શ્રી સુકતના પાઠ સાથે વેપારીઓએ ધંધા રોજગારના કર્યા શ્રીગણેશ
ભાવનગર, તા. 01 નવેમ્બર 2019, શુક્રવાર
ગોહિલવાડમાં શુક્રવારે લાભપાંચમના પવિત્ર અવસરે મોટા ભાગના વેપારીઓએ પરંપરાગત રીતે મંગલ મુર્હૂત કરતા તમામ બજારો પુનઃ ધમધમવા લાગી હતી. જો કે, દિવાળીનું મીની વેકેશન અને વીકએન્ડ હોય સ્થાનિક બજારો આગામી તા. 4 નવેમ્બરને સોમવારથી ફરી વખત જોરશોરથી ધમધમી ઉઠશે.
પ્રકાશના પર્વ સમુહ દિપોત્સવીના તહેવારોની મન મુકીને રંગે ચંગે ઉજવણી કરવાની સાથોસાથ કેટલાક વેપારીઓએ નૂતન વર્ષના મંગલ મુર્હૂતે જ તેમના ધંધા રોજગાર શરૂ કરી દીધા હતા. નૂતન વર્ષ, ભાઈબીજ બાદના દિવસોમાં ઘણા વેપારીઓ અને તેમના સ્ટાફ તેમના સ્વજનો, મિત્રવર્તુળ સાથે તહેવારની ઉજવણીનો થાક ઉતારવા અને રીફ્રેશમેન્ટ થવા મનપસંદ પર્યટન સ્થળોએ મીની વેકેશન માણવા માટે સપરિવાર નિકળી ગયા હતા.
બાદ શુક્રવારે લાભ પાંચમના શુભ મુર્હૂતે ગોહિલવાડમાં વેપાર ઉદ્યોગ,ધંધાનો શુભારંભ કરાયો હતો. કારતક માસની શુકલ પક્ષની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિની સાથે જોડાયેલી હોય તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત કારતક સુદી પાંચમ જ્ઞાનપંચમી અને સૌભાગ્ય પંચમી તરીકે પણ જાણીતી છે. લાભ પાંચમના પવિત્ર અવસરે અસંખ્ય સ્થળોએ મહિમાવંત શ્રી સુકતના પાઠ સાથે વેપારીઓએ ધંધા રોજગારના શ્રીગણેશ કર્યા હતા. આ સાથે ભાવનગર શહેર અને જિલ્લાભરની બજારો પુન ચેતનવંતી બની જશે. આગામી દિવસોમાં લગ્નસરાની સિઝન આવી રહી હોય બજારોમાં ફરી ખરીદીની રોનક જામશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતુ.
લાભ પાંચમના પર્વની સાથે જ્ઞાાનપંચમીની જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે શહેરના ઉંડીવખારમાં પ્રાચીન જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા જૈન લાયબ્રેરીમાં ૪૫ આગમના દર્શન,પ્રાચીન હસ્તપ્રત, પ્રાચીન ગ્રંથો, યંત્ર મંત્રના એકસાથે દર્શન થયા હતા.
જૈન ધર્મ પ્રસારક સભા ઉપરાંત વૃધ્ધિચંદજી પાઠશાળા,નૂતન (મોટા) ઉપાશ્રય તેમજ જૈન આત્માનંદ સભાના મધ્યસ્થ ખંડમાં જૈન સાહિત્યના પુસ્તકો, પ્રાચીન ધર્મગ્રંથો, હસ્તપ્રતો,શ્રુતદેવી સરસ્વતિ માતાજીની પ્રતિમાની ગોઠવણી કરાઈ હતી. આ પ્રસંગે ઉપરોકત જ્ઞાાનપંચમી મહોત્સવના સ્થળોએ ચાતુર્માસ બિરાજમાન સાધુ,સાધ્વીજી ભગવંતો અને સકળ સંઘ દર્શનાર્થે પધાર્યા હતા. અને વાસક્ષેપ અને ચંદનના પાવડરથી આ ધર્મગ્રંથોનુ વિધિવત પૂજન કર્યુ હતુ.