માનવીને રહેવા માટે ઘર, જમવા માટે ભોજન, શાસન માટે રાજવ્યવસ્થા અને જીવવા માટે અભય આપ્યાં!
- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
પાલિતાણાના શ્રી શત્રુંજય ગિરિરાજતીર્થનાં મૂળ નાયક ભગવાન શ્રી ઋષભદેવની પાંચસોમી સાલગીરી વૈશાખ વદ છઠઠ વિ.સં. ૨૦૮૭ એટલે કે ઈ.સ. ૨૦૩૧ની ૧૨મી મે, સોમવારે આવી રહી છે. એના સંદર્ભમાં અનેકવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન થઈ રહ્યું છે. આ સમયે માત્ર ગુજરાત કે ભારતનો ઋષભદેવના માનવજાતના સર્વથા ઉદ્વારક મહાભિનિષ્ક્રમણોની વાત મારે કરવી છે.
વિશ્વભરમાં આજે ભગવાન બુદ્ધે કરેલા મહાભિનિષ્ક્રમણનો ભારે મહિમા છે. એમણે આ સંસારને દુઃખમુક્ત કરાવવા માટે ગૃહત્યાગ કર્યો હતો. આ મહાભિનિષ્ક્રમણનો એક અર્થ છે 'મહાન પ્રત્યે જવું' અર્થાત્ 'વર્તમાન પરિસ્થિતિમાં પરિવર્તન સાધવું.'
આ સંદર્ભમાં વિચારીએ તો રાજા ઋષભદેવ અને તીર્થંકર આદિનાથનાં અગિયાર-અગિયાર જેટલાં મહાભિનિષ્ક્રમણો મળે છે. મારો આ નવીન વ્યાપક તથા ઐતિહાસિક વિચાર માત્ર જૈન ધર્મની જ નહીં, કિંતુ ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને પ્રગટ કરનારો છે. રાજા ઋષભે કરેલું પહેલું મહાભિષ્ક્રમણ એટલે કે જગતની પહેલી દુઃખમુક્તિ તે ભટકતું અને જેગલી જીવન ગાળતા માનવીને જીવન જીવવાનો અર્થ આપ્યો. ભોગમાર્ગમાં જીવતી પ્રજાને કર્મમારગની ગરિમા બતાવી, ઘોર પ્રમાદમાં જીવતા લોકોને પ્રવૃત્તિમાર્ગનું બળ બતાવ્યું અને જગતમાં કૃષિ સંસ્કૃતિની સ્થાપના કરી. એમનું બીજુ મહાભિનિષ્ક્રમણ એટલે એમણે માનવજાતિને મહાવરદાન સામે અગ્નિ આપ્યો. એને અનાજ અગ્નિમાં નાખીને એને પકવીને એને વાનગી રૂપે ભોજન બનાવવાનો વિચાર આપ્યો. તેઓ પ્રથમ કુંભકાર, ઘરનિર્માતા અને ચિત્રકાર બન્યા. માનવીને ટાઢ, તાપ ઓછા લાગે તે માટે એને વસ્ત્ર આપ્યાં. વિચાર કરો કે વસ્ત્રહીન માનવીને દેહ પર એ અતિ પ્રાચીન સમયે કેટલાં આઘાતો સહન કરવાં પડતા હશે. એમાંથી એને મુક્તિ અપાવી, પ્રજાને પાકવિદ્યા શીખવી.
એમનું ત્રીજું મહાભિનિષ્ક્રમણ એટલે એમેણે માનવજાતને કામધેનું અને ચિંતામણીરત્નરૂપ કલાઓનું જ્ઞાન આપ્યું. એમના પુત્ર ભરતને પુરુષોની બોતેર કલાઓ શીખવી અને બાહુબલિને સ્ત્રી-પુરુષો અને પશુઓનાં લક્ષણોનું જ્ઞાન આપ્યું. એમની એક પુત્રી બ્રાહ્મીને સ્ત્રી-પુરુષો અને પશુઓનાં લક્ષણોનું જ્ઞાન આપ્યું. એમની એક પુત્ર બ્રાહ્મીને અઢાર લિપિ શીખવી, તો બીજી પુત્રી સુંદરીને બોતેર કલા શીખવી. એમનું ચોથું મહાભિનિષ્ક્રમણ એ એમણે આપેલી માનવ-પરિવારની ઉદાત્ત ભાવના છે.
