વાંસના ઝાડ વિશે તમે કેટલું જાણો છો?
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
વાં સને હવે માત્ર ઠાઠડી બાંધતી વખતે જ યાદ કરાય છે. વાંસનાં ઝાડ આંબા કરતાંય મોભાદાર છે. આંબો દસ વર્ષે કેરી આપે તો વાંસ ૩૦ વર્ષે, ૬૦ વર્ષે કે ૧૨૦ વર્ષે નવાં ફૂલ મૂકીને તેનાં બીજ આપે છે. વાંસ વિષે આપણું જ્ઞાન મર્યાદિત છે. વાંસના વૃક્ષનાં પાંદડાંમાં બીજા ઘાસ કરતાં ચાર ગણું પ્રોટીન હોય છે. તેનામાં સિલિકા ધાતુના અંશ હોઈ તે અત્યંત મજબૂત છે. હાઁગકાઁગની બહુમાળી ઇમારતો બાંધવા વાંસના માંચડા હજી કામે લેવાય છે. વાંસના માવામાંથી ઉત્તમ કાગળ પણ બને છે. વાંસની બીજી એક સરસ વાત. દરેક વાંસના વૃક્ષની અંદર એક આંતરિક ઘડિયાળ છે. ચીન, મલેશિયા કે ગુજરાત કે આસામના વાંસના રોપને તમે જગતના કોઈ પણ છેડે લઇને રોપી દો. બધા જ દેશોના વાંસના વૃક્ષ પર અક જ દિવસે ફૂલ ઊગશે. એક જ દિવસે બીજ ખીલીને ખેરવાઈ જશે અને કુદરતી રીતે એક જ દિવસે વાંસનું વૃક્ષ સુકાઈને ઢળી પડશે!
હીરાની દાણચોરી, કબૂતર દ્વારા!
સંદેશાના વહન માટે કબૂતરોનો ઉપયોગ કોઈ નવીનવાઇની વાત નથી. પરંતુ હીરાની હેરાફેરી માટે કબૂતરોનો ઉપયોગ કરવાનો આઇડિયા નવો તેમ જ સહેજ જોખમી પણ છે. છતાં દક્ષિણ આફ્રિકામાં અમુક લોકોએ હીરાની ગેરકાયદે હેરફેર માટે કબૂતરોનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઍલેક્ઝાંડરની ખાણમાં કામ કરતા બેચાર નહીં, પરંતુ પૂરા ૩૩ એવા કર્મચારીઓને પકડયા છે જે ચોરીના હીરા બીજા સ્થળે પહોંચાડવા માટે કબૂતરોનો ઉપયોગ કરતા હતા. હીરાની અમુક ખાણોમાંથી ચોરી થતી હોવાની ફરિયાદને આધારે પોલીસ છેલ્લા એક વર્ષથી ચોરને પકડવા માથાકૂટ કરી રહી હતી, પરંતુ નિર્દોષ કબૂતરોની મદદથી ચોરી થતી હોવાથી પોલીસ બિચારી અંધારામાં જ ફાંફા મારતી રહી. છેવટે તેમને ખબર પડી કે ડયુટી પૂરી કરીને બહાર નીકળતા ચોરો ખિસ્સામાં હીરા નહોતા લઈ આવતા, પરંતુ કાચા હીરાની પોટલીઓ કબૂતરોની ચાંચમાં ભરાવી દેતા હતા. પોલીસ સમક્ષ કુલ ૪૪ લાખ ૪૦ હજાર ડોલર્સના હીરા ગાયબ થયા હોવાની ફરિયાદ થયેલી. પોલીસનું માનવું છે કે તેમાંથી બે લાખ બાવીસ હજાર ડૉલર્સના હીરા પેલા ૩૩ કર્મચારીઓ દ્વારા ચોરાયા છે.
લસણ કઈ રીતે ખવાય?
લસણની આપણા દેશમાં હમણાં હમણાં કિંમત થવા માંડી છે પણ પરદેશમાં લસણની ભારે કિંમત છે. ઇજિપ્તના લોકો તો આજેય દાંત સડી ગયો હોય કે પેઢાં સડી ગયાં હોય ત્યારે લસણની પોલ્ટિસ (પોટલી) વાપરે છે. બ્રિટનમાં સફોલ્ક પ્રાંતના બુરીસેન્ટ એડમન્ડ્ઝ ગામે ગાર્લિક રિસર્ચ બ્યુરો નામની સંસ્થા છે. આ સંસ્થાના ડૉ. ડેવિડ રોઝરે બે વરસ સુધી લસણ પર સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે લસણમાંથી તૈયાર કરેલી ઔષધીથી તેમણે દાંતનો સડો, મરડો અને સડેલાં ઇંડાં થકી થતો સાલ્મોનેલાનો રોગ મટાડયો છે. હવે તેઓઅ લસણની દવા થકી આર્થરાઇટિસ મટે છે કે નહીં તેવું સંશોધન શરૂ કર્યું છે. તેઓ કહે છે કે લસણમાં ઍલિસીન નામનું તત્ત્વ છે જે લસણને છૂંદવાથી, કાપવાથી, કાચું ખાવાથી કે રાંધવાથી છુટું પડે છે અને જઠરમાંના ઍમિનો ઍસિડ અને પાચક રસાયણો છૂટાં કરે છે. શરત એટલી જ કે આ લસણ ખેતરમાં પકાવતી વખતે તેના છોડને રાસાયણિક ખાતર ન નાખવું જાઇએ. રાસાયણિક ખાતરવાળું લસણ ઊલટાનું નુકસાન કરે છે.
