શું દરિયાઇ જીવો ૯૪ ટકા વાયરસનો સફાયો કરી નાખે છે ?
દરિયાઇ જીવો ભોજન માટે વાયરસને પણ છોડતા નથી
દરિયાના એક ગ્લાસ પાણીમાં વાયરસના ૧૫ કરોડથી વધારે અણુ હોય છે
એમ્સ્ટર્ડમ, 30,જુન,2020, મંગળવાર
કોરોના જેવા વાયરસ હજુ પણ દરિયાઇ જીવોમાંથી માનવીઓમાં ફેલાવાની શકયતા રહેલી છે ત્યારે ૯૪ ટકા વાયરસનો દરિયાના જીવો ખોરાક તરીકે સફાયો કરતા હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. સમુદ્દી જીવો ઓકસીજન અને ભોજન માટે પાણીમાં ફરે ત્યારે વાયરસને પણ છોડતા નથી. આ સંશોધનનું નેતૃત્વ નેધરલેન્ડના ઇન્સ્ટિટયૂટ ફોર સી રિસર્ચના જેનિફર વેલ્શે કર્યુ હતું.
જયારે વાયરસ કોઇ કોશિકાને સંક્રમિત કરે છે ત્યારે તે નવા વાયરસને તૈયાર કરવા હોસ્ટ તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી તે અસંખ્ય નવી કોશિકાઓને સંક્રમિત કરી શકે છે પરંતુ વેલ્શે જોયું કે સમુદ્રના એક ગ્લાસ પાણીમાં ૧૫ કરોડથી વધારે વાયરસના અણુઓ જોવા મળતા હતા. સમુદ્રી જીવો આ વાયરસના અણુઓને ભોજન તરીકે લઇ અંત આણી દે છે. જાપાની છીપનું ઉદાહરણ લઇએ તો દરિયામાં ખોરાક અને ઓકસીજનની શોધ દરમિયાન શેવાલ અને બેકટેરિયાને અલગ કરી દે છે અને વાયરસના અણુઓને પણ ગળી જાય છે. સંશોધકોએ પ્રયોગ દરમિયાન આ દરિયાઇ જીવને કોઇ ખોરાક આપ્યો નહી એટલું જ નહી ઓકસીજન માટે પાણીને જ ફિલ્ટર કરવામાં આવ્યું હતું. આ જાપાની સીપોએ પાણીમાંથી વાયરસના અણુઓનો સફાયો કરી નાખ્યો હતો.
સંશોધકે વાયરસ ઇકોલોજી લેબમાં પ્રયોગ દરમિયાન જોયું કે ૯૪ ટકા જેટવા વાયરસ ઓછા કરી નાખ્યા હતા. આવી જ રીતે સ્પોજ પણ વાયરસને અસરકારક રીતે નાબૂદ કરે છે. વાયરસને પાણીમાં છોડવામાં આવ્યા ત્યારે ૨૦ જ મીનિટમાં દૂર કરી દીધા હતા. અત્યાર સુધી એ જાણકારી ન હતી કે સમુદ્દી જાનવરોની કઇ પ્રજાતિઓ વાયરસને કેટલા નિયંત્રણમાં રાખે છે. જો કે મુખ્ય સંશોધક વેલ્શનું એમ પણ માનવું હતું કે પ્રયોગ દરમિયાન જે પરીણામ મળ્યું તેમાં કુદરતી રીતે નિવાસ કરતા જાનવરો કરતા તફાવત હોઇ શકે છે. સમુદ્રની સ્થિતિ ખૂબજ જટિલ હોય છે જેમાં અનેક જીવો તેની પ્રજાતિઓ એક બીજા ને પ્રભાવિત કરતી હોય છે. આ અંગેનું સંશોધન નેચર સાયન્ટિફિકસમાં પ્રકાશિત થયું છે.