| AI Image |
End Of World: 1960માં એક વૈજ્ઞાનિકે એવી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી, જે હવે ફરી ચર્ચામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે 13 નવેમ્બર 2026ના રોજ પૃથ્વી પર માનવ સંસ્કૃતિનો અંત આવી શકે છે. આ કોઈ ધાર્મિક કે અંધશ્રદ્ધા આધારિત ભવિષ્યવાણી નહોતી, પરંતુ સંપૂર્ણપણે ગણિત અને વિજ્ઞાન પર આધારિત હતી. અમેરિકન ભૌતિકશાસ્ત્રી હેન્ઝ વોન ફોસ્ટરે પોતાની ટીમ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો અને તે જાણીતી ‘Science’ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
શું હતી હેન્ઝ વોન ફોસ્ટરની થિયરી?
હેન્ઝ વોન ફોસ્ટરે વિશ્વની વધતી જતી વસ્તીનો અભ્યાસ કર્યો હતો. તેમણે જોયું કે માનવ વસ્તી ખૂબ જ ઝડપી ગતિએ વધી રહી છે. તેમણે એક ગણિતીય ફોર્મ્યુલા તૈયાર કરી અને જણાવ્યું કે જો વસ્તી આ જ ગતિએ વધતી રહેશે, તો 13 નવેમ્બર 2026 સુધી પરિસ્થિતિ એવી થઈ જશે કે પૃથ્વી એટલા લોકોને સહન કરી શકશે નહીં.
તેમણે ચેતવણી આપી હતી કે અતિશય વસ્તી વધારાને કારણે ખોરાક, પાણી, જગ્યા અને કુદરતી સંસાધનો ખૂટી જશે. તેના કારણે ભયંકર યુદ્ધો, અકાળ બીમારીઓ અને પર્યાવરણીય વિનાશ સર્જાઈ શકે છે. તેમણે આ દિવસને ડૂમ્સ્ડે એટલે કે પ્રલયનો દિવસ ગણાવ્યો હતો.
આ તારીખ જ કેમ પસંદ કરાઈ?
વોન ફોસ્ટરે કહ્યું હતું કે વસ્તી વૃદ્ધિ ઘાતક ગતિથી વધી રહી છે. પહેલા માનવ વસ્તી ધીમે ધીમે વધતી હતી, પરંતુ 20મી સદીમાં દવાઓ, આરોગ્ય સેવાઓ અને ખાદ્ય ઉત્પાદન વધતા વસ્તી વિસ્ફોટ થયો. તેમના ગણિત મુજબ એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીની કેરીંગ કેપેસિટી એટલે કે માનવોને સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ જશે.
રસપ્રદ વાત એ છે કે તેમણે જે તારીખ આપી હતી એ 13 નવેમ્બર 2026 શુક્રવારનો દિવસ છે. પશ્ચિમી માન્યતાઓમાં “Friday the 13th”ને અશુભ માનવામાં આવે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ તારીખ કોઈ અંધશ્રદ્ધા પરથી નહીં પરંતુ ગણિતીય મોડલના આધારે નક્કી કરી હતી.
શું ખરેખર દુનિયાનો અંત આવી શકે?
આજે દુનિયાની વસ્તી 8 અબજથી વધુ થઈ ગઈ છે. જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પાણીની અછત, પ્રદૂષણ અને ખાદ્ય સુરક્ષા જેવી સમસ્યાઓ સતત વધી રહી છે. અનેક દેશોમાં સુકા, પૂર અને ભૂખમરા જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે વોન ફોસ્ટરની ચોક્કસ તારીખ કદાચ ખોટી સાબિત થઈ શકે, પરંતુ તેમની ચેતવણી સંપૂર્ણપણે અવગણવા જેવી નથી.
આધુનિક એક્સપર્ટ્સ કહે છે કે 2026માં અચાનક દુનિયાનો અંત આવી જવાની શક્યતા ખૂબ ઓછી છે. પરંતુ જો માનવજાત પર્યાવરણ, સંસાધનો અને વસ્તી નિયંત્રણને લઈને ગંભીર નહીં બને તો ભવિષ્યમાં મોટા સંકટો આવી શકે છે. મોટા પાયે યુદ્ધ, અકાળ અથવા કુદરતી આપત્તિઓ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
આજના સમયમાં આ ચેતવણી કેમ ફરી વાયરલ થઈ?
2025 અને 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર “2026માં દુનિયાનો અંત” જેવી ચર્ચાઓ ખૂબ વાયરલ થઈ રહી છે. મીમ્સ, વીડિયો અને પોસ્ટ્સ દ્વારા લોકો આ ભવિષ્યવાણી વિશે વાત કરી રહ્યા છે. કેટલાક લોકો તેને ગંભીરતાથી લઈ રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને માત્ર જૂની વૈજ્ઞાનિક થિયરી તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: WhatsAppમાં આવ્યું Incognito Chat ફીચર, હવે ચેટ હિસ્ટ્રી પણ નહીં રહે
ઉકેલ શું હોઈ શકે?
વિશેષજ્ઞો માને છે કે જો માનવજાત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ, વસ્તી નિયંત્રણ અને કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરશે, તો ભવિષ્યના મોટા સંકટોને ટાળી શકાય છે. એટલે કે આ ભવિષ્યવાણી દુનિયાનો ચોક્કસ અંત નહીં પરંતુ માનવજાત માટે એક ગંભીર ચેતવણી તરીકે જોવી જોઈએ.


