Magazines

'બ્લડ મની' : સજા માફીની કિંમત

By GS TEAM
16 Jun 20267 mins read
'બ્લડ મની' : સજા માફીની કિંમત

- 20 વર્ષથી જેલમાં સજા કાપી રહેલ અને ફાંસીનો માંચડો જેમના માટે તૈયાર જ હતો તેવા કેરળના અબ્દુલ રહીમને બ્લડ મનીના  રૃા. ૩૪ કરોડ આપીને સાઉદી અરેબીયાથી પરત લવાયા

- વિવિધા-ભવેન કચ્છી

- અબ્દુલ રહીમ

- કેરળમાં કરોડપતિ વેપારી બોબી ચેમ્મનુરે પોતે એક કરોડ રુપિયા આપ્યા અને ખભે થેલો ભરાવી જાહેર માર્ગ પર અને શેરીઓમાં અબ્દુલ રહીમ માટે રકમ એકત્રિત કરવા ફર્યા

કે રળના કોઝિકોડના રહેવાસી અબ્દુલ રહીમ, છ ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તે  પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટોરિક્ષા અને સ્કૂલ બસ ચલાવતા હતા. વર્ષ ૨૦૦૬માં, તેમને સાઉદી અરેબિયાના અલ-શાહરી પરિવારમાં હાઉસ ડ્રાઈવર તરીકે કામ કરવાની તક મળી અને તેઓ ત્યાં જવા રવાના થયા.

દિવ્યાંગ કિશોરની કાળજી 

જો કે, ટૂંક સમયમાં જ તેમની ફરજો બદલાઈ ગઈ અને તેમને તેમના માલિકના ૧૬ વર્ષના સાઉદી પુત્રની સંભાળ રાખવાનું કામ સોંપવામાં આવ્યું, જે શારીરિક રીતે અક્ષમ હતો અને શ્વાસ લેવાના ઉપકરણ (લાઇફ સપોર્ટ) પર નિર્ભર હતો.

 તે કિશોરની સંભાળ રાખવાનું શરૂ કર્યાને હજી એક મહિનો પણ નહોતો થયો, ત્યાં એક દિવસ તેઓ કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં  રેડ ટ્રાફિક લાઈટ આવી. એવું કહેવાય છે કે તે છોકરાએ રહીમ પર રેડ લાઈટ ક્રોસ કરવા (સિગ્નલ તોડવા) માટે દબાણ કર્યું, પણ રહીમે ના પાડી દીધી.આ કારણે દિવ્યાંગ કિશોર આક્રમક બન્યો. બંને વચ્ચે ઝપાઝપી થઈ અને તે અફરાતફરી દરમિયાન, અબ્દુલ રહીમથી અજાણતામાં છોકરાનું લાઇફ સપોર્ટ મશીન ડિસ્કનેક્ટ થઈ ગયું. છોકરો બેભાન થઈ ગયો, જેના કારણે અબ્દુલ  રહીમ ગભરાઈ ગયા.હોસ્પિટલમાં પહોંચવામાં પણ મોડું થયું. તેઓ છોકરાને તબીબી સારવાર ન અપાવી શક્યા, જેના કારણે તે કિશોરનું અવસાન થયું.ઘટના બની પછી થોડા જ દિવસો પછી (૨૦૦૬માં જ)અબ્દુલ રહીમને જેલમાં પુરી દેવામાં આવ્યા ને દરમ્યાન કોર્ટમાં તેમનો કેસ ચાલ્યો.

વર્ષ ૨૦૧૧માં સાઉદીની એક કોર્ટે ૨૬ વર્ષના રહીમને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારી. આ પછી એક લાંબી કાનૂની લડાઈ શરૂ થઈ, જેમાં એક પછી એક તમામ કોર્ટે રહીમની ફાંસીની સજાને યથાવત રાખી. ફાંસી આપવામાં કાનુની વિલંબ થતો રહ્યો અને ફાંસી માટેનું વેઇટિંગ લિસ્ટ પણ લાબુ હતું.

આશાનું કિરણ 

જો કે,  વર્ષ૨૦૨૩માં રહીમને આશાનું એક કિરણ દેખાયું, જ્યારે તેમના વકીલો અને શુભેચ્છકો તે મૃતક છોકરાના પરિવારને મધ્યસ્થતા (સમજુતી)ના ટેબલ પર લાવવામાં સફળ રહ્યા. મહિનાઓ પછી, ૨૦૨૪માં, છોકરાના પરિવારે બ્લડ મની (જેને 'દિયા' તરીકે ઓળખવામાં આવે છે) ના બદલામાં રહીમને માફ કરવા સંમતિ આપી, જેની રકમ ૧૫ મિલિયન સાઉદી રિયાલ (આશરે રૂ. ૩૪ કરોડ) નક્કી થઈ.

રહીમનો પરિવાર આટલી મોટી રકમ એકઠી કરવા સક્ષમ ન હોવાથી, ફંડ એકઠું કરવા માટે એક નવી સમિતિની રચના સાથે ભંડોળ એકત્ર કરવાનું (ક્રાઉડફંડિંગ) એક મોટું અભિયાન શરૂ થયું.

આ ક્રાઉડફંડિંગને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે 'સ્પાઇનકોડ્સ' નામની ત્રણ સભ્યોની સોફ્ટવેર સ્ટાર્ટ-અપ ટીમે એન્ડ્રોઇડ અને એપલ ફોન માટે 'સેવ અબ્દુલ રહીમ'  એપ બનાવી, જેથી દુનિયાભરના લોકો આસાનીથી દાન આપી શકે.

લક્ષ્યાંક પાર 

૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ આ લક્ષ્ય હાંસલ થઈ ગયું, જ્યારે સમગ્ર વિશ્વમાંથી લોકોએ આ અભિયાનમાં મોટા પાયે યોગદાન આપીને આશ્ચર્યજનક રીતે રૂ. ૩૫.૪૫ કરોડ એકઠા કરી લીધા.

અલ-શાહરી પરિવારે બ્લડ મની સ્વીકારી લેતાં, સાઉદી કોર્ટે જુલાઈ ૨૦૨૪માં રહીમની ફાંસીની સજા રદ કરી દીધી. જો કે, સત્તાવાળાઓએ રહીમને ૨૦ વર્ષ જેલમાં રાખવાનો આદેશ આપ્યો, જે સજા આ વર્ષે ૨૦ મેના રોજ આખરે પૂર્ણ થઈ.

ગયા મહિને બકરી ઈદના દિવસે જ અબ્દુલ રહીમ ૨૦ વર્ષની જેલ ભોગવ્યા પછી કેરળમાં તેના વતનમાં પરત આવ્યા. ભારતની જ નહીં સાઉદી અરેબીયાના ઇતિહાસનો આ સૌથી વધુ 'બ્લડ મની' રકમનું કાનુની રાહનું સમાધાન છે જે રકમ ક્રાઉડ ફન્ડિંગથી એકત્રિત થઈ હોય.

જાણે જન આંદોલન 

અબ્દુલ રહીમને બચાવવા માટેના આ ઐતિહાસિક ક્રાઉડ ફન્ડિંગ અભિયાનમાં કોઈ એક વ્યક્તિગત દાતા તરીકે સૌથી મોટી એક કરોડ રૂપિયા જેટલી રકમ  કેરળના જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી બોબી ચેમ્મનુર  દ્વારા  આપવામાં આવી હતી. એટલું જ નહીં તેઓને જ્યારે આટલી મોટી રકમ એકત્ર કરવી અશક્ય લાગતી હતી, ત્યારે બોબી ચેમ્મનુરે પોતે કેરળમાં તિરુવનંતપુરમથી કાસરગોડ સુધીની યાત્રા કરી હતી. તેઓ હાથમાં 'ભિક્ષાપાત્ર' (ઝોળી) લઈને રસ્તાઓ પર, બસોમાં અને જાહેર સ્થળોએ સામાન્ય લોકો પાસે અબ્દુલ રહીમ માટે મદદ માંગવા નીકળ્યા હતા. અખાતી દેશોના ધનિકોએ પણ રકમ આપી.

રૃા.૩૪ કરોડમાંથી આશરે રૃા.૩૦ કરોડથી વધુની રકમ તો કેરળના સામાન્ય મજૂરો, ઓટો રિક્ષા ચાલકો, ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોએ રૃા.૧૦, ૫૦ કે ૧૦૦ જેવું નાનું-નાનું દાન આપીને એપ દ્વારા ભેગી કરી આપી.કેરળમાં  આ એક જન આંદોલન બની ગયું હતું.

