પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો એક્ઝોપ્લેનેટ શોધાયો, જીવનની શક્યતા પણ ખરી
પૃથ્વીથી આઠ ગણો મોટો આ ગ્રહ તેના પિતૃ તારાથી હેબિટેબલ ઝોનમાં છે
વાતાવરણમાં કાર્બન, મિથેન, ડાઇમિથાઇલ સલ્ફાઇડની પણ હાજરી
Updated: Sep 15th, 2023
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાર સુધીના સૌથી અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અનંત બ્રહ્માંડમાં પહેલી જ વખત પ્રવાહી જળ હોવાની પૂરી શક્યતા ધરાવતો એક્ઝોપ્લેનેટ શોધ્યો છે.
આ તારો કદમાં નાનો અને ઠંડો
K-2-18B સંજ્ઞા ધરાવતો આ એક્ઝોપ્લેનેટ (આપણા સૂર્ય મંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂરના અંતરે છે. K-2-18B ગ્રહ તેના પિતૃ તારા કે 2-18 ફરતે ગોળ ગોળ ફરે છે.આ તારો કદમાં નાનો અને ઠંડો પણ છે.
K-2-18B એક્ઝોપ્લેનેટ પ્રવાહી જળથી ઘેરાયેલો છે
નાસાનાં સૂત્રોએ ખુશી વ્યક્ત કરતાં એવી માહિતી આપી હતી કે અમારા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે K-2-18B નામની સંજ્ઞાાવાળો એક્ઝોપ્લેનેટ શોધ્યો છે તે અમારા અભ્યાસ મુજબ હાઇસિયન એક્ઝોપ્લેનેટ છે. ખગોળ શાસ્ત્રની ભાષામાં સમજીએ તો જે ગ્રહની ધરતી(સપાટી) ચારે તરફથી જળથી ઘેરાયેલી હોય તેને હાઇસિયન એક્ઝોપ્લેનેટ કહેવાય છે. આ એક્ઝોપ્લેનેટ આખો મહાસાગરથી ઘેરાયેલો છે. આપણી પૃથ્વી પણ ત્રણ બાજુએથી પ્રવાહી પાણીથી ઘેરાયેલી છે પણ તેમાં જુદા જુદા ખંડ અને ધરતી છે.જમીન છે. પૃથ્વીનો આખો વિશાળ ગોળો ફક્ત અને ફક્ત મહાસાગરના પાણીથી ઘેરાયેલો નથી.
નવો ગ્રહ જીવન પાંગરવાની શક્યતાવાળા ઝોનમાં છે : લક્ષણો પૃથ્વીના વાતાવરણ જેવાં
ઉપરાંત K-2-18B ની વિશિષ્ટતા એ પણ છે કે તેના વાતાવરણમાં કાર્બનયુક્ત સુક્ષ્મ કણો, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ છે. સાથોસાથ તેના વાતાવરણમાં હાઇડ્રોજન પણ ભરપૂર હોવાની સંભાવના છે. આ અનોખો એક્ઝોપ્લનેટ તેના પિતૃ તારા K-2-18 થી હેબિટેબલ ઝોન(જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર)માં છે.ઉપરાંત, આ નવો એક્ઝોપ્લેનેટ પૃથ્વી કરતાં આઠ ગણો વધુ મોટો પણ છે.
એક્ઝોપ્લેનેટના ભૂગર્ભમાં વિશાળ મહાસાગર હોઈ શકે
કેમ્બ્રીજ યુનિવર્સિટી (બ્રિટન)ના ખગોળશાસ્ત્રી નીક્કુ મધુસુદન તેમના સંશોધનપત્રમાં કહે છે, આપણા સૂર્ય મંડળ બહારના આ નવા ગ્રહના વાતાવરણમાં ડાઇમિથાઇલ સલ્ફાઇડ (ડીએમએસ) નામનું વિશિષ્ટ તત્ત્વ પણ છે. સાથોસાથ તેના વાતાવરણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ પણ ભરપૂર માત્રામાં છે. આ તમામ તત્ત્વો હોવાનો અર્થ એવો થાય કે K-2-18B એક્ઝોપ્લેનેટના ભૂગર્ભમાં વિશાળ મહાસાગર હોવો જોઇએ. વિપુલ પ્રવાહી જળ હોવું જોઇએ. આપણી પૃથ્વીના વાતાવરણમાં ડાઇમિથાઇલ સલ્ફાઇટનું કુદરતી તત્ત્વ હોવાથી જ જીવ સૃષ્ટિ પાંગરી શકી છે. આજ રીતે કોઇપણ ગ્રહ પર જીવન પાંગરવા માટે ડીએમએસ તત્ત્વ હોવું જરૂરી છે.
એક્ઝોપ્લેનેટની જળ રાશિ અત્યંત ગરમ હોઇ શકે
નાસાનાં સૂત્રોએ જોકે એવો ઇશારો પણ કર્યો છે કે આ એક્ઝોપ્લેનેટની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ૨.૬ ગણી વધુ મોટી છે. એટલે કે આ નવા ગ્રહનો આંતરિક હિસ્સો મેન્ટલનો છે અને તેમાં બરફનું અત્યંત દબાણ પણ હોવું જોઇએ. આવાં લક્ષણો આપણા સૌર મંડળના નેપ્ચુન ગ્રહનાં છે. કહેવાનો અર્થ એ છે કે K-2-18B પરની વિપુલ જળ રાશિ અત્યંત ધગધગતી પણ હોવી જોઇએ.
પૃથ્વી સૂર્યથી હેબિટેબલ ઝોનમાં છે
આપણી પૃથ્વી તેના પિતૃ તારા સૂર્ય (બ્રહ્માંડના દરેક તારાને સૂર્ય કહેવાય)થી હેબિટેબલ ઝોનમાં હોવાથી અહીં જીવન પાંગર્યું છે. સૂર્યથી પૃથ્વી વચ્ચે ૧૫ કરોડ કિલોમીટરનું અંતર છે. ખગોળશાસ્ત્રના નિયમ મુજબ કોઇપણ તારાથી તેના ગ્રહનું અંતર ૧૫ કરોડ કિલોમીટર હોય તો તેને હેબિટેબલ ઝોન કહેવાય છે.