ભાવનગર-સોમનાથ વચ્ચે એકપણ સીધી ટ્રેન જ નહીં
- 61 હજારથી વધુ લોકોએ રેલયાત્રા કરી સોમનાથ દાદાના દર્શન કર્યા
ભાવનગર, તા. 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
ભાવનગર રેલવે ડિવિઝન તાબાના સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર છેલ્લા 15 દિવસમાં ઐતિહાસિક સોમનાથ મહાદેવજીના દર્શન કરી 61 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ રેલવેની મુસાફરી કરી હતી. મુસાફરોની ચિક્કાર ગર્દીને કારણે સોમનાથ આવવા અને જવા માટે મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ રહેતી હોવાથી ભાવનગર રેલવેને શ્રાવણ માસના પ્રથમ પખવાડિયામાં 35 લાખથી વધુની આવક થવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવજી મંદિરે દેશભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે. 12 જ્યોતિર્લિંગ પૈકીની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલી હોવાથી શ્રાવણ માસ દરમિયાન દર્શનનું મહાત્મય વધુ રહે છે. આથી શિવભક્તો ખાનગી વાહનો, સરકારી બસો અને રેલવેમાં મુસાફરી કરી સોમનાથ પહોંચે છે.
આખા વર્ષ દરમિયાન આ સ્થાનકે જવા માટે મુસાફરો મળી રહ્યા હોવા છતાં ભાવનગર રેલવે ડિવિઝન નીચે જ આવતા સોમનાથ મહાદેવજી મંદિરે જવા માટે ભાવનગરથી જ એક પણ સીધી ટ્રેનની સુવિધા હાલ ઉપલબ્ધ નથી. શ્રાવણ માસના પ્રથમ 15 દિવસમાં સોમનાથ રેલવે સ્ટેશન પરથી 19,580 અને વેરાવળ રેલવે સ્ટેશન પરથી 41,709 મુસાફરોએ રિટર્ન રેલવે સવારી કરી છે. જેના થકી રેલવેને સોમનાથ સ્ટેશન પરથી 11,299,761 અને વેરાવળ સ્ટેશન પરથી 23,92,999 મળી કુલ 35,22,760 રૂપિયાની આવક થવા પામી છે.
સુરેન્દ્રનગર કે રાજકોટ જવું ફરજિયાત
ભાવનગરથી સોમનાથ મહાદેવજી મંદિરે દર્શન કરવા જવા માટે ભાવનગરથી એક પણ સીધી ટ્રેન સેવા હાલ ઉપલબ્ધ નથી. તેમાં પણ ઢસા-જેતલસર વચ્ચે બ્રોડગેજ રૂપાંતરનું કામ છેલ્લા 6 માસથી ચાલી રહ્યું છે. તેના કારણે ભાવનગરથી સોમનાથ જવામાટે સુરેન્દ્રનગરની લોકલ ટ્રેન અથવા ઓખા ટ્રેન મારફત રાજકોટ જઈ ત્યાંથી મુસાફરોને વેરાવળ કે સોમનાથની ટ્રેન પકડવી ફરજિયાત બની છે. ત્યારે ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ માટે રેલવે વિભાગ દ્વારા સીધી ટ્રેન સેવા શરૂ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.