Get The App

ન્યૂક્લિયર થેરાપીની મદદથી કેન્સરનો દર્દી સાજો થયો, મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ન્યૂક્લિયર થેરાપીની મદદથી કેન્સરનો દર્દી સાજો થયો, મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ 1 - image


Mumbai News |  આધુનિક તબીબી પદ્ધતિની સારવારથી એક  કિશોર(17) કેન્સરની ગંભીર બીમારીમાંથી સાજોનરવો થઇ શક્યો છે. આધુનિક તબીબી પદ્ધતિ છે ન્યુક્લિયર થેરપી. કિશોરને ન્યુક્લિયર થેરપીની વિશિષ્ટ  સારવાર  ટાટા મેમોરિયલ સેન્ટર (નવી મુંબઇ)ના એડવાનસ્ડ  સેન્ટર ઓફ ટ્રીટમેન્ટ , રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર(એ.સી.ટી.આર.ઇ.સી.) માં આપવામાં  આવી છે.

ટાટા મેમોરિયલ સેન્ટર(ટીેમસી)ના ન્યુક્લિયર મેડિસીન વિભાગના વડા ડો.વેન્કટેશ રંગરાજને એવી માહિતી આપી છે કે  કેન્સરનો દર્દી કિશોર વયનો છે. તેને રિલેપ્સ્ડ ન્યુરો બ્લાસ્ટોમા પ્રકારનું કેન્સર થયું હતું. આ પ્રકારના કેન્સરને પિડિયાટ્રીક કેન્સર કહેવાય છે અને તે અતિ ગંભીર ગણાય છે.

અમે કિશોર વયના તે દરદીને ન્યુક્લિયર થેરપીની સારવાર આપી છે.  ન્યુક્લિયર થેરપી એટલે સરળ ભાષામાં પરમાણુ ચિકિત્સા.  પરમાણુ ચિકિત્સાનો ઉપયોગ  કેન્સર, થાયરોઇડ, હૃદય રોગ, હાડકાંની બીમારી, મગજનો રોગ  વગેરેની સારવારમાં થાય છે.

કિશોર હવે  ન્યુરો બ્લાસ્ટોમા  કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી સંપૂર્ણ સાજોનરવો થઇને તેના ઘરે ગયો છે. કિશોરની ઇચ્છા ઉચ્ચ શિક્ષણ સાથે ડોક્ટર બનીને માનવ સેવા કરવાની છે.

આ પ્રકારની આધુનિક સારવારમાં  કિરણોત્સર્ગની  અસર  ધરાવતા પદાર્થનો ઉપયોગ થાય છે.કિરણોત્સર્ગના પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં  દરદીના શરીરમાં દાખલ કરવામાં  આવે છે.  ત્યારબાદ આ કિરણોત્સર્ગી પદાર્થ દરદીના શરીરના જુદા જુદા હિસ્સામાં જાય છે. શરીરના જે ભાગમાં રોગની અસર હોય ત્યાં નિર્દેશ કરે છે. એટલે દરદીના શરીરના ચોક્કસ કયા હિસ્સામાં રોગ કે બીમારીની ચોક્કસ કેટલી અસર છે તેની સચોટ માહિતી મળે છે.   કિશોર વયના દરદીને  ૨૦૨૫ની ૫,મે એ રેડિયોએક્ટિવ  ૧૩૧ - આયોડીન મેટાઆઇડોબેન્ઝાયલગુઆનીડાઇન  (એમઆઇબીજી) નો  ઘણા વધુ પ્રમાણનો ડોઝ આપ્યો હતો. આ ડોઝનું   પ્રમાણ 300 મિલિક્યુરી જેટલું હતું   જે એટમિક  એનર્જી રેગ્યુલેટરી બોર્ડ(એ.ઇ.આર.બી.) ની માન્ય મંજુરી કરતાં ત્રણ ગણું વધુ હતું.  ભારતમાં અત્યારસુધીમાં ન્યુરો બ્લાસ્ટોમાની સારવાર માટે  આ ડોઝનું પ્રમાણ  સૌથી વધુ છે. 

આ પ્રકારની વિશિષ્ટ સારવાર માટે સેન્ટરના જુદા જુદા છ વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલાં સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટ્ટેરિંગ કેન્સર સેન્ટરનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું.       

 એ.સી.ટી.આર.ઇ.સી.નાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે ભારતમાં ન્યુરો બ્લાસ્ટોમાનું  નિદાન અગાઉ ક્યારેય નથી થયું. અમારી પાસે આ પ્રકારના કેન્સરનાં જેટલાં પણ દરદીઓ આવ્યાં છે   તેમને બીમારીની અસર ચોથા સ્તર સુધી થઇ ગઇ હતી જે ગંભીર ગણાય છે. 

જોકે કિશોર વયના દર્દીનું નિદાન 2022માં થયું હતું. તે વખતે તેની ઉંમર 14 વર્ષની હતી.એ તબક્કે તેને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ(દરદીના શરીરમાંથી સૌથી તંદુરસ્ત કોષને લઇને તેના જ શરીરમાં  દાખલ કરવામાં આવે છે) ની સારવાર આપવામાં   આવી હતી. 

બરાબર   આ જ તબક્કે   નિષ્ણાત તબીબોએ  કિશોરને  રેડિયોએક્ટિવ  131- આયોડીન મેટાઆઇડોબેન્ઝાયલગુઆનીડાઇન  (એમઆઇબીજી) ની સારવાર આપવાનું સૂચન કર્યું હતું.જોકે આ પ્રકારની સારવારમાં અને તેના 800 મિલિક્યુરી જેટલો વધુ ડોઝ આપવામાં દરદીને અને સેન્ટરના અન્ય સ્ટાફને ગામા કિરણોની અસર ન થાય તેની  પૂરતી કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સાથોસાથ દરદીનાં બોન મેરો( માનવીનાં હાડકાંમાંની નાજુક -સુંવાળી કુદરતી માંસપેશીઓ)ને પણ નુકસાન ન થાય તેની પણ પૂરતી કાળજી રાખવામાં આવે છે. 

Tags :