શુભ લાગણીના છ ફાયદા ક્યા?
- એક જ દે ચિનગારી-શશિન્
- ઈશ્વર જેની ઉપર રીઝે તેને ત્રણ પ્રકારનો સ્વભાવ આપે છે :
૧. નદી જેવી દાનશીલતા.
૨. સૂરજ જેવી ઉદાત્તતા
૩. પૃથ્વી જેવી સહનશીલતા
જી વનમાં લાગણીનું તત્વ ન હોત તો જીવન લીલું છમ રહેવાને બદલે કોરું ધાકોર રહેત. શુભ લાગણીના ૬ ફાયદા ક્યા ?
૧. આંતરિક ભિનાશ.
૨. નિખાલસતા
૩. નમ્રતા.
૪. સંબંધની કદર
૫. વફાદારી
૬. ઋણ અદાકરવાની ભાવના
માણસ આખરે માણસ છે. એ ક્યારે કેમ વર્તશે એની ગેરન્ટી કોઈ ન આપી શકે, માણસ ખુદ પોતે પણ નહીં. કારણ કે માણસ સ્વભાવની મર્યાદાથી બંધાયેલો છે. સ્વભાવ નફરત પણ કરાવી શકો અને મહોબ્બત પણ ક્ષમા પણ દાખવી શકે, અને વેરની વસૂલાત માટે ઉશ્કેરી પણ શકે. લાગણીના પ્રવાહમાં આવી મહાન ત્યાગ પણ કરી શકે અને જીવનનું બલિદાન પણ આપી શકે. ભગતસિંહ અને તેમના સાથીઓએ દેશપ્રેમની ઉદાત્ત લાગણીને વશ થઈ ફાંસીને માંચડે લટકી જવાનું પસંદ કર્યું હતું.
લાગણી એટલે અંતરમાં થતી સારી-માઠી અસર, મનોવૃત્તિ, ભાવના, ડંખ, દાઝ મનમાં ખૂંપીને પ્રેમ, વાત્સલ્ય, દયા, સમભાવ, વગેરે સંબંધી અસર કરનારો વિચાર, વેદના, ભાવ વૃત્તિ, કવિ નર્મદ હંમેશા મનમાં આવતા મોટા પ્રશ્નો વિચારવા જેવા લાગે તે ભીંત પર નોંધતા. અને મિત્રો ભેગા થાય ત્યારે એ પ્રશ્નોની ચર્ચા ઉપાડવામાં આવતી. આજે લાગણી શબ્દ અતિપ્રચલિત થઈ ગયો છે. આ શબ્દ વાપરવાનું માન કવિ-સમાજ સુધારક નર્મદ એટલે કે નર્મદાશંકરને ફાળે જાય છે.
લાગણીઘેલું એટલે આવેશ ભર્યું, જેનામાં મુખ્ય ભાવ વધારે વેગથી પ્રગટ થાય તેવું ભાવપ્રધાન. લાગણીવાળું એટલે તીવ્ર લાગણી ધરાવનાર. એનાથી વિપરીત લાગણીશૂન્ય એટલે જડ, લાગણીવગરનું પ્રસન્નિકા કોશમાં લાગણી વિશે 'ઈમોશન' શબ્દ પ્રયુક્ત કરવામાં આવ્યો છે. શ્રી બંસીધરભાઈ શુકલના મતાનુસાર માણસને ક્રોધ ચડે છે આનંદ થાય છે શોક થાય છે, ભય લાગે છે. આ બધી મનની લાગણીઓ છે. તેમને આવેગો પણ કહે છે. તે ઘણું ખરું મોં ઉપર વિશેષ હાવભાવરૂપે પ્રગટ થાય છે. મગજમાં શું ચાલે છે તે જાણવું અધરું. એક ક્ષણમાં માણસ મહોબ્બતના દરિયામાં ખેંચાવા લાગે અને બીજી જ ક્ષણે લાગમી વિરુધ્ધનું કારણ મળતાં મહોબ્બત નફરતમાં પરિણામે લાગણીએ મનની પ્રતિક્રિયા છે. કંઈક જોઈનો સાંભળીને, સ્પર્શીને, એટલું જ નહીં. મનમાં કેવળ વિચાર આવવાથી પણ લાગણી ઉદ્દભવે છે લાગણી અનુસાર મન અને શરીર વિશેષ અનુભવ કરે છે. લાગણી મોટા ભાગે થોડીક ક્ષણો માટે ટકે છે. તે લાંબો સમય રહે તો તે મનોદશા કે ચિત્તવૃત્તિ કહેવાય છે.
