શારદીય નવરાત્રિમાં આઠમ અને નોમના હવનનો અનન્ય મહિમા
- નવલી નવરાત્રિ મહોત્સવનું મંગળવારે સમાપન થશે
- આરાદ્યદેવી, કુળદેવી માતાજીના મંદિરો, મઢમાં હોમાત્મક હવન, અન્નકુટના દર્શન અને મહાપ્રસાદનું વિશેષ આયોજન
જગત જનની આદ્યશકિતની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની ગોહિલવાડમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હાલ ચોતરફ હર્ષોલ્લાસભેર રંગેચંગે ઉજવણી થઈ રહી છે. આ નિમીત્તે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવેલા શેરીઓ, મહોલ્લાઓ, સાર્વજનિક સર્કલો, રહેણાંકીય સોસાયટીઓના કોમન પ્લોટ, પાર્ટીપ્લોટ, જ્ઞાાતિ, સમાજની વાડી, બોર્ડિંગ અને છાત્રાલય ઉપરાંત માઈ મંદિરોના પરિસરમાં ડીજે અને ઓરકેસ્ટ્રાના સંગાથે દાંડીયારાસની રમઝટ બોલાવાઈ રહી છે. જેમાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ ખેલૈયાઓ મન મુકીને ઉજવણી કરી રહ્યા છે. જયારે અનેક સ્થળોએ પ્રાચીન ગરબી, બેઠા ગરબા ઉપરાંત ભવાઈ અને નાટક સહિતના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. જેમાં પણ ભાવિકો ઉત્સાહભેર ધર્મલાભ લઈ રહ્યા છે. આ શારદીય નવરાત્રિ મહોત્સવના સમાપન અવસરે આવતીકાલ તા.૩.૧૦ ને સોમવારે અષ્ટમી તેમજ તા.૪.૧૦ ને મંગળવારે નોમના મહાપર્વે હોમાત્મક હવન યોજી માતાજીને વિદાયમાન આપવામાં આવશે.આઠમ અને નોમના દિવસે માઈમંદિરમાં કલાત્મક સુશોભન અને શણગાર કરાશે. તેમજ માતાજીને વિશેષ અલૌકિક શણગાર કરાશે તેથી આજના દિવસનું અનન્ય મહત્વ હોય મોટા ભાગના પરિવારજનો માતાજીના દર્શનાર્થે અચૂક જતા હોય છે.
નૈવેદ્યનું અનન્ય મહામ્ય...
માનો નૈવેદ્ય એ કોઈ પ્રસંગ કે ઉત્સવ નહિ બલકે મહામહોત્સવ ગણાય છે અને તેનું ધર્મશાસ્ત્રોમાં સવિશેષ મહાત્મ્ય વર્ણવાયુ હોય દેવી ઉપાસનાના અંતિમ દિવસોમાં આવતા અષ્ટમી તેમજ નોમના મહાપર્વે ગોહિલવાડના અઢારેય વર્ણના આરાધ્યદેવી, કુળદેવી માતાજીના મઢમાં તેમજ પ્રાચીન અને અર્વાચીન માઈમંદિરોમાં માતાજી સન્મુખ ભાવ અને ભકિતભેર નૈવેદ્ય અને અલગ-અલગ જાતના ૫૬ ભોગ ધરવામાં આવશે. આ તમામ મીઠાઈઓ અને ફરસાણ સહિતની એક એકથી ચડીયાતી ખાદ્યસામગ્રીઓ,વ્યંજનોના દિવ્ય અન્નકુટના દર્શન શ્રધ્ધાળુઓ માટે જે તે દિવસે ખુલ્લા રખાશે.