ઇસ્લામ દેશોની પ્રણાલી 

અબ્દુલ રહીમ જે રકમ પીડિતના પરિવારને આપી ફાંસીની સજામાંથી મુક્તિ પામી બહાર નીકળ્યા તે રકમને બ્લડ મની કહેવાય છે. આવા વિષયો પર બૉલીવુડ અને હોલીવુડમાં પણ ફિલ્મો બની છે.આજે પણ સાઉદી અરેબીયા ઉપરાંત યુ. એ. ઈ., ઈરાન,પાકિસ્તાન, સોમાલીયા, સુદાન, યમન, અફઘાનિસ્તાન અને નાઇજીરીયાના કેટલાક ઉત્તરીય રાજ્યો (જ્યાં શરિયા કાયદો લાગુ છે) માં પણ બ્લડ મની પ્રણાલી અસ્તિત્વ ધરાવે છે.  

મૂળ હેતુ ઉમદા 

સરળ શબ્દોમાં કહીએ તો, 'બ્લડ મની' એટલે કોઈ વ્યક્તિના મૃત્યુ અથવા શારીરિક ઈજાના બદલામાં પીડિતના પરિવારને ગુનેગાર દ્વારા  ચૂકવવામાં આવતી આર્થિક રકમ અને બદલામાં પીડિત પરિવાર ગુનેગાર  સામેનો કેસ પાછો ખેંચવા તૈયાર થાય. મોટે ભાગે જેઓને આજીવન કેદ કે ફાંસીની સજા થઈ હોય તેને આ તક મળે છે. અલબત્ત  કોર્ટ તે જુએ છે કે ગુનેગાર છૂટયા પછી વિકૃત કે ઘાતક બંને તેવી માનસિકતા નથી ધરાવતો.  ઇસ્લામિક કાયદા (શરિયા)માં 'બ્લડ મની'ને   'દિયા' (ઘૈઅઅચ) તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આશય કસૂરવારને માફ કરવાનો ઉમદા હેતુ છે.

કુરાન (સૂરા અલ-નિસા ૪થ૯૨) માં ઉલ્લેખ છે કે જો કોઈ ભૂલથી કોઈને મારી નાખે, તો તેણે દંડ તરીકે વળતર ચૂકવવું જોઈએ. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ બદલાની ભાવનાને ઘટાડીને સમાજમાં શાંતિ સ્થાપવાનો છે. તે પીડિત પરિવારને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો એક રસ્તો છે.

તેને કોઈ લાંચ કે રકમ આપીને ગુનો છૂપાવવા તરીકે ન જોવું જોઈએ. તે સાઉદી અરેબિયા અને અન્ય ઘણા ઇસ્લામિક દેશોના કાયદાકીય માળખાનો એક ભાગ છે.  મહત્વની વાત એ છે કે પીડિતનો પરિવાર માફી આપવાની ના પાડે, તો લાખો-કરોડો રૂપિયા હોવા છતાં આરોપીને સજામાંથી મુક્તિ મળતી નથી.

કેટલા રૂપિયા બ્લડ મની તરીકે માંગવા તે પીડિતનો પરિવાર ગુનેગાર માફી માંગે પછી જ કોર્ટને જણાવે છે. કોર્ટ આખરી રકમ કેટલી હોવી તે નક્કી કરે છે. બધુ જ લેખિત દસ્તાવેજમાં થાય છે.

જો કે બ્લડ મની પધ્ધતિ સામે ઇસ્લામ દેશોમાં જ એક બહોળો વર્ગ વિરોધ કરે છે 

અમીર વિરુદ્ધ ગરીબ: ટીકાકારો કહે છે કે આ વ્યવસ્થામાં અમીર વ્યક્તિ ગુનો કરીને પૈસા આપીને છૂટી શકે છે, જ્યારે ગરીબ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો તેને મૃત્યુદંડ ભોગવવો પડે છે. શું પૈસા ન્યાયનું માપદંડ બની શકે? 

