Get The App

સૌરાષ્ટ્રમાં 'ટોબેકો વોર' : રાતના અંધકારમાં ખોલાવાતી દુકાનો, દિવસે કાળાબજારથી 'લૂંટ'!

- દેશ આખો 'વોર અગેઈન્સ્ટ કોરોના'માં પડયો છે ત્યારે અહીં જાણે વ્યસનની મહામારી...!

- ગોંડલમાં પોલીસ પ્રોટેકશન હેઠળ બાહુબલીઓ તમાકુ- સોપારી કઢાવી આપતા હોવાની રાવ

Updated: May 11th, 2020

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં 'ટોબેકો વોર' : રાતના અંધકારમાં ખોલાવાતી દુકાનો, દિવસે કાળાબજારથી 'લૂંટ'! 1 - image


માંગરોળમાં સરકારી વાહનમાં જ જથ્થાની હેરફેર!

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. 11 મે, 2020, સોમવાર

અત્યારે આખો દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે એવામાં ફાકી - પાનના વ્યસન માટે પંકાયેલા સૌરાષ્ટ્રમાં જાણે ટોબેકો વોર ચાલુ થઈ ગઈ છે. તે એ રીતે કે સેંકડો વ્યસનીઓ તમાકુ- સોપારી વિના પાંગળા બની ગયા છે, અને મોકા પરશ્ત કાળાબજારિયા તત્વોએ એમની લાચારીનો ગેરલાભ લઈને લૂંટવા માંડયા છે. કયાંક અધરાત મધરાતે દુકાનો ખોલાવાય છે, તો કયાંક દુકાનમાંથી દલ્લો લૂંટવો હોય એમ તલબગારો ભીડ લગાવી રહ્યા છે. હદ તો ત્યાં થઈ, જયારે કોંગ્રેસના કોઈ આગેવાને હવે સરકારે પાન-બીડીની હોમ ડીલીવરીની છૂટ આપવી જોઈએ  એવી માગણી પણ ઉઠાવી છે!

ગોંડલ નગરપાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડે રાજકોટ જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે કે ગોંડલમાં સોપારી અને પાન-બીડીના વેપારીઓ દ્વારા તંત્રની મીઠી નજર તળે કાળાબજાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ફાયર સ્ટેશન વિસ્તાર માંડવી ચોક,ગુંદાળા રોડ,  કૈલાશ બાગ કોમ્પલેક્ષ, નાની મોટી બજારમાં ત્રણ ખુણીયાની આસપાસ કેટલાંક  અંદર આવેલ કોમ્પલેક્ષમાં બે ત્રણ વેપારીઓ સહિતના વેપારીઓ મધરાત્રે બાહુબલીઓ સાથે મળી પાન તમાકુનો જથ્થો કાઢી આપે છે અને દિવસના તેના ધૂમ કાળાબજાર થઈ રહ્યા છે. જો આ  ફરિયાદ ખોટી હોય તો પોતે રાજકારણ અને જાહેર જીવન છોડી દેશે તેમ કહીને ઉમેર્યું છે કે બાહુબલીઓને રાત્રે પોલીસ દ્વારા પ્રોટેક્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.  ફરિયાદમાં જણાવયેલા વેપારીઓની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક થવા જોઈએ.

ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ આશ બીડી અને તમાકુના હોલસેલર ની દુકાન ખાતે  તમાકુ અને બીડી લેવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી, જેનો વીડિયો વાયરલ થતાં ધોરાજી પોલીસે  દુકાનદારની પૂછપરછ બાદ વિડીયો ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા કુલ ૧૨ શખ્સો દુકાનમાં ઘૂસ્યાનું જણાતા  તેમની ઓળખ કરી તમામ ૧૨ આરોપીઓને ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર  વિજય કુમાર જોશી,પીએસઆઇ નયનાબેન કદાવલા, એસ.ઓ.જી પોલીસ સ્ટાફે ઝડપી પાડયા હતા અને તેમની સામે જાહેરમાં બખેડો કરવા બદલ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓ જગદીશ સરધારા, જાવીદ લાખાણી,અમીન લુલાણીયા, જાવીદ કલુડી,જાકિર લાખાણી,સૂફીયાન શેખ,અક્રમ શાહમદાર, સરફરાઝ બકાલી,શાબિર દેરડી વાલા, સદામ ગામેતી, કાદિર મકવાણા,મકસુદ વધરિયા ને ઝડપી ધોરાજી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોકત ગુનામાં તમાકુના દુકાનદાર પરેશ બાબુ કોયાણી વિરુદ્ધ જાહેરનામાનો ભંગ બાબતે ગુનો નોંધી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદ વ્યસનીઓ  ૪૮ કલાક ધોરાજી પોલીસ સ્ટેશનમાં  વ્યસન વગર પરેશાન થયા હતા અને બાદ જામીન પર છૂટકારો થયો હતો.

માંગરોળમાં સોપારી, તમાકુની બનાવટોના ધૂમ કાળાબજાર વચ્ચે વ્યસનીઓની હાલત કફોડી થઈ છે. મોં માંગ્યા ભાવ ચૂકવવા બંધાણીઓ મજબૂર બન્યા છે. અમુક હોલસેલરો, રાજકીય વ્યક્તિઓ અને વચેટીયાઓની સાંઠગાંઠથી ચોક્કસ ઢબે નેટવર્ક ચાલી રહ્યું છે. તદુપરાંત જીલ્લા મથકેથી આદેશ બાદ પોલીસે હોલસેલરોની દુકાનોમાં રહેલા તમાકુના પાઉચ તથા ડબ્બા, બીડીના પેકેટો, બજર સહિતની વસ્તુઓની ગણતરી કરી ચોપડે નોંધી છે. પરંતુ તેમાં પણ પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવામાં નફાખોરી કરતા વેપારીઓ સફળ થયા છે. કારણકે આ કાર્યવાહી બાદ પણ વહેલી સવારે લિમડાચોક નજીક જેઈલ રોડ, ગાંધીચોક નજીક હોલસેલરના દુકાન અને ગોડાઉન સહિતની જગ્યાએ તમાકુની બનાવટોના મોટા જથ્થાની અનેક વખત બિન અધિકૃત સરકારી વાહન મા હેરફેર અને વેચાણ કરવામાં આવ્યું હોવાની વાત ઓપન સિક્રેટ જેવી છે. મોટા પ્રમાણમાં થઈ રહેલા આ ગફલાથી પોલીસ અજાણ હોય તેવું માનવાને પણ કોઈ કારણ નથી. બે દિવસ પહેલાં આવા જ એક પાન, બીડી, સોપારીના નામાકિંત વેપારીને વહેલી સવારે એક પોલીસ કર્મચારીએ ઘોલ ઘપાટ કરી હતી, પણ ત્યાં હાજર વચેટીયાએ દરમિયાન ગીરી કરી હતી. આ બાબતે લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

Tags :