વિશ્વ બધિર દિનનો પ્રોગ્રામ રાજયમાં સૌપ્રથમ 1994માં ભાવનગરમાં રજુ કરાયો
- વૈશ્વિક સ્તરે ચળવળ પણ શરૂ કરાઈ હતી
- જે તે સમયે લોકોમાં એવી માન્યતા હતી કે, બધિરોની જીંદગી નિરાશા અને હતાશાજનક રીતે વીતી જશે
બધિરોમાં રહેલી માન્યતામાં પરિવર્તન લાવવા માટે વિશ્વમાં અમુક ઠેકાણે બધિરોએ પ્રાપ્ત કરેલી શિક્ષણ, ટેકનોલોજી તેમજ તેમની કુશળતાઓ અને સ્વાવલંબન દેખાડવાના આશયથી વિશ્વ બધિર દિનનો પ્રોગ્રામ ગુજરાતમાં પહેલી જ વાર ભાવનગર ખાતે ૧૯૯૪ ની સાલમાં રજુ કરવામાં આવ્યો હતો.
ભાવનગરની બધિર સંસ્થા દ્વારા ૧૯૯૪ થી રેલી અને બધિર દિનનો કાર્યક્રમ દર વર્ષે ઉજવવાનુ શરૂ કરાયુ હતુ.તેમાંથી પ્રેરણા લઈને ગુજરાતભરની બધિર સંસ્થાઓએ તેમના શહેરોમાં ૨૦૦૭ થી ધીરે ધીરે રેલી અને અન્ય કાર્યક્રમો શરૂ કર્યા હતા. ભાવનગર સહિત રાજયમાં આ દિવસોમાં રમત-ગમત, પ્રવાસ પર્યટન, મેડિકલ ચેકઅપ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. વિશ્વના અલગ અલગ દેશોના બધિર લોકોને પ્રોત્સાહન અને અધિકાર આપવાના ઉમદા આશયથી ગત ૨૬ સપ્ટેમ્બર ૧૯૫૮ થી રોમ ઈટાલી ખાતે વિશ્વ બધિર દિનની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો.ત્યાર બાદ વૈશ્વિક સ્તરે ચળવળ શરૂ થઈ હતી. તેમાં બધિરોને લગતા પ્રશ્નો, અધિકારો, ઝુંબેશ, સંવેદના, ચર્ચા પ્રદર્શનો તેમજ મિડીયા કવરેજ દ્વારા વિશ્વ સમુદાયને ધ્યાન દોરવાના હેતુથી તેમજ બધિરોને વિશ્વમાં એકતા દર્શાવવા માટે થઈ હતી. બધિર સમાજના લોકો એવી માન્યતા ધરાવતા હતા કે, તેઓની જીંદગી નિરાશા અને હતાશાજનક રીતે વીતી જશે. ભવિષ્ય અંધકારમય બની જશે.
હવે બધિર સપ્તાહ ઉજવાય છે...
અગાઉ દર વર્ષે સપ્ટેમ્બર માસની ૨૬મીએ વિશ્વ બધિર દિન ઉજવાતો હતો તે એક દિવસ ટૂંકો પડતા તેમાં ફેરફાર કરીને તા.૨૩ સપ્ટે.થી એક અઠવાડિયા સુધી બધિર સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા હોય તેનાથી બધિરોમાં સારી એવી જાગૃતિ આવવા લાગી છે.