હવે એમના પાંચમા મહાભિનિષ્ક્રમણ જોઈએ તો એ સમયની અંધાધૂંધી પરિસ્થિતિમાં રાજા ઋષિએ વ્યવસ્થિત શાસનવ્યવસ્થા આપી. સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. લોકોએ કુમાર ઋષભધ્વજને રાજા બનાવ્યા અને તેઓ આદિ પૃથ્વીનાથ કહેવાયા. આ આદિ પૃથ્વીનાથે માનવીને રહેવા માટે ઘર, જમવા માટે ભોજન અને જીવવા માટે અભય એમ ત્રણ આપ્યાં. રઝળતાં, વિખરાયેલાં માનવીય ટોળાંઓને એમણે માનવીય સમાજમાં પરિવર્તિત કર્યા. રાજવ્યવસ્થા અને રાજનીતિ ઘડી. આજે આપણે જાણીએ છીએ કે રાજવ્યવસ્થાનું કેટલું મહત્વ છે અને દેશનું સુપેરે સંચાલન એના દ્વારા થતું હોય છે.
વ્યવસ્થા જાળવવા માટે અનીતિ કે અવ્યવસ્થા કરનારને દંડ કરવાની જરૂર હોય છે. એમ કહેવાયું કે અનીતિરૂપી તમામ સર્પોને વશ કરવા વિષવિદ્યા સમાન દંડનીતિની જરૂર હતી અને એમાંથી બે દંડનીતિ રાજા ઋષભના સમયમાં થઈ. પહેલીદંડનીતિ એટલે 'પરિભાષા' આનો અર્થ એ કે અપરાધી વ્યક્તિને આક્રોશપૂર્ણ શબ્દોમાં નજરબંધ રાખવાનો દંડ કરવો. કઠોર શબ્દોથી એને પ્રતાડિત કરવો એટલે કે સખત ઠપકો આપવો. વિચાર કરીએ કે એ જમાનામાં માનવજાત કેવી નિર્દોષ હશે, કે કોઈને ઠપકો આપવો એ એક સજા ગણાતી હતી. રાજા ઋષભની બીજી દંડનીતિ એ હતી કે મંડલબંધ એટલે કે સીમિત ક્ષેત્રમાં રહેવાનો દંડ કરવો.
રાજા ઋષભદેવના સમયમાં આજીવિકા માટે છ સાધનો પ્રચલિત હતા. અસિ એટલે સૈનિકવૃત્તિ, મસિ એટલે લિપિ વિદ્યા. કૃષિ એટલે ખેતીનું કામ. ચોથું વિદ્યા એટલે અધ્યાપન કે શાસ્ત્રોપદેશનું કામ. પાંચમું વાણિજ્ય એટલે વેપાર અથવા તો વ્યવસાય અને છઠ્ઠું શિલ્પ એટલે કલા અને કૌશલ. આ છ પ્રકારનાં આજીવિકાનાં સાધનો રાજા ઋષભધ્વજે પ્રજાને આપ્યાં અને એથી જ એ સમયના માવીઓને 'ષટ્કર્મજીવિનામ' કહેવામાં આવ્યા.
રાજા ઋષભે કહ્યું કે કલા કામધેનું અને ચિંતામણિ રત્ન છે. કલા જ આત્મકલ્યાણ કરનારી છે. એ જ ધર્મ, અર્થ અને કમરૂપ ફળસહિત સંપત્તિઓને ઉત્પન્ન કરનારી છે.
વ્યવહાર સાધન માટે માન એટલે કે માપ, ઉન્માન એટલે તુલા આદિ વજન, અવમાન એટલે ગજ, ફૂટ, ઈંચ, આદિ અને પ્રતિમાન એટલે પાશેર, શેર, મણ વગેરે શીખવ્યું. મણિ વગેરે પરોવવાની કળાથી પણ અગવત કરાવ્યા. આદિ પુરાણકાર તો કહે છે, 'આદિ તીર્થંકરે સ્વયં પોતાની પુત્રીઓને લિપિસંસ્કાર આપતી વખતે અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે વર્ણમાળા એટલે કે બારાક્ષરી લખીને અક્ષરજ્ઞાન આપ્યું હતું.'
