એટલી બધી કંજૂસ નથી કે તમારી ઝોળી ખાલી રહેવા દે, તમારું મન કરમાએલું રહેવા દે, તમારા ઉત્સાહ અને હિંમતનો અકાળે ખાત્મો બોલાવી દે.
કુદરત પાસે એક સુસ્પષ્ટ ધ્યેય છે. એક ઉત્તમ ફૂલ, એક ઉત્તમ તરુણ તથા એક મહાપુરુષ સર્જવામાં વર્ષોની જરૂર પડે છે તો યુગો ખર્ચવા માટે પણ તે તૈયાર છે. કુદરતની એ ધીરજમાંથી આ પૃથ્વીને પ્રાપ્ત થાય છે એક રામ, એક શ્રીકૃષ્ણ, એક મહમ્મદ, એક બુદ્ધ, એક મહાવીર, એક ગુરૂ નાનક, એક ઈસુખ્રિસ્ત, એક જરથુષ્ટ્ર, એક કોન્ફયૂશ્યસ, એક રામકૃષ્ણ પરમહંસ, એક સ્વામી વિવેકાનંદ. એક સોક્રેટિસ કે એક મહાત્મા ગાંધી. પોતે ઘડેલા સઘળા માનવીઓ 'મહાન' બની ન શક્યા એનો કુદરતને વસવસો નથી. ભગવાન પાસે સ્પષ્ટ ધ્યેય ઉપરાંત ધૈર્ય અને દ્રઢ સંકલ્પ છે. માનવ જાતને પરમાત્મા પૂછી રહ્યો છે: ''તમારે મારું 'સાધ્ય' બનવું છે ? તમને એ પસંદ ન હોય તો તમે તમારું સાધ્ય બનાવો. પણ નિસાસા નાખતા માણસ તરીકે ન જીવશો. ઉદાત્ત ધ્યેય સાથે ઉદાત્ત ચારિત્ર્ય જાળવી રાખવાનું ન ભૂલશો. કુદરત તમને ઝવેરી બનાવશે, શરત એક તમને હીરા અને પથ્થર વચ્ચેનો ભેદ પારખતાં આવડવું જોઈએ.''
ચાર્લ્સ સમ્નરને કોઈએ પૂછ્યું: સ્પષ્ટ ધ્યેયની સાથે જરૂરી એવી ત્રણ બાબતો કઈ ? ચાર્લ્સે જવાબ આપ્યો: એક દ્રઢતા, બે દ્રઢતા અને ત્રણ દ્રઢતા.
ગુલામોની આઝાદી માટે તીખા ને તમતમતા લેખો લખનાર ગેરીસન નીડર હતો. જ્યોર્જિયાના ગવર્નરે જાહેર કર્યું કે તેને સદેહે હાજર કરનારને પચાસ હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે. લોકોએ તક ઝડપી લેવાનો વિચાર કર્યો અને ગેરીસનને પકડીને ગવર્નરને સોંપી દીધો. ત્યારે પણ એણે ગુલામોના ઉદ્ધાર માટે લખવાનું કામ ચાલુ રાખ્યું. પોતાના સમાચાર પત્રના તંત્રી લેખમાં એણે લખ્યું: ''મારામાં મારા ગુલામ બાંધવો માટે પારાવાર લાગણી ઉભરાઈ રહી છે. હું એમના પ્રત્યે સમર્પિત રહીશ. હું દ્વિઅર્થી બોલીશ નહીં. હું માફી માગીશ નહીં અને મારું કહેવું સાંભળવામાં આવશે ત્યારે જ ઝંપીશ.'' ગેરીસનના આંગણામાં જ ફાંસીનો માંચડો તૈયાર કર્યો, ત્યારે પણ એ ડગ્યો નહીં. માણસ એ કેવળ 'જન' નથી, ઈશ્વરનો સ્વજન છે. માણસરૂપી સ્વજન પર ભગવાનને પત્ર લખવાનું મન થાય તો એ પત્ર કેવો હોય ? એની સરસ કલ્પના 'મનનો માળો'માં આઈ.કે. વીજળી વાળાએ 'ભગવાનને પત્ર' શીર્ષકથી રજૂ કરી છે તે આ મુજબ છે:
'તારીખઃ આજની જ.
પ્રતિઃ તમોને જ
વિષયઃ જિંદગી અને તમે'
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન, તમને આજે બે શબ્દો લખવા માગું છું. ધ્યાનથી વાંચજો.
આજે તમને તમારી જિંદગીના બધાં જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય એવો રસ્તો બતાવવાનો છું. એટલું યાદ રાખજો, મારે તમારી મદદની કોઈ પણ જગાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો નથી. તમારે માત્ર આ સાથે દર્શાવેલા મુદ્દા યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનું છે.
૧. જિંદગીમાં કોઈ એવી સમસ્યા ઉભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે, તો એને મારા નામની પ્રાર્થનાના બોક્સમાં મૂકી દેવી. એની ઉપર 'ભગવાન માટે' એવું અવશ્ય લખવું. એક વખત બોક્સમાં મૂક્યા પછી વારંવાર બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં.
૨. તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાઓ તો મુંઝવણ ન અનુભવશો. ફક્ત એવા માણસને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
૩. ટ્રાફિકમાં ક્યારેય ફસાઓ તો અધીરા ન બનશો. એવા લોકોને યાદ કરજો જેને માટે કાર ચલાવવી એ પરીકથા હોય.
૪. તમારા શેઠ કે તમારા સાહેબ તમારા પર ખિજાય તો એવા માણસનો વિચાર કરજો જેના નસીબમાં કામ કે નોકરી લખાયાં જ ન હોય.
૫. તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુઃખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું ભરણ પોષણ કરવા કપરી મજૂરી કરવી પડતી હોય. જેને એક પણ દિવસ રજાનો દિવસ ન હોય.
૬. ક્યારેક વાહન વગર ચાલવાનું મન થાય તો એનો અફસોસને બદલે બન્ને પગે જેને લકવો કે પેરાલિસિસ થયો હોય એવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું ય ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે, તેનો વિચાર કરજો.
૭. તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એનો વિચાર કદીયે આવે તો એવા લોકોને યાદ કરજો કે તમારી ઉમ્મરે પહોંચ્યા જ ન હોય અને મૃત્યુ જેને આંબી ગયું હોય !
૮. કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોવા મળે તો કેન્સરથી પીડાતાં એવા નાના બાળકો કે વ્યક્તિને યાદ કરજો કે જેઓ પોતાને વાળ હોય એવી આશા રાખીને બેઠાં હોય.
૯. કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે, તમને નુકસાન પહોંચાડે તો પણ એ વાતથી ખુશ થજો કે તમે એ વ્યક્તિ નથી.
અને છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાં-વહાલાંને મોકલજો. એમનો દિવસ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય એવું કરજો.
એજ લિ. ભગવાનની આશિષ