Death Time Calculator Tool: માણસનું મૃત્યુ ક્યારે થશે? આ એક એવો રહસ્યમય અને સનાતન પ્રશ્ન છે, જેનો જવાબ શોધવામાં સદીઓથી વિજ્ઞાન પણ લાચાર રહ્યું છે. જોકે હવે ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રે એક એવો ચમત્કાર થયો છે, જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની ખૂબ નજીક પહોંચી ગયો છે. વૈજ્ઞાનિકોએ એક એવું અદભુત ટૂલ વિકસાવ્યું છે, જે માણસના જીનોમનું વિશ્લેષણ કરીને તેની જૈવિક ઉંમર અને તેનું શરીર કેટલા સમય સુધી સાથ આપશે તેનો સચોટ અંદાજ લગાવી શકે છે. આ ક્રાંતિકારી શોધ ભવિષ્યમાં વૃદ્ધાવસ્થાને રોકવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને જાપાનની તોહોકુ યુનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલો આ સંશોધન લેખ પ્રતિષ્ઠિત નેચર જર્નલમાં પ્રકાશિત થયો છે. વૈજ્ઞાનિકોની આ સફળતાને સાયન્સ ફિક્શન ફિલ્મોની કલ્પનાને વાસ્તવિકતામાં બદલવા તરફનું એક મોટું પગલું માનવામાં આવે છે.
શું છે આ નવું ‘ટ્રાન્સક્રિપ્ટોમિક ક્લોક’ ટૂલ?
અત્યાર સુધી આપણે આપણી ઉંમરનો અંદાજ જન્મતારીખથી પસાર થયેલા વર્ષોના આધારે લગાવીએ છીએ, જેને વિજ્ઞાનની ભાષામાં 'ક્રોનોલોજિકલ એજ' કહેવાય છે. પરંતુ નવું વિકસાવાયેલું ‘ટ્રાન્સક્રિપ્ટોમિક ક્લોક’ વર્ષો કે મહિનાઓ ગણવાને બદલે શરીરની કોષિકાઓ અંદરથી કેવી રીતે કામ કરે છે તેના આધારે 'જૈવિક ઉંમર' માપે છે.
આ આધુનિક ઘડિયાળ તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકોએ માણસો, રીસસ મેકાક વાંદરા અને ઉંદરોની બે અલગ-અલગ પ્રજાતિઓ સહિત કુલ 4 પ્રજાતિઓના લગભગ 11,000 જીન એક્સપ્રેશન પ્રોફાઇલ્સનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન શરીરના 25 અલગ-અલગ ટિશ્યૂની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી, જેથી સમજી શકાય કે ઉંમર વધવાની સાથે કયા જીન્સ સક્રિય કે નિષ્ક્રિય થાય છે.
જૂની ટેકનિક અને આ નવી શોધ વચ્ચે શું તફાવત છે?
ઉંમરનો અંદાજ લગાવવા માટે વિજ્ઞાનમાં પહેલાં પણ પ્રયોગો થતા હતા, પરંતુ આ નવી પદ્ધતિ અગાઉ કરતાં ઘણી વધુ સચોટ છે:
મુખ્ય આધાર: જૂની ટેકનિક દ્વારા DNAમાં સમય અને તણાવના કારણે થતા રાસાયણિક ફેરફાર પર અને નવી ટેક્નિક દ્વારા શરીરની કોષિકાઓના જીન એક્સપ્રેશન અને બાયોમાર્કર્સનું વિશ્લેષણ કરવામાં આવે છે.
ચોકસાઈ: જૂની ટેક્નિકમાં બ્રિટનની University of Birmingham નાનિષ્ણાત જોઆઓ પેડ્રો ડી મેગલહેસના મતે આમાં ચોકસાઈનો અભાવ હતો. નવી ટેક્નિકમાં માનવ શરીરમાં ચાલતી આંતરિક પ્રક્રિયાઓનું અત્યંત સૂક્ષ્મ અને સચોટ ચિત્ર રજૂ કરે છે.
કોષિકાઓ આપે છે લાંબી ઉંમર કે વહેલા મૃત્યુના સંકેત
સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ઇમ્યુન સેલ્સ, સ્ટેમ સેલ્સ, લિવર કે સ્નાયુઓની કોષિકાઓમાં ઉંમર વધવાની સાથે મોલેક્યુલર સ્તરે એકસરખા ફેરફારો થાય છે. આ અભ્યાસના મુખ્ય લેખક એલેક્ઝાન્ડર ત્યશ્કોવ્સ્કીના જણાવ્યા અનુસાર, જે કોષિકાઓમાં હેલ્ધી સેલ ડિવિઝન અને ઘા રુઝાવવા સંબંધિત જીન્સ એક્ટિવ હતા, તેમની વૃદ્ધ થવાની ગતિ ધીમી હતી. આનાથી ઉલટું, જે કોષિકાઓમાં સોજો અને કોષોના નાશ થવા સંબંધિત જીન્સ વધુ સક્રિય હતા, તે શરીરને ઝડપથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ ધકેલી રહ્યા હતા. આ જીન્સના વર્તનને ટ્રેક કરીને જ ભવિષ્યમાં કુદરતી મૃત્યુ ક્યારે થઈ શકે તેનો અંદાજ લગાવવો શક્ય બન્યો છે.
મેડિકલ સાયન્સ અને ક્લિનિકલ ટ્રાયલમાં આવશે મોટી ક્રાંતિ
અભ્યાસના વરિષ્ઠ લેખક વાદિમ ગ્લેડિશેવનું માનવું છે કે આ એજિંગ ક્લોક ભવિષ્યની સારવાર પદ્ધતિઓને સંપૂર્ણપણે બદલી નાખશે. ડૉક્ટરો દર્દીની જૈવિક ઉંમર જાણીને પર્સનલાઈઝ્ડ ટ્રીટમેન્ટ આપી શકશે. આનો સૌથી મોટો ફાયદો એન્ટી-એજિંગ દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં થશે. અગાઉ આવી દવાઓની અસર જોવા માટે વૈજ્ઞાનિકોએ દાયકાઓ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે 'ટ્રાન્સક્રિપ્ટોમિક ક્લોક'ની મદદથી ખૂબ જ ટૂંકા સમયમાં જાણી શકાશે કે દવા શરીર પર શું અસર કરી રહી છે. આનાથી મેડિકલ ટ્રાયલનો સમય ઘટશે અને ગંભીર બીમારીઓની દવાઓ ઝડપથી શોધી શકાશે.
શું ખરેખર ઓન-પેપર મૃત્યુની તારીખ જાણી શકાશે?
વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ટૂલ હાલ માત્ર એક રિસર્ચ ટૂલ છે અને સામાન્ય માણસો માટે તેનો વ્યાવસાયિક ઉપયોગ શરૂ કરતા પહેલાં હજુ ઘણા પરીક્ષણો બાકી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટેકનોલોજી માત્ર કુદરતી રીતે વધતી ઉંમર કે બીમારીના કારણે થનારા સંભવિત મૃત્યુનો જ અંદાજ લગાવી શકે છે. આ ટૂલ કોઈ માર્ગ અકસ્માત, કુદરતી આપત્તિ કે અચાનક થતી દુર્ઘટનાઓની ભવિષ્યવાણી કરી શકતું નથી. જોકે, તે એટલું ચોક્કસ જણાવી દેશે કે તમારું શરીર અંદરથી કેટલું સક્ષમ છે અને કોઈ બાહ્ય અવરોધ ન આવે તો તે કેટલા વર્ષ સુધી જીવિત રહી શકે છે.