આજે આ બ્રાહ્મીલિપિ કેવી હતી તે વિશે કોબામાં આવેલા શ્રી મહાવીર આરાધના કેન્દ્રના શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના મ્યુઝિયમમાં જોવા મળશે. રાજા ઋષભદેવે સ્થાપેલી રાજવ્યવસ્થાની વિગતે વાત કરીએ તો પાનાનાં પાનાં ભરાઈ જાય. એમણે મંત્રીમંડળ બનાવ્યું, જેમનો અધિકાર, 'ભોગ' ના નામથી પ્રસિદ્ધ કર્યો. આરક્ષકદળની સ્થાપના કરી, જેના અધિકારી 'ઉગ્ર' કહેવાતા. રાધન્ય એટલે કે જે સમ્રાટની સમક્ષ રહીને એમને પરામર્શ આપે અને અન્ય રાજકર્મચારી જે ક્ષત્રિય હોય, પ્રજા અને રાજ્યંના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓની વ્યવસ્થા કરી. જનસંખ્યામાં અભિવૃદ્ધિ અને ખાદ્ય સમસ્યાનો ઉકેલ મેળવ્યો.
જેમ રાજા ઋષભ સમાજશાસ્ત્રી હતા, એમ વિજ્ઞાની પણ હતા. એ સમયે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થતાં પોતાની આત્મશક્તિથી વરસાદ વરસાવ્યો અને એને કારણે ખાદ્યવસ્તુઓની અછત દૂર થઈ. તેઓ વર્ષાના દેવ તરીકે પણ પ્રસિદ્ધ થયા. એ સમયે આજીવિકાને વ્યવસ્થિત રૂપ આપવા માટે વર્ણવ્યવસ્થાની સ્થાપના કરી. આ વર્ણવ્યવસ્થા એ કોઈ ઊંચ અને નીચેનો ભેદ પાડવા માટે નહોતી. બલ્કે પ્રજાનાં કાર્યોનાં આયોજન માટે હતી.
રાજા ઋષભે કરેલું છઠઠું મહાભિનિષ્ક્રમણ એટલે એમણે પોતાના રાજ્યની સુરક્ષા, વ્યાપાર અને ઉત્પાદનની વ્યવસ્થા કરી. અશ્વ, ગાય વગેરે પશુઓનો ઉપયોગ કરતા શીખવ્યું. રશિયામાં એક પ્રસિદ્ધ કહેવત છે કે 'પૈસાદારોને બિચારાઓને પૈસા ખાવા પડે. જો ખેડૂતો અન્ન ઉગાડતા ન હોત,' તો રાજા ઋષભદેવે ખેતીની તાલીમ, હળ, ચલાવવાની રીત, વાવણી કરવાની કલા - એ સઘળું શીખવ્યું. એની સાથોસાથ ગોવાળો પ્રાણીઓ પ્રત્યે સદ્ભાવ રાખે એની વાત કરી અને આ રીતે માનવજીવનની ઉપયોગી પ્રવૃત્તિઓનો વિકાસ કરીને એમણે માનવીનાં જીવનને શિષ્ટ રસપ્રદ અને વ્યવહારુ બનાવ્યું. એના ભીતરમાં રહેલી માણસાઈ જગાવી અને ભાવનાનું શિલારોપણ કર્યું. આ રીતે જગતનું કરુણાવત્સલ રાજા ઋષભદેવે ત્રેસઠ લાખ વર્ષ સુધી રાજા તરીકે પ્રજાનું સુંદર પાલન કર્યું.
ધર્મગ્રંગો કહે છે કે રાજકુમાર ઋષભધ્વજ તરીકે વીરસ લાખ વર્ષ યુવરાજ પદમાં પસાર થયા અને પછી ત્રેસઠ લાખ વર્ષ એમણે રાજ્યની ધૂરા સંભાળી, પણ હવે ધર્મતીર્થ પ્રવર્તતા માટે રાજત્યાગનો સમય આવી પહોંચ્યો હતો અને જગતે એક નવું મહાભિનિષ્ક્રમણ જોયું.
(ક્રમશઃ)