જ્યારે આસપાસ બધું સામાન્ય અને સ્વાભાવિક લાગતું હોય તેવે સમયે કંઈક અસામાન્ય અને વિક્ષેપકારી બને ત્યારે મનની ઊંડે રહેલું અવચેતન કે અજ્ઞાાન મન પ્રતિક્રિયા કરે છે. યકૃત વિશેષ અંત:સ્રાવ કરે છે. હ્ય્દયના ધબકારા વધી જાય છે. લોહીમાં આગર વધે છે. શ્વસન ક્રિયા ઝડપી બને છે. જ્ઞાાત મન આ ફેરફારો અનુભવે તેથી પ્રતિક્રિયા કરે છે. માણસની પ્રકૃતિ, વિવેક અને સ્મૃતિ અનુસાર આ પ્રતિક્રિયા ઉગ્ર અને સામાન્ય હોય છે. લાગણીમાંથી ચિંતા ઉદ્દભવે છે. સાચા ભય સામે લાગણી સુરક્ષાના ઉપાયો યોજવા પ્રેરે છે. અતિ લાગણીશીલતા માનસિક રોગનું કારણ પણ બની શકે છે. કેળવાયેલા લોકોના મનની પ્રતિક્રિયા મંદ હોય છે. જ્યારે પ્રાકૃત મનવાળાની ઉગ્ર હોય છે. પુરુષો લાગણીઓ ઢાંકવા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ તે પ્રગટપણે કહી દે છે. આથી સ્ત્રીઓ લાગણીઓના માઠા પરિણામો સામે સુરક્ષિત રહે છે.
લાગણી એ ઉત્તમ ગુણ પણ અતિ લાગણીશીલતા એ મનને કાબૂમાં રાખવાનો વિષય. 'અતિ' લાગણીશીલતાથી માણસે બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાવાવેશમાં દુપાત્રને લાગણીનું દાન કરવું એ અપરાધ છે. એ વાત પણ સંસારધર્મમાં વિચારવી જ રહી કે આંધળો પરોપકાર, દુપાત્ર પ્રત્યે કરુણા અને જ્યાં વિચારપૂર્વક સ્વસ્થ રીતે નિર્ણય કરવાનો હોય ત્યાં વધુ પડતી લાગણીશીલતાના પ્રવાહમાં તણાઈ ઔચિત્યનું બલિદાન કોઈ રીતે ક્ષમ્ય ન ગણાય. સંસારી માટે આવું માનસિક નિયમન જરૂરી છે. સંતોની વાત આનાથી જુદા પ્રકારની વર્તણૂકને વરેલી હોય છે. પરોપકારી લોકો આનંદની તલાશ અંદર કરે છે. જ્યારે વ્યવહારૂઓ એને બહારથી શોધે છે. લાગણીશૂન્ય જડ માનસવાળા લોકો એ વાત સ્વીકારવા તૈયાર જ નથી હોતા કે વહેંચવાથી આનંદ બેવડાય છે. શુભ લાગણી પણ ઉકરડે ન જ ઢોળી શકાય.
લાગણીશીલતા ભોટત્વનો પર્યાય સિધ્ધ થાય એટલી હદ સુધી લાગણીશીલતાને વકરવા દેવાનું ઉચિત નથી જ. તથાગત