સુનીતાની જેમ શુભાંશુ શુક્લાનું પણ પૃથ્વી પર પુનરાગમન પાછું ઠેલાયું
- એક્સિઓમ-4ના અવકાશ યાત્રીઓ સોમવાર પહેલાં પાછા નહીં ફરી શકે
- એક્સિઓમ-4ના અવકાશયાત્રીઓએ આઈએસએસ પર 230 સૂર્યોદય નિહાળ્યા, 100 લાખ કિ.મી.નો પ્રવાસ કર્યો
નવી દિલ્હી : ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા સહિત એક્સિઓમ-૪ મિશનના ક્રૂએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ૧૪ દિવસ પસાર કર્યા પછી હજુ વધુ સમય પૃથ્વીથી દૂર રહેવું પડશે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની જેમ શુભાંશુ શુક્લાનું પણ પૃથ્વી પર પુનરાગમન પાછું ઠેલાયું છે. બીજીબાજુ એક્સિઓમ-૪ના ક્રૂએ આઈએસએસમાંથી ૨૩૦ સૂર્યોદય નિહાળ્યા હતા.
યુરોપીયન સ્પેસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે મિશન કમાન્ડર પૈગી વ્હિટસન, મિશન પાયલટ ગુ્રપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને મિશ સ્પેશિયાલિસ્ટ સ્લાવોશ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી તથા ટિબોર કપુનું ધરતી પર પુનરાગમન ૧૪ જુલાઈ એટલે કે સોમવાર પહેલાં નહીં થાય.
એક્સિઓમ-૪ના આ સભ્યો ૨૭ જૂનથી આઈએસએસ પર વૈજ્ઞાાનિક પ્રયોગ કરી રહ્યા છે અને અગાઉથી નિશ્ચિત યોજના મુજબ ૧૪ દિવસ પછી એટલે કે ૧૦ જુલાઈએ પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ હવામાન ખરાબ હોવાથી તેમજ આઈએસએસમાં ટેકનિકલ ખામીના કારણે તેમણે થોડા વધુ દિવસ આઈએસએસ પર રોકાવું પડશે.
એક્સિઓમ-૪ના સભ્યો સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલ 'ગ્રેસ'માં સવાર થઈ પૃથ્વી પર પાછા ફરશે. આ કેપ્સુલ ફ્લોરિડાના કિનારે એટલાન્ટિક મહાસાગર અથવા મેક્સિકોની ખાડીમાં સોફ્ટ સ્પ્લેશ ડાઉન કરશે. જોકે, આઈએસએસના રશિયન જ્વ્જેદા મોડયુલમાં તાજેતરમાં જ પ્રેશર લીકની સમસ્યા થઈ હતી. નાસા અને રશિયાની અવકાશ એજન્સી રોસ્કોસમ્સે તેનું રિપેરિંગ કર્યું હતું, પરંતુ પ્રેશર લીકનો નવો સંકેત મળ્યો છે. આથી એક્સિઓમ-૪ના સભ્યોના પાછા ફરવામાં વિલંબ થઈ રહ્યો છે.
દરમિયાન શુભાંશુ શુક્લા અને તેમની ટીમે અત્યાર સુધીમાં આઈએસએસમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતા ૨૩૦ સૂર્યોદય જોયા છે અને અવકાશમાં બે સપ્તાહમાં અંદાજે ૧૦૦ લાખ કિ.મી.નો પ્રવાસ કર્યો છે. બાયોમેડિકલ સાયન્સ, અત્યાધુનિક મટિરિયલ્સ, ન્યુરો સાયન્સ, કૃષિ અને અવકાશ ટેક્નોલોજી સહિત ૬૦થી વધુ પ્રયોગ સાથે એક્સિઓમ-૪ મિશનના અવકાશયાત્રીઓએ અત્યાર સુધીમાં સૌથી વધુ સંશોધનો હાથ ધર્યા છે.