ચહેરાને બેડોળ કરતી બિમારી 'બેલ્સ પાલ્સી'
જો તમને ઓચિંતા જ તમારી એક આંખ બંધ કરવામાં તકલીફ પડવા માંડે, આંખોના પલકારા અસાધારણ બની જાય, એક આંખ સૂકી થઈ ગઈ હોય, કપાળ પર એ તરફ કરચલી પડતી ન હોય, બોલવામાં તકલીફ પડતી હોય, ચહેરાની એક તરફના સ્નાયુઓ અક્કડ થઈ ગયા હોય, તમને ખોરાક ચાવવામાં તકલીફ પડે અને હોઠ પર એક તરફ કરચલીઓ પડવા માંડે તો તમને 'બેલ્સ પાલ્સી' રોગ થયો હોવો જાઇએ. આ રોગને ચહેરાનો લકવો કહે છે. એમાં ચહેરાની એક તરફની નસો નબળી પડી જાય છે. એને કારણે તમારો ચહેરો એ તરફના હાવભાવ દર્શાવી શકતો નથી. ચહેરો કદરૂપો પણ બની જાય છે.
આમ તો આ રોગ બહુ જૂનો છે, પણ તે દર ૧૦,૦૦૦ લોકોમાંથી ચાર જણને થતો હોય છે. જોકે આજકાલ એના વધુ કિસ્સા સંભળાવા લાગ્યા છે. અમુક પ્રકારના વાયરલ હુમલાને કારણે ચહેરાની નસોને નુકસાન પહોચે છે. હરપીસ રોગ માટે જે વાયરસ જવાબદાર હોય છે તે જ બેલ્સ પાલ્સી માટે પણ જવાબદાર હોય છે એવું તબીબોનું માનવું છે. ચહેરાની દરેક નસ એ તરફના તમામ સ્નાયુઓનું નિયંત્રણ કરતી હોય છે. ઘણી વખત મગજની ગાંઠ દૂર કરવા માટેની સર્જરી કરાયા બાદ દરદીને ચહેરાનો લકવો લાગુ પડતો હોય છે અથવા અકસ્માતમાં ઇજા કે માનસિક આઘાત લાગવાને પગલે પણ આ લકવો લાગુ પડે છે.
ચિમ્પાન્ઝી વિશેનું રસપ્રદ સંશોધન
૧૯૬૦માં જેન ગુડાલે ચિમ્પાન્ઝીનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેને કહેવામાં આવેલું કે આમાં દસેક વર્ષ તો લાગી જશે. ત્યારે જેને વાતને હસી કાઢતાં કહેલું ઃ ''ના રે! ત્રણેક વર્ષ તો બહુ થઈ જશે.'' પણ અ કામ તો સાડા ત્રણ દાયકાથી પણ લાંબું ચાલ્યું. ટાન્ઝાનિયાના ગોમ્બે અભયારણ્યમાં કાસાકેલા અને મિતુમ્બા જૂથના ચિમ્પાનઝીઓને લગતો આ અભ્યાસ દુનિયામાં આજ સુધીમાં પ્રાણી વિશે હાથ ધરાયેલો સૌથી લાંબો ફીલ્ડ સ્ટડી છે. ચિમ્પાન્ઝીને લગતા આ સુદીર્ઘ અભ્યાસનું હાર્દ એક જ શબ્દમાં આવી જાય છે ઃ 'ધીરજ.' ગુડાલ કહે છે ઃ 'જો હું અને મારા સાથીદારો એક દાયકાના સંશોધન પછી અટકી ગયાં હોત તો મારા મનમાં એવી જ છાપ રહી ગઈ હોત કે ચિમ્પાન્ઝી બહુ શાંત અને ભલા હોય છે.'' દાયકાઓ સુધી સંશોધન ચાલુ રાખવાને કારણે ગુડાલને સમજાયું છે કે ચિમ્પાન્ઝીઓમાં પણ માણસની માફક બિનજરૂરી હિંસા તથા ગંદું રાજકારણ હોય છે. માણસની જેમ ચિમ્પાન્ઝીને પણ પોલિયો થાય છે. માણસને સૌથી વધુ મળતું આવતું પ્રાણી ચિમ્પાન્ઝી છે. બન્નેના જનીનિક બંધારણમાં ૯૮ ટકા સામ્ય છે. પેટનો દુખાવો મટાડવામાં તથા પેટમાંના કૃમિમાંથી છુટકારો મેળવવામાં એસ્પિલિયા નામના એક છોડના પાંદડાં ઉપયોગી થાય છે એ વાતની ચિમ્પાન્ઝીઓને ખબર હોવાનું જાણવા મળ્યું. અમુક ચિમ્પાન્ઝી પેટની તકલીફ વખતે આ પાંદડાં આરોગતા જોવા મળ્યા.