જાપાન સાથે મળીને ચંદ્રયાન-5 માટે તૈયારી કરી રહ્યું છે ભારત: ચંદ્ર પર શું રિસર્ચ કરવામાં આવશે?
ISRO And JAXA Work Together On Chandrayaan 5: ભારત હાલમાં જપાન સાથે મળીને ચંદ્રયાન-5 માટે તૈયારી શરુ કરી રહ્યું છે. આ મિશનને 2025ના માર્ચમાં પરવાનગી મળી હતી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે. ચંદ્રયાન 3ની સફળતા બાદ ભારત દ્વારા ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 5 એમ બે મિશન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક પર કામ ચાલુ છે અને બીજા મિશન માટે પરવાનગી મળી ગઈ છે.
કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે?
ચંદ્રયાન-3ની અદ્ભુત સફળતા બાદ ભારત હવે બે સ્પેસક્રાફ્ટ બનાવી રહ્યું છે, જેના દ્વારા આ મિશન હાથ ધરાશે. ચંદ્રયાન-4 હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજ પર છે, જ્યારે ચંદ્રયાન-5 માટે પરવાનગી મળી ગઈ છે. ભારત અને જપાન સાથે મળીને આ કામ કરી રહ્યા છે, જેને ચંદ્રયાન-5 અને લુનાર પોલાર એક્સપ્લોરેશન તરીકે ઓળખવામાં આવશે. આ મિશન જાપાનના H3 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
ચંદ્રયાન-5 શું રિસર્ચ કરશે?
ચંદ્રયાન-5નો મુખ્ય હેતુ ચંદ્રના સાઉથ પોલર રીજનમાં ઍડ્વાન્સ સ્ટડી કરવાનો છે. આ અભ્યાસ ખાસ કરીને ચંદ્રની સપાટી કે એના નીચે પાણી અને પાણી-બરફ શોધવા માટે કરવામાં આવશે. ભવિષ્યના અન્ય મિશન માટે ચંદ્ર કેટલો ઉપયોગી બની શકે છે અને ત્યાં માનવી રહી શકે કે નહીં, એની શોધ માટે આ મિશન ખૂબ જ મહત્ત્વનું છે. ચંદ્રયાન-5માં 6.5 ટનનું પેલોડ હશે, જેમાં 250 કિલોગ્રામનું રોવર શામેલ હશે, જે ‘પ્રગ્યાન’ કરતાં દસ ગણું મોટું હશે. ચંદ્રની સપાટી અને વૈજ્ઞાનિક પરીક્ષણો માટે આ રોવર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
કોણે ડેવલપ કર્યું રોવરને?
ચંદ્રયાન-5 માટેનું રોવર જપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) દ્વારા બનાવવામાં આવ્યું છે. એમાં વોટર એનાલાઈઝર્સ, સ્પેક્ટ્રોમિટર્સ, ગ્રાઉન્ડ-પેનેટ્રેટિંગ રડાર, અને 1.5 મીટરના ડ્રિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા ચંદ્ર પર પાણીની માત્રા અને તેની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકાશે.
અન્ય એજન્સીઓ પણ કરી રહી છે સહકાર
ISRO દ્વારા લેન્ડર અને અન્ય સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ તૈયાર કરવામાં આવશે. જ્યારે NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) પણ સ્પેશ્યલાઇઝ્ડ પેલોડ્સની મદદ કરી રહી છે, જેમાં ન્યુટ્રોન ડિટેક્ટર્સ અને સ્પેક્ટ્રોમિટર્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લાલચ, અહંકાર, ઈચ્છાઓ અને ભૂતકાળને ભૂલવાનો સ્ટાર સિંગરનો પ્રયાસ, છેવટે લીધો મહાદેવનો આશરો
કેટલા દિવસનું હશે આ મિશન?
આ મિશન ચંદ્રના હંમેશાં અંધકારમાં રહેતા સાઉથ પોલર ભાગમાં કરવામાં આવશે, જ્યાં પાણી-બરફની વિશાળ સંભાવના છે. આ મિશન 100 દિવસ માટેનું હોવાની શક્યતા છે, પરંતુ જો જરૂરી થયું તો એક વર્ષ સુધી લંબાવી શકાય. મિશનની પરિસ્થિતિના આધારે તમામ નિર્ણયો લેવામાં આવશે.