માનવ જીવનનું મૂલ્ય : કેટલાક માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે કોઈ પણ રકમ કોઈનું જીવન પાછું લાવી શકતી નથી, અને જીવન પર એક કિંમત  લગાવવી તે નૈતિક રીતે યોગ્ય નથી.

દબાણ : ઘણીવાર પીડિત પરિવાર પર પ્રભાવશાળી લોકો દ્વારા માફી આપવા માટે દબાણ કરવામાં આવે છે, જે ન્યાયિક પ્રક્રિયાને દૂષિત કરે છે.

ઊંટ ચલણી નાણું 

ઇસ્લામના આગમન પહેલાં, આરબ દ્વીપકલ્પમાં કબીલાશાહી  હતી. જો એક કબીલાની વ્યક્તિ બીજા કબીલાની વ્યક્તિની હત્યા કરે, તો પેઢીઓ સુધી લોહીયાળ યુદ્ધ થતાં રહેતા. આ અવિરત હિંસાને રોકવા માટે કબીલાના વડીલોએ 'દિયાહ'ની પ્રથા શરૂ કરી, જેમાં ખૂનીનો કબીલો મૃતકના કબીલાને મોટી સંખ્યામાં ઊંટ અથવા સોનું આપીને શાંતિ ખરીદતો.

પ્રાચીન સમયમાં બ્લડ મનીની ગણતરી 'ઊંટ'ના આધારે થતી હતી. ઇસ્લામિક પરંપરા અનુસાર, એક સ્વસ્થ પુરુષની હત્યાના વળતર તરીકે ૧૦૦ ઊંટ નક્કી કરવામાં આવ્યા હતા.

આજના આધુનિક યુગમાં, અદાલતોએ ઊંટની કિંમતને વર્તમાન ચલણમાં રૂપાંતરિત કરી દીધી છે. પ્રાચીન જર્મન અને એંગ્લો-સેક્સન કાયદામાં પણ આવી જ એક પ્રથા હતી.

કાનૂન વિરુદ્ધ નૈતિકતા  

બ્લડ મની પ્રણાલી અંગે વિચારતા  એક  પ્રશ્ન જરૂર  ઊભો થાય છે કે  ન્યાયનો સાચો હેતુ શું છે? સજા   કે સુધારણા અને પુનર્વસન?

પશ્ચિમી અને ભારતીય કાનૂની પ્રણાલીમાં   જ્યાં રાજ્ય નક્કી કરે છે કે ગુનેગારને શું સજા મળવી જોઈએ. અહીં પીડિત પક્ષની ઈચ્છા-અનિચ્છાનું મહત્વ સજા નક્કી કરવામાં ઓછું હોય છે. ગુનો એ રાજ્ય સામે થયેલો ગણાય છે.

જ્યારે ઇસ્લામિક બ્લડ મની પ્રણાલી 'રિસ્ટોરેટિવ જસ્ટિસ'ના સિદ્ધાંત પર આધારિત છે. તે માને છે કે ગુનો એ બે પરિવારો વચ્ચેની ખાઈ છે. જો પીડિત પરિવારને લાગે કે ગુનેગારને ફાંસી આપવાથી તેમનો માણસ પાછો આવવાનો નથી, અને જો નાણાકીય વળતરથી તેમના અનાથ બચ્ચાઓનું ભવિષ્ય સુધરી શકતું હોય, તો તેમને તે પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.

જ્ઞાન પોસ્ટ

લગભગ ૧૦,૧૫૨ ભારતીય નાગરિકો વિદેશની જેલોમાં બંધ છે , જેમાં સૌથી વધુ સંખ્યા સાઉદી અરેબિયામાં (૨,૬૩૩) છે . આ પછી સંયુક્ત આરબ અમીરાતમાં ૨,૫૧૮ અને નેપાળમાં ૧,૩૧૭ ભારતીયો જેલમાં છે.જેમાંના ઘણાં ભાષાના જ્ઞાનના અભાવે કે કાયદાથી એટલા વાકેફ નહોતા એટલે કે પછી એજન્ટોના ભોગે જેલમાં છે. તેમના પરિવાર જોડે સંપર્ક પણ માંડ સાઘી શકે છે. ભારતીય દુતાવાસ શક્ય એટલી મદદ કરે છે.