ઉના, તા.૧૯ જાન્યારી 2021, મંગળવાર
આવતી કાલે ઉનાના નવા બંદરમાં નવી જેટીનું ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે તાલુકાના સૈયદ રાજપરા અને સીમર બંદરને પણ વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પંથકમાં અન્ય વિકાસ કાર્યો ઉપર પણ ધ્યાન આપવાની તાતી જરૂર હોવાની સ્થાનિક લોકોની માંગણી છે
સૈયદ રાજપરા બંદર જર્જરિત હાલતમાં છે, જેટી તૂટી ગયેલી છે. આ બંદરે ૫૦૦થી વધુ બોટો લાંગરી શકે એવી જેટી બનાવવી જરૂરી છે. ઉપરાંત વરસો પહેલાં સીમર બંદરે માલવાહક જહાજોની આવ જા રહેતી પણ હાલ આ બંદર ઠપ્પ છે. આ બંદરનો વિકાસ કરીને મુંબઈ, સુરતને જોડતો દરિયાઈ માર્ગ ફરી ધમધમતો કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત પંથકમાં ખેતીના વિકાસ માટે એગ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના, નેશનલ હાઇ-વેના બાયપાસનું કામ પૂરું થઈ ગયું હોઈ તેનું લોકાર્પણ કરીને ઉના શહેરને નેશનલ હાઇ-વેથી મુક્તિ આપવા તેમજ શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની જરુર છે. શહેરમાંથી પસાર થતો મછુન્દ્રી નદીનો પુલ મોટો અને પહોળો બનાવવા તથા પ્રવાસન સ્થળોના વિકાસ માટે લામધાર, ડેસર, વાંસોજ થઈને અહેમદપુર માંડવીને જોડતો નેશનલ હાઇ-વે મંજૂર કરવા પણ કોંગ્રેસ દ્વારા માગણી ઉઠાવવામાં આવી છે.


