Get The App

ભારત માટે સુવર્ણ અવસર: શુભાંશુ શુક્લા અવકાશની સફરે

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારત માટે સુવર્ણ અવસર: શુભાંશુ શુક્લા અવકાશની સફરે 1 - image


- ચાર સાથીદારો સાથે 14 દિવસ રહીને વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો કરશે 

- નાસા - એક્ઝિઓમ - 4 મિશનમાં  હિસ્સો  લઇને ઇન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશનમાં જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી બન્યા:  આ મિશનમાં ભારતનું 550 કરોડનું યોગદાન છે 

- 28 કલાકની અંતરિક્ષયાત્રા કરીને ભારતીય સમય મુજબ આજે સાંજે  4:30 વાગે આઇ.એસ.એસ.માં પહોંચશે   

કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા)/મુંબઇ : વોટ એ રાઇડ . નમસ્કાર મેરે પ્યારે દેશવાસીઓ.  આપણે બરાબર ૪૦ વર્ષ બાદ  અંતરિક્ષમાં પુનઃ આગમન કર્યું છે. ખરેખર આ અંતરિક્ષયાત્રા અદભુત છે. અમે અત્યારે ૭.૫ કિલોમીટર(પ્રતિ સેકન્ડ)ની ગતિએ પૃથ્વીના વિરાટ ગોળા ફરતે ગોળ ગોળ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ.   ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ આજે ૨૦૨૫ની ૨૫,જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી  વહેલી સવારે  

૨: ૩૧  વાગે (ભારતીય સમય:   આજે બપોરે: ૧૨: ૦૧)  ગ્રેસ કેપ્સુલ(સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સુલનું નવું નામ)માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી તેની બરાબર ૧૦ મિનિટ બાદ આવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. 

શુભાંશુ શુકલા નાસા - એકઝિઓમ -૪ મિશનના હિસ્સારૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા છે.

૨૦૨૫ની ૨૫, જૂન, બુધવાર,  ભારતીય અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનો બીજો   સુવર્ણ  પ્રસંગ સાબિત થયો  છે. આજથી બરાબર ૪૧ વર્ષ પહેલાં ૧૯૮૪ની ૩, એપ્રિલે ભારતીય  હવાઇ દળના વિંગ કમાન્ડર રાકેશ શર્મા સોવિયેત સંઘના સોયુઝ- ટી -૧૧ અવકાશયાનમાં બેસીને અંતરિક્ષ યાત્રાએ ગયા હતા. આમ  રાકેશ શર્મા પૃથ્વી બહાર જનારા ભારતના પહેલા અવકાશયાત્રી છે. હવે ભારતીય હવાઇ દળના ગૂ્રપ કમાન્ડર શુભાંશુ શુકલા અંતરિક્ષયાત્રાએ જનારા બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે. જોકે  શુભાંશુ શુકલા આઇ.એસ.એસ.માં જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી બન્યા છે તે વિશેષ ગૌરવરૂપ પ્રસંગ છે.   

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા): એકઝિઓમ -૪ મિશનમાં ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નું પણ મહત્વનું યોગદાન છે.

આઇ.એસ.એસ. માટેના  એક્ઝીઓમ - ૪ મિશનના  વિશિષ્ટ કાર્યક્રમમાં  અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા), એક્ઝિઓમ સ્પેસ, યુરોપિયન સ્પેસ એજન્સી(ઇ.એસ.એ.), ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) જોડાયેલી છે.  અગાઉ જોકે આ જ મિશન  ટેકનિકલ ખામીને કારણે ચાર વખત મોકૂફ રહ્યું હતું.  મૂળ કાર્યક્રમ મુજબ આ મિશન ૨૦૨૫ની ૨૯, મે એ રવાના થવાનું હતું. જોકે ફાલ્કન રોકેટમાં લિક્વિડ ઓક્સિજનનું ગળતર થતું હોવાનું જાણવા મળ્યું હોવાથી મિશનના કાર્યક્રમમાં  ૮, ૧૦,૧૧, જૂન એમ  ચાર વખત ફેરફાર થયો હતો.  

ભારતના શુભાંશુ શુકલા સાથે   નાસાના અવકાશયાત્રી અને નાસા -  એક્ઝિઓમ -૪ મિશનના કમાન્ડર પેગ્ગી વ્હાઇટસન(અમેરિકા), ટાઇબોર કાપુ(હંગેરી), સ્લાવોસ્ઝ ઉઝ્નાન્સ્કી - વિસ્નેવ્સકી(પોલેન્ડ) પણ છે.

શુભાંશુ શુકલા ગ્રેસ  કેપ્સુલના પાયલોટ તરીકે મહત્વની ફરજ બજાવવાના છે. એટલે કે ગ્રેસ અવકાશયાનું સમગ્ર ટેકનિકલ સંચાલન શુભાંશુ શુકલા કરવાના છે એ ભારત માટે  ગૌરવરૂપ છે.

ચારેય અવકાશયાત્રીઓ  પૃથ્વીથી અંતરિક્ષમાં  ૨૮ કલાકનો  પ્રવાસ કરીને ૪૦૦ કિલોમીટરનું  અંતર પૂરું કરીને આવતીકાલે ગુરુવારેે, ૨૬,જૂને સવારે ૭: ૦૦ વાગે (ભારતીય સમય:  ગુરુવારે સાંજે: ૪: ૩૦ વાગે) ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માં  પહોંચશે.આઇ.એસ.એસ. હાલ અંતરિક્ષમાં ૪૦૦ કિ.મી.દૂરના અંતરે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. 

શુભાંશુ શુકલા અંતરિક્ષમાં કઇ કઇ ભારતીય વાનગીઓનો સ્વાદ માણશે ? 

શુભાંશુ  શુકલા તેમની સાથે કેરીનો મીઠો મધુરો  રસ,  મગની દાળનો અને ગાજરનો સ્વાદિષ્ટ હલવો, ભાતની અમુક મજેદાર ભારતીય  વાનગીઓ પણ  લઇ ગયા છે. શુભાંશુ  શુકલા  ઇચ્છે છે કે  આપણી આ બધી ભારતીય  વાનગીઓનો સ્વાદ  મારા  સાથી અવકાશયાત્રીઓ પણ માણે.

શુભાંશુ   શુકલા આઇ.એસ.એસ.માં  કયા સંશોધન-પ્રયોગો કરશે 

 નાસા - એક્ઝિઓમ - ૪ મિશનના ટાઇમ ટેબલ મુજબ આઇ.એસ.એસ.માં  શુભાંશુ  શુકલા તેમના ત્રણ સાથી અવકાશયાત્રીઓ સાથે ૧૪ દિવસ રહેવાના છે. આ ૧૪ દિવસ દરમિયાન ચારેય અવકાશયાત્રીઓ ૬૦  પ્રકારનાં વૈજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો કરવાના છે. આ તમામ પ્રયોગો અને પરીક્ષણો દુનિયાના ૩૧ દેશ માટે ઉપયોગી બની રહેશે. 

ઇસરોએ શુભાંશુ શુકલા માટે ખાસ  સાત પ્રકારનાં વૈજ્ઞાનિક પ્રયોગોની યાદી બનાવી છે. આ સાત સંશોધનમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં  અવકાશયાત્રીઓને  સ્નાયુઓમાં થતી સમસ્યા, કમ્પ્યુટરના સ્ક્રિનના ઉપયોગથી થતી શારીરિક-માનસિક સમસ્યા, અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં પણ કઇ રીતે વિવિધ પ્રકારના ખેતીના પાક(મગ, મેથી)  ઉગાડવા વગેરેનો સમાવેશ થાય છે.

Tags :