રાજકોટમાં બે નવા પોલીસ મથક અને 160 કવાર્ટર્સનું લોકાર્પણ કરાયું
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા
- જૂનાગઢનાં ભવનાથ, સાવરકુંડલાના વંડા, લાલપુર, જામજોધપુર, કાલાવડના નવા પોલીસ મથક અને આવાસોનું પણ લોકાર્પણ
રાજકોટ : ગુજરાતના રપ જિલ્લાઓમાં પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક, રહેણાંક આવાસો ઉપરાંત પોલીસ મથક સહિતના રૂ.૩૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું ખેડા ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બે પોલીસ મથક, રહેણાંક આવાસો, જૂનાગઢમાં પોલીસ મથક, સાવરકુંડલામાં પોલીસ મથક, લાલપુરમાં પોલીસ આવાસો અને ધોરાજીમાં પોલીસ મથકનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજકોટમાં રૂ.૩ કરોડના ખર્ચે બનેલા ક્રાઈમ બ્રાન્ચ, રૂ.૪ કરોડના ખર્ચે બનેલા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઉપરાંત પીએસઆઈ માટે ૮૦ કવાટર્સ, પોલીસમેનો માટે બે બીએચકેના ૮૦ કવાટર્સનું વરચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપીને કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ તેમણે જણાવ્યું કે છેલ્લા ર૦ વર્ષમાં રૂ.૩૮૪૦ કરોડના ખર્ચે ૩૧,૧૪૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર કાયદો વ્યવસ્થાને મજબુત કરવા લડત આપી સઘન કામગીરી કરી રહી છે. આ પ્રસંગે તેમણે પોલીસ જવાનોને સંબોધતા કહ્યું કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખવા માટે ગુજરાત સરકાર બેઠી છે. આ પ્રસંગે મંત્રીઓ, પોલીસ કમિશનર વગેરેએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. એટલુ જ નહી શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને જવાનોને સન્માનપત્ર એનાયત કરાયા હતા.
જુનાગઢના ભવનાથમાં બે કરોડથી વધુના ખર્ચે બનેલા નવા પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ મથકના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના રૂ.૨.૨૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવીન ભવનો ઉપરાંત લાલપુર ખાતે રૂ.૧.૪ર કરોડના ખર્ચે ર૪ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાલપુર ખાતે યોજાયેલા આ પ્રસંગમાં મંત્રીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જયારે ધોરાજીના પેડક ગ્રાઉન્ડ પાસે નવનિર્મિત સર્કલ પોલીસ સ્ટેશનનું એસપી સહિતના મહાનુભવોની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું.