Get The App

ભાવનગરના ત્યાગી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આજે ૧૦૮મી જન્મ જયંતી

- મારી પ્રજાનું કલ્યાણ થાજો

- ૫૨ વર્ષના ટુંકા જીવનકાળમાં પણ રાજ્યની સુખાકારી માટે દરેક ક્ષેત્રે કાબેલીયતના દર્શન કરાવનાર તે એક માત્ર રાજવી હતા

Updated: May 18th, 2020

GS TEAM


Google News
Google News
ભાવનગરના ત્યાગી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આજે ૧૦૮મી જન્મ જયંતી 1 - image


ભાવનગર,18 મે 2020 સોમવાર

ભાવનગર રાજ્યના અહોભાગ્ય કે ૧ વારમાં રાજરત્ન મહામાનવ કૃષ્ણકુમારસિંહજી મળ્યા અને આ રત્નએ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં પ્રજાના કલ્યાણ માટે વિવેકતા સભર ઉત્તમ નિર્ણયો લીધા છે તેનો ગૌરવવંતો ઈતિહાસ રહ્યો છે. મહારાજા ભાવસિંહજીનાં મહારાણી નંદકુંવરબાની કુખે તા. ૧૯-૫-૧૯૧૨ના રોજ એક પુત્ર રત્નનો જન્મ થયો તે આપણા મહામાનવ કૃષ્ણકુમારસિંહજી, તેમની બાળવયમાં ઈ.સ. ૧૯૧૮માં માતા નંદકુંવરબાનો સ્વર્ગવાસ થયો. ત્યારપછી માત્ર આઠ માસ બાદ તા. ૧૬-૭-૧૯૧૯ના રોજ પિતા મહારાજા ભાવસિહંજીનો સ્વર્ગવાસ થયો. કૃષ્ણકુમારસિંહજી માત્ર ૭ વર્ષ અને ૨ માસના હતા. તેથી ભાવનગર રાજ્યના વહીવટી કાઉન્સીલના વડા તરીકે તા. ૧૧-૨-૧૯૨૦ના રોજ પટ્ટણી સાહેબની નિમણુંક અંગ્રેજ સરકારે કરી.

કૃષ્ણકુમારસિંહજીએ શરૂઆતમાં નીલમબાગ ખાતે ખાનગી ટયુટરથી ત્યારબાદ રાજકોટથી રાજકુમાર કોલેજમાં અને ઈંગ્લાંડની પ્રખ્યાત હેરો શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. હેરોના ત્રણ વર્ષના અભ્યાસ પછી ૧૬ વર્ષની ઉંમરે ભાવનગર પરત પધાર્યા. ભારતનાં દેશીરાજ્યોના પ્રતિનિધિ તરીકે સર પ્રભાશંકર પટ્ટણીને ગોળમેજી પરિષદમાં સપ્ટેમ્બર ૧૯૩૦માં જવાનું થતાં તેમની સાથે અનુભવ મેળવવા ગોળમેજી પરિષદમાં ગયા. ઈંગ્લાન્ડની સરકારે કૃષ્ણકુમારસિંહજીને ગોળમેજી પરિષદમાં બેસવાની મંજુરી આપી હતી.

કૃષ્ણકુમારસિંહજીના ઘડતરમાં દેશ લેવલના નેતાઓના ભાવનગર રાજ્ય સાથેના મધુર સંબંધોએ ભાગ ભજવ્યો હતો. આમ ઓપચારિક અને અનઔપચારિક બંને પ્રકારની કેળવણીથી તેઓ કેળવાયા હતા. કૃષ્ણકુમારસિંહજીના શિક્ષણ અને અન્ય સુધારાઓ માટે ઘણું કહી શકાય તેમ છે. વિદેશઉચ્ચ અભ્યાસઅર્થે જવા માગતા તેજસ્વી વિદ્યાર્થીઓને ભાવનગર રાજ્ય તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી. અનંતરાય પંડયા અમેરિકાની એમ.આઈ.ટી. સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરી મોટા ગજાના એન્જીનીયર બન્યાં. ભારતમાં એન્જીનીયરીંગ શાખાનો વિકાસ કરવા ભારતમાં પાંચ આઈ.આઈ.ટી. કોલેજ શરૂ થઈ જે ભાવનગરને આભારી છે. ઉપેન્દ્રભાઈ ભટ્ટ પણ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલા. અભ્યાસ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતા ભાવનગરના ચીફ એન્જીનીયર બન્યાં. સૌરાષ્ટ્ર રાજ્યના ચીફ એન્જીનીયર બન્યાં. મુંબઈ રાજ્યના ચીફ એન્જી. બન્યાં. ગુજરાત રાજ્યના ચીફ એન્જી. બન્યાં. ચીફ એન્જી.થી શરૂઆત કરી અંત સુધી ચીફ એન્જી. રહ્યાં.

અમેરિકાની પ્રખ્યાત સંસ્થા એમ.આઈ.ટી.માં ભણવા આવતા વિદ્યાર્થીઓ અંગે સર્વે થયો. (ઈ.સ. ૧૮૮૦થી ૧૯૪૭) જેમાં ઈ.સ. ૧૯૩૦થી ૧૯૪૭ સુધીમાં ભારતભરમાંથી આવેલા વિદ્યાર્થીઓના ૩૩ ટકા વિદ્યાર્થીઓ ભાવનગર રાજ્યના હતા. કારણ મળ્યું મહારાજાનો અંગત રસ, માર્ગદર્શન, સહાય. આવો હતો મહારાજા સાહેબનો ઉચ્ચ કેળવણી અંગેનાદ્રષ્ટિકોણ.

કૃષ્ણકુમારસિહંજીએ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયતના દર્શન આપણને કરાવ્યા છે. તેમણે કોઈ ક્ષેત્ર છોડયું નથી. પ્રજા પરિષદ, ગ્રામ પંચાયતની વ્યવસ્થા, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (ઈલેકટ્રીક વગેરે ચાલે તેવો ગુજરાતમાં સર્વ પ્રથમ) મ્યુનિસિપાલટીની વ્યવસ્તા ભારતભરમાં સર્વપ્રથમ, ગીરગાયની ઓલાદ અંગે કાળજી, કબુતરોની ટ્રેઈનીંગ, વ્યાયામ પ્રચાર મંડળ, આરોગ્ય સુવિધા, આધુનિક બેંક વ્યવસ્થા, દેવાનાબુદી, જમીન સુધારણા ફંડ, છાત્રાલય, પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયો, શિષ્યવૃત્તિ, સ્કાઉટીંગ પ્રવત્તિ, લેખકોના પ્રોત્સાહન માટે ગ્રન્થોતેજક ફંડ આવા તો આર્થિક, વહીવટી, પ્રજાકલ્યાણના અનેક કાર્યો કર્યા. સૌથી અગત્યનું કાર્ય દેશી રાજ્યોના વિલીનીકરણમાં ભારતભરના ૫૬૨ દેશી રાજ્યોમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય તમામ માલ મિલકત રોકડ રકમ સહીત ભારત માતાના ચરણોમાં સમર્પિત કરી વલ્લભભાઈ અને ગાંધીજીનું કામ સરળ કરી આપ્યું. ભારતના સ્વાતંય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આ ઘટના આલેખાઈ ગઈ.

કોઈ કહે મહારાજા સાહેબ રાજ્ય સોપી કમાલકરી ત્યારે કહેવાનું મન થાય કે તેમના લોહીમાં ત્યાગવૃત્તિ વણાયેલી હતી. તેમના પૂર્વજ સૂર્યવંશી રાજાઓ રઘુરાજા, રાજા હરિચંદ્ર, રાજા રામ વગેરે ત્યાગ માટેના આવા તો અનેક નામો આપી શકાય. કૃષ્ણકુમારસિંહજી ઉપરોક્ત ત્યાગી પુરુષોના વંશના અંશ હતા તેથી ત્યાગી શક્યા.

તેમનું આખુ જીવન પરોપકાર માટે હતું. તે કહેતા તમે ગમે તેવા મોટા થાવ પણ માનવ રહેજો. પ્રાર્થના માટે તેઓ કહેતા. જો આપની પાસે પ્રાર્થના માટે સમય નહિં હોય તો આપણને જરૂર પડશે ત્યારે ઈશ્વર પાસે સમય નહિ હોય તો ? તેઓ પ્રાર્થના કરતા ત્યારે ઈશ્વરને કહેતા મારી પ્રજાનું કલ્યાણ થાજો. તેથી તેમના દેહાવસાન પછી તેમની સમાધી પર લખાયું છે મારી પ્રજાનું કલ્યાણ થજો. તા. ૧-૪-૬૫ન ારોજ રાત્રીના મોડા સુધી ભજનના કાર્યક્રમમાં હાજર રહ્યા. જેસલ-તોરલ વગેરે ભજનો સાંભળ્યા. તા. ૨-૪-૬૫ના રોજ ૫૨ વર્ષ, ૧૦ માસ અને ૧૩ દિવસનું આયુષ્ય ભોગવી મહામાનવે અનંતની વાટ પકડી, તેનું દેહાવસન થયું અને અમર બની ગયાં.

Tags :