Samudrayaan Mission: ભારતનું ખૂબ જ મહત્ત્વાકાંક્ષી મિશન સમુદ્રયાનને લંબાવવામાં આવ્યું છે. આ મિશનમાં સમુદ્રના તળિયે જઈને વિજ્ઞાનીઓ દ્વારા રિસર્ચ કરવામાં આવવાનું હતું. આ મિશન લંબાવવામાં આવ્યું એનું કારણ ફ્રાન્સમાંથી સિન્ટેક્ટિક ફોમ ક્લેડિંગની ડિલિવરી હજી નથી મળી. પાણીમાં તરવા માટે આ મટિરિયલ ખૂબ જ મહત્ત્વનું છે. એના દ્વારા સબમર્સિબલ પાણીમાં જે જગ્યાએ તરતી રાખવી હોય ત્યાં તરી શકશે. આ માટેનો પહેલો મહત્ત્વનો ટેસ્ટ 2024ના ડિસેમ્બરમાં થવાનો હતો, પરંતુ હવે એ આગામી વર્ષે એપ્રિલમાં કરવામાં આવશે.
શું છે સમુદ્રયાન મિશન?
આ મિશનમાં એક ગોળા જેવી સબમર્સિબલ બનાવવામાં આવશે જે પાણીની અંદર 6000 મીટર સુધી પણ જઈ શકે. આ પ્રકારનું વાહન હજી સુધી દુનિયાના અમુક દેશ પાસે જ છે. આ સબમર્સિબલને ત્રણ વ્યક્તિઓની ટીમ દ્વારા ચલાવવામાં આવશે. તેઓ સમુદ્રને એક્સપ્લોર કરવાની સાથે જમીન અને પથ્થરના સેમ્પલ પણ ભેગા કરશે. સમુદ્રમાંથી મળતી કિંમતી ધાતુ માટે આ મિશન ભારત માટે ખૂબ જ મહત્ત્વનું છે. એના આધારે ભારતે ભવિષ્યમાં કઈ દિશામાં જવું એ નક્કી કરવામાં આવશે.
સમુદ્રયાનમાં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓશન ટૅક્નોલૉજીની ભૂમિકા
ચેન્નાઈમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓશન ટૅક્નોલૉજી આ સમુદ્રયાન પ્રોજેક્ટને લીડ કરી રહ્યું છે. ફાઇનલ મિશન પહેલાં એને ટેસ્ટ કરવા માટે તેમના દ્વારા એક સ્ટીલની સબમર્સિબલ બનાવવામાં આવી છે. એના દ્વારા એને કેવી રીતે ઓપરેટ કરવી અને અન્ય જરૂરી ટેસ્ટ કરવામાં આવશે. અત્યારે એના દ્વારા 100 મીટરની ઊંડાઈમાં ડાઇવ ટેસ્ટ કરવામાં આવી હતી. જોકે એપ્રિલમાં હવે 500 મીટર ઊંડાઈએ ટેસ્ટ કરવામાં આવશે.
સિન્ટેક્ટિક ફોમની ડિલિવરી
500 મીટરની ઊંડાઈમાં ટેસ્ટ કરવામાં આવે એ પહેલાં સ્ટીલ સબમર્સિબલમાં સિન્ટેક્ટિક ફોમનો સમાવેશ કરવામાં આવશે. ભારતની સબમર્સિબલમાં એને ફિટ કરવામાં આવે એ પહેલાં એને ફ્રાન્સમાં બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ નોર્વેમાં એનો ટેસ્ટ કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ. રવિચંદ્રનને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં એની ડિલિવરી મળી જશે. 500 મીટરના ટેસ્ટ બાદ આ વાહનની મુખ્ય બોડી જે ટાઇટેનિયમમાંથી બની છે એને રશિયા મોકલવામાં આવશે. ત્યાંની લેબોરેટરીમાં એની ક્ષમતા વિશે ટેસ્ટ કરવામાં આવશે. 6000 મીટર ઊંડાઈએ એ જઈ શકે કે નહીં એ ચેક કરવામાં આવશે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામમાં પાંચ નવી ભારતીય ભાષા સમાવાઈ, ડબિંગ અને લિપ સિંક ટૂલ સાથે બન્યું વધુ લોકલ
સમુદ્રયાનની બોડીમાં ઇસરોનું યોગદાન
ઇસરો દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓશન ટૅક્નોલૉજી માટે સમુદ્રયાનની બે બોડી બનાવવામાં આવી રહી છે. આ ટાઇટેનિયમની છે. એમ. રવિચંદ્રનને આશા છે કે તમામ ટેસ્ટ પૂરા થયા બાદ એપ્રિલમાં હવે આખરે એને 500 મીટરની ઊંડાઈ ડાઇવ ટેસ્ટ જરૂર કરી શકાશે.


