કણબીવાડમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની કરપીણ હત્યા
ભાવનગર, તા. 19 ડિસેમ્બર 2019, ગુરૂવાર
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં ગત મધ્યરાત્રીના અરસા દરમિયાન આધેડને મોઢે ડુચા દઇ હાથ-પગ બાંધી છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી શખસ મકાનમાંથી રોકડ અને સોનાના દાગીના મળી લાખોની લૂંટ ચલાવી ફરાર બનતા ભારે ચકચાર છવાઇ જવા પામી હતી. વહેલી સવારે ઘટના સામે આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પરિવાર સુરત રહેતો હતો અને મૃતક એકલવાયું જીવન જીવતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ ધજાગરાવાળી શેરીમાં રહેતા દિલીપભાઇ વિરજીભાઇ પટેલ (ઉ.વ.૬૫) ગત રાત્રિના અરસા દરમિયાન પોતાના ઘરે એકલા હતા તે વેળાએ મધ્યરાત્રિના અરસા દરમિયાન અજાણ્યા શખસે તેઓના મકાનમાં પ્રવેશ કરી દિલીપભાઇને મોઢે ડુચા દઇ તેઓના હાથ-પગ બાંધી છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી મકાનના પ્રથમ રૂમના કબાટમાં રાખેલ રોકડ રૂ. 1.10 લાખ તેમજ સોનાના દાગીના ચેન, બે વીટી સહિતના દર-દાગીનાની લૂંટ ચલાવી ફરાર બન્યો હતો.
વહેલી સવારે રક્તરંજીત ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડયા હતાં અને ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. બનાવના પગલે સિટી ડિવાય.એસ.પી., ગંગાજળિયા પો.સ્ટે.ના પી.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી પી.એમ. અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઉક્ત બનાવ અનુસંધાને મૃતકના ભત્રીજા ભાવેશભાઇ જયચંદ્રભાઇ પટેલ (ઉ.વ.37, રે.ફ્લેટ નં. 406, સુભાત્સવ, વિદ્યાનગર)એ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 302, 397, 460 તેમજ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. મૃતક દિલીપભાઇ પટેલ ભાવનગરની ખાનગી પેઢીમાં નોકરી કરતા હોવાનું અને તેઓના પત્ની સહિતના પરિવાર સુરત રહેતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.