Science & Technology

EXPLAINER : અંતરિક્ષયાત્રી સ્પેસમાં જ બીમાર પડી જાય તો કેવી રીતે અને કોણ કરે છે સારવાર?

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
અંતરિક્ષમાં દાયકાઓથી રિસર્ચ થઈ રહ્યું છે. જો કે, હજુ પણ અંતરિક્ષ આપણા માટે એક રહસ્ય છે. અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષમાં જીવનનું અસ્તિત્વ શોધી રહ્યા છે. જેમાં અંતરિક્ષયાત્રીઓની પણ સંપૂર્ણ સુરક્ષા અને સાવચેતીનું ધ્યાન રાખવામાં આવે છે. આવો જાણીએ, જો કોઈ યાત્રીની તબિયત અંતરિક્ષમાં જ ખરાબ થઈ જાય તો તેને કેવી રીતે મેડિકલ સુવિધા પહોંચાડવામાં આવે છે?

Summarized by AI; it may make mistakes. Check important info

EXPLAINER : અંતરિક્ષયાત્રી સ્પેસમાં જ બીમાર પડી જાય તો કેવી રીતે અને કોણ કરે છે સારવાર?

Axiom Mission 4 Mission: અંતરિક્ષમાં દાયકાઓથી રિસર્ચ થઈ રહ્યું છે. જો કે, હજુ પણ અંતરિક્ષ આપણા માટે એક રહસ્ય છે. અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષમાં જીવનનું અસ્તિત્વ શોધી રહ્યા છે. જેમાં અંતરિક્ષયાત્રીઓની પણ સંપૂર્ણ સુરક્ષા અને સાવચેતીનું ધ્યાન રાખવામાં આવે છે. આવો જાણીએ, જો કોઈ યાત્રીની તબિયત અંતરિક્ષમાં જ ખરાબ થઈ જાય તો તેને કેવી રીતે મેડિકલ સુવિધા પહોંચાડવામાં આવે છે?

સ્પેસમાં જ સારવારની સુવિધા

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મેડિકલ કિટ હોય છે. જેમાં પ્રાથમિક સારસંભાળ રાખતી તમામ સુવિધા હોય છે. તાવ, દુઃખાવો, ઉલ્ટી, વાયરલ ઇન્ફેક્શન, બ્લડ પ્રેશર, શુગર ચેક કરવાની મશીન અને વૈકલ્પિક દવાઓ. નાની-મોટી ઈજાની સારવાર માટેની સુવિધા અને એન્ટીબાયોટિક્સ પણ ઉપલબ્ધ હોય છે.

કોણ કરે છે સારવાર?

દરેક ક્રૂ સભ્યને તેના માટે મૂળભૂત તાલીમ આપવામાં આવે છે. આ સાથે, તેમને CPR આપવાનું શીખવવામાં આવે છે જેથી તેઓ જરૂર પડે ત્યારે તેમના સાથીદારોને મદદ કરી શકે. ટીમમાં એક સભ્ય હોય છે, જેને તમે અંતરિક્ષના મેડિકલ ઑફિસર તરીકે ગણી શકો છો. તે અન્ય કરતાં વધુ પ્રશિક્ષિત છે. જેથી ઈમરજન્સીમાં તેઓ ફર્સ્ટ એઇડ સારવાર આપી શકે છે.

આ પણ વાંચોઃ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડોકિંગ પ્રક્રિયા શરૂ; માતાની આંખમાં આંસુ

ટેલિમેડિસિનની પણ વ્યવસ્થા

જો પરિસ્થિતિ વધુ ગંભીર હોય અને ટીમના સભ્યો ગભરાઈ જાય તો પૃથ્વી પરથી ઓનલાઇન સપોર્ટ એટલે કે ટેલિમેડિસિનની જોગવાઈ કરવામાં આવે છે. જેમ કે, પૃથ્વી પર હાજર ડૉક્ટરોની ટીમ તેમને લાઇવ વીડિયો દ્વારા માર્ગદર્શન આપશે કે પરિસ્થિતિને સંભાળવા માટે કેવી રીતે સારવાર આપી શકાય. તદુપરાંત અંતરિક્ષયાત્રી બીમાર હોય કે ન હોય, તેમણે નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપવાનું હોય છે. જેનું પૃથ્વી પર નિરીક્ષણ કરવામાં આવે છે.

જીવનું જોખમ હોય તો આકસ્મિક ધોરણે પરત લાવવામાં આવે છે

સૌ પ્રથમ, બીમાર દર્દીને અંતરિક્ષમાં જ સારવાર આપવામાં આવે છે. શૂન્ય ગુરુત્વાકર્ષણને કારણે, અથવા કોઈપણ અકસ્માતને કારણે, જો મુસાફરનું સ્વાસ્થ્ય બગડે, તો અંતરીક્ષમાં ઉપસ્થિત મેડિકલ ટીમ સારવાર આપે છે. જો સારવાર શક્ય ન હોય તો તેને આકસ્મિક ધોરણે પરત લાવવાની યોજના બનાવવામાં આવે છે.

કેવી રીતે પાછા લવાય છે?

- લાઇફબોટ સ્પેસક્રાફ્ટ હંમેશા ISSમાં ડૉક કરેલું હોય છે. જો જરૂર પડે તો અંતરિક્ષયાત્રીઓને તેની મદદથી પાછા મોકલવામાં આવે છે.

- સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરતાં ત્રણથી છ કલાકનો સમય થાય છે. આ પ્રક્રિયામાં ઘણીવાર 24 કલાક પણ થઈ શકે છે.

- સ્પેસક્રાફ્ટનું ઉતરાણ કઝાકિસ્તાનના સ્ટેપી વિસ્તારમાં થાય છે. જ્યાં રશિયાનું રેસ્ક્યુ ગ્રૂપ લેન્ડિંગ સમયે સ્થળ પર પહોંચે છે.

- ઉતરાણ પછી તરત જ મેડિકલ ટીમ દર્દીને નજીકની હૉસ્પિટલ અથવા એરબેઝ પર લઈ જાય છે. ત્યાં તેની સ્થિતિ સ્ટેબલ થાય બાદમાં તેને મોટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે.