- રાજકોટ ભાજપના સ્નેહમિલન યોજાયું, હવે પાટિલની હાજરીમાં કાર્યક્રમ થશે
- સમારંભમાં વજુભાઈ વાળા અને રાજકોટના ધારાસભ્ય-મંત્રી અરવિંદ રૈયાણીની ગેરહાજરી: વક્તાઓએ વિકાસગાથા વર્ણવી
રાજકોટ : રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં તા.૨૦ના કાર્યક્રમો પૂર્વે આજે રાત્રે શહેર ભાજપનું સ્નેહમિલન સાંસદો,ધારાસભ્યના નામ આમંત્રણમાં કમી કરવાના વિવાદ વચ્ચે યોજાયું હતું જેમાં મંચ ઉપર ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણી વચ્ચે ચર્ચા દરમિયાન સાંસદ રામભાઈ મોકરીયા આવતા અને તેમને પૂર્વ મુખ્યમંત્રીએ બેસી જવા ઈશારો કરતા હોવાનો વિડીયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી. તો બીજી તરફ સ્નેહ મિલનમાં કાર્યકરો પણ કંટાળ્યા હતા અને ચાલુ ભાષણે ચાલતી પકડવા લાગ્યા હતા.
આ અંગે ધારાસભ્ય ગોવિંદભાઈએ જણાવ્યું કે તેઓ નવા વર્ષના સાલમુબારક કહેવા મંચ ઉપર રૂપાણી પાસે ગયા હતા. જ્યારે રામભાઈએ કહ્યું કે તેઓની વાત ચાલતી હતી ત્યારે હું ત્યાં ગયો હતો પણ કહેવાતી બોલાચાલી થઈ કે નહીં તે અંગે દરેકનો સંપર્ક સાધતા કોઈએ મગનું નામ મરી પાડયું નથી પરંતુ, વિડીયોમાં રૂપાણી સાંસદને તેમની સીટ પર બેસી જવા ઈશારો કરીને કહી રહ્યાનું દેખાય રહ્યું છે.
બાદમાં કાર્યક્રમ શરુ થયો જેમાં વક્તાઓએ ભાજપની વિકાસગાથા વર્ણવી હતી. આ વખતે હિન્દીમાં પ્રવચન ચાલતું હતું ત્યારે સભામાંથી કાર્યકરો ઉભા થઈને ચાલવા લાગ્યા હતા. આથી નેતાઓ ક્ષોભીલા પડયા હતા અને વ્યવસ્થા સંભાળતા કાર્યકરો અન્યોને ખુરશી પર બેસી રહેવા સમજાવવા ભારે મહેનત કરી રહ્યાનું નજરે પડયું હતું.
રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કે જેમનો નામોલ્લેખ આમંત્રણ પત્રિકામાં ન્હોતો કરાયો તેઓએ સ્નેહમિલનમાં હાજર રહેવાનું ટાળ્યું હતું અને ભાવનગર એક કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા હતા. જ્યારે આમંત્રણ પત્રિકામાં જેનું અપેક્ષિત મુખ્ય મહેમાન તરીકે નામ હતું તે રાજકોટ(ઈસ્ટ)ના ધારાસભ્ય અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી પણ તેમના વતનમાં ભાજપના સ્નેહ મિલનમાં હાજર રહ્યા ન્હોતા.
રીંગરોડ પર પાર્ટી પ્લોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પણ ૪૦૦ની સંખ્યા મર્યાદા, માસ્ક, ડિસ્ટન્સ સહિત કોરોના નિયમોનું ખુલ્લુ ઉલ્લંઘન નજરે પડયું હતું તો કાર્યકરોએ કાર્યક્રમ પહેલા આતશબાજી કરી હતી.
તા.૨૦ના પ્રદેશ ભાજપ પ્રમુખ રાજકોટમાં હોય હવે તેમની હાજરીમાં યોજાનાર કાર્યક્રમને બીજુ સ્નેહ મિલન ગણાવવામાં ફજેતો થવાની શક્યતાના પગલે તેને કાર્યક્રમનું નામ અપાય તેમ પણ ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં કુંડારિયા અને મોકરીયા બન્ને સાંસદોને બાદમાં મનાવી લેવાયા હતા અને બન્નેએ હાજરી આપી હતી.
ભાજપના સ્નેહ મિલન સાથે---
ધો.1 થી 5નું પ્રત્યક્ષ શિક્ષણ ટૂંકમાં શરુ થશે-શિક્ષણ મંત્રી
રાજકોટમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં તો મંત્રીઓએ કોઈ મહત્વની જાહેરાતો કરવાનું ટાળ્યું હતું પરંતુ, બાદમાં મિડીયા સાથે વાતચીતમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધો.૧થી ૫નું કોરોના કાળમાં લાંબા સમયથી બંધ સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરુ કરવા સરકારની ઈચ્છા છે અને બધાં પાસાઓ વિચારીને શક્ય એટલું ઝડપથી આ શિક્ષણ શરુ થશે તેવો નિર્દેશ આપ્યો હતો.


