- ઊઠવા, બેસવા, ચાલવાની સાચી પદ્ધતિથી
- આ પદ્ધતિઓ માત્ર રાહત નથી આપતી, પણ શરીરને અંદરથી બળ આપીને રોગ પ્રતિરોધક શક્તિમાં પણ વધારો કરે છે
આ જની દોડધામભરી જીવનશૈલીમાં ઘણીવાર શરીરની મૂળભૂત સંરચના પર આપણું ધ્યાન જતું નથી. શરીર યોગ્ય રીતે કામ કરે એ માટે તેનું એલાઇનમેન્ટ (સરખું વ્યવસ્થિત કસાયેલું અને સંતુલિત હોવું) અને નસોના સંકેતોનું સહજ અને ગતિશીલ સંચાલન ખૂબ જ આવશ્યક છે.
પરંતુ જ્યારે આ બે તંત્રો ખોરવાઈ જાય - ત્યારે શરીરમાં અનેક પ્રકારના અસંતુલનો ઊભા થઇ શકે છે. ઘણીવાર વ્યક્તિ લાક્ષણિક તકલીફો અનુભવે છે. પણ મૂળ કારણ સુધી પહોંચી શક્તો નથી.
જ્યારે એલાઇનમેન્ટ અને નસોનું સંચાલન ખોરવાય ત્યારે શું થાય ?
શરીરના અંગો પર અસમાન દબાણ સર્જાય છે, નસોની વચ્ચે સંકેત આપવાની ક્રિયા ધીમી પડે છે, આંતરિક અંગો પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શક્તા નથી, હોર્મોનલ અને જુદી જુદી સિસ્ટમ વચ્ચે અસંતુલન થવા લાગે છે, લાંબા ગાળે ગંભીર શારિરીક અને માનસિક તકલીફો ઊભી થાય છે.
સામાન્ય રીતે દેખાતી મુશ્કેલીઓ : પાચન તંત્રમાં ગરબડ, મૂત્ર નિયંત્રણ પર અસર, કમરના દુખાવા અથવા ઘૂંટણમાં તકલીફ, માથાનો તણાવ અને ભારેપણું, હોર્મોનલ અસંતુલન, ઊંઘ :- સ્ફૂર્તિ તથા એકાગ્રતામાં મુશ્કેલી.
એલાઇનમેન્ટ ખોરવાવાનાં સામાન્ય કારણો : ખોટી બેસવાની અથવા ઊભા રહેવાની ટેવ, લાંબા સમય સુધી એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં આરામદાયક રીતે જ બેસી રહેવું, સ્ક્રીન સામે લાંબો સમય વિતાવવો, પેટ અને પીઠના મસલ્સ નબળા થવા, ઊંચી હીલવાળા જૂતાં પહેરવાં, ઓછો દૈનિક શારીરિક શ્રમ.
આ બધું ધીમે ધીમે શરીરના સમતોલ સંચાલનને ખોરવી શકે છે, જેની અસર નસોના સંદેશાવ્યવહાર અને અંગોની કાર્યક્ષમતા પર પડે છે.
કુદરતી ઉપાયો અને સ્નાયુ-નસોની સારવાર : યોગ્ય કસરત, જીવનશૈલીમાં ફેરફાર અને કુદરતી થેરાપી દ્વારા શરીરનું સંતુલન પુન:સ્થાપિત થઇ શકે છે.
કેટલાક સરળ અને અસરકારક ઉપાયો : મૂળબંધ આસન અને અશ્વિની મુદ્રા : પેલ્વિક મસલ્સને મજબૂત કરે છે, પ્રાણાયામ: શ્વાસની સાફ લય દ્વારા નસોને આરામ આપે છે પાંચ તત્ત્વ આધારિત નેચરલ થેરાપી : શરીરના સંતુલનને પુન:સ્થાપિત કરે છે.
આહાર સુધારો : પાચન તંત્રને સહારો આપતો કુદરતી અને સત્વયુક્ત આહાર શરીરને ઊર્જાવાન બનાવે છે.
રિલેક્સેશન ટેક્નિક્સ : દ્વાર સ્નાયુઓને ઢીલા પાડીને તણાવ દૂર કરવો જરૂરી છે.
આ પદ્ધતિઓ માત્ર રાહત નથી આપતી, પણ શરીરને અંદરથી બળ આપીને રોગ પ્રતિરોધક શક્તિમાં પણ વધારો કરે છે.
અંતે, શરીરનું સંતુલન કોઈ એક વસ્તુ પર આધાર રાખતું નથી - તે શારિરીક, માનસિક અને નસોનાં સંચાલનનાં સમન્વય પર આધારિત છે. જો આપણે સમયસર ELF = Elignment, Lifestyle, Flexibility જેવા મૂળ તત્ત્વોને સમજીએ અને અનુસરીએ, તો લાંબા ગાળા સુધી આરોગ્યમય જીવન શક્ય છે.
જ્યારે શરીર સીધું થાય છે, ત્યારે અંદરનું બધું સ્વસ્થ રીતે વહેવા લાગે છે.
- પ્રજ્ઞોશ પટેલ


