ઓછા થતાં જન્મઆંક વિશે ચિંતા વ્યક્ત કરી મસ્કે: દરેકને ઓછામાં ઓછા ત્રણ બાળકોને જન્મ આપવા માટે કરી વિનંતી
Musk On Birth Rate: ઇલોન મસ્કનું માનવું છે કે બહુ જલદી વસ્તી ઓછી થઈ રહી છે. તેનું માનવું છે કે આવુંને આવું ચાલતું રહ્યું તો મનુષ્યજાતિનો અંત નક્કી છે. આથી તેણે દરેકને ત્રણ બાળકો કરવા માટે વિનંતી કરી છે. જન્મઆંકમાં હવે દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. આ સમસ્યા દુનિયાના મોટાભાગના દેશોમાં જોવા મળી રહી છે. અમેરિકા, જાપાન અને રશિયાએ તો આ માટે અઠવાડિયાના કામના દિવસો પણ ઘટાડીને દીધા છે. તેમ જ ફેમિલી પ્લાનિંગ માટે દિવસ દરમ્યાન ઓફિસના કામમાંથી બ્રેક લેવા માટે પણ વિનંતી કરી છે.
એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપવો
ઇલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં તેણે એક રિપોર્ટ પણ જાહેર કર્યો હતો, જેમાં જન્મઆંક ઓછો થઈ રહ્યો હોવાની વાત કરવામાં આવી છે. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જન્મઆંકને સંતુલિત રાખવા માટે દરેક મહિલાએ 2.7 એટલે કે ત્રણ બાળકો કરવા જરૂરી છે.
મનુષ્યના અંત વિશે ચિંતા વ્યક્ત કરી મસ્કે
આ રિપોર્ટ શેર કરીને ઇલોન મસ્કે પોસ્ટ કર્યું કે, ‘જો આ રીતે જ ચાલતું રહ્યું તો મનુષ્ય પાસે હવે ગણ્યા દિવસો છે. જે પણ લોકો પાસે બાળકો છે, તેમણે પણ હવે ત્રણ બાળકો કરવાની જરૂર છે, જેથી જેમની પાસે એક અથવા તો એક પણ બાળક નથી, તેમની એવરેજ જળવાઈ રહે. જો આ કરવામાં નહીં આવે તો પોપ્યુલેશન ધીમે ધીમે ઓછી થઈ જશે.’
14 બાળકોનો પિતા
ઇલોન મસ્ક 53 વર્ષનો છે અને તેના પાંચ મહિલાઓ સાથે ૧૪ બાળકો છે. આ તેનો અંગત નિર્ણય છે કે તેનાથી શક્ય હોય તેટલા બાળકોનો તે પિતા બનવા માગે છે. તે બાળકોને જન્મ આપી, જનસંખ્યા સંકટ સામે લડવા માગે છે. ઇલોન મસ્કની જેમ ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવના પણ સ્પર્મ ડોનેશન દ્વારા 100થી વધુ બાળકો છે. ૨૦૨૨માં આ અંગે ઇલોન મસ્કે કહ્યું હતું, ‘વસ્તીને લઈને ભવિષ્યમાં જે સમસ્યા આવવાની છે, એ માટે હું મારાથી બને તેટલા તમામ પ્રયત્નો કરી રહ્યો છું. મોટી ફેમિલી માટે આ ખૂબ જ સારો સમય છે. મારી પાસે જેટલા વધુ બાળકો હોય, તેટલાં વધુ મને જોઈએ છે, જેથી હું તેમની સાથે સમય પસાર કરી શકું અને એક સારો પિતા બની શકું.’
આ પણ વાંચો: મસ્કનો નવો અખતરોઃ X પર હવે હૅશટૅગ્સના ઉપયોગ પર પ્રતિબંધ
રોમનું આપ્યું ઉદાહરણ
ઇલોન મસ્કે રોમના સિવિલાઇઝેશનનું ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતે એના પડતીના દિવસો આવ્યા હતા. આ વિશે મસ્કે કહ્યું, ‘તેમની પડતીનું સૌથી મોટું કારણ ઓછો જન્મઆંક હતો. તેમના મોટા-મોટા ઇતિહાસકારોએ પણ આ વાતને અવગણેલી હતી. એ ખૂબ આશ્ચર્યજનક છે. મારા પર જે લોકો વિશ્વાસ નહિં કરે, તેઓ હજી ૨૦ વર્ષ રાહ જોઈ શકે. તેમને પણ ખબર પડી જશે કે હું સાચો છું કે નહીં.’