બુધેલની ઘટનાને પગલે બપોર સુધી વેપારીઓએ ધરણા કર્યા
ભાવનગર, તા. 15 નવેમ્બર 2019, શુક્રવાર
ભાવનગર જિલ્લા બુધેલ ગામ નજીક બે દિવસ પૂર્વે કેટલાક અલંગના વેપારીઓને કેટલાક શખસોએ મારમાર્યો હતો, જેના પગલે વેપારીઓએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કર્યા હતાં. આ ઘટનાના આજે શુક્રવારે ત્રીજા દિવસે પણ વેપારીઓએ બપોર સુધી ધરણા કર્યા હતાં. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા ધરણાનો કાર્યક્રમ બંધ કર્યો છે તેમ વેપારીઓએ જણાવ્યુ હતું.
ગત બુધવારે બપોરના સમયે બુધેલ નજીક મોટરકાર ઓવરટેક કરવાની બાબતે કેટલાક શખસોએ અલંગના કેટલાક વેપારીઓને મારમાર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓ ભેગા થયા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતાં. આ બાબતે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી અને આરોપી સામે કડક પગલા લેવા માંગણી કરી હતી. ભોગ બનનાર વેપારીએ વરતેજ પોલીસ મથકમાં મારમાર્યાની અને લૂંટ કર્યાની આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાને પગલે ગત બુધવારે રાત્રીના 11 કલાક સુધી વેપારીઓએ જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કર્યા હતા અને આરોપીઓને તત્કાલ ઝડપી લેવા માંગણી કરી હતી, ત્યારબાદ ગઈકાલે ગુરૂવારે આખો દિવસ વેપારીઓએ ધરણા કર્યા હતા અને અલંગ બંધ રાખ્યુ હતું.
આજે શુક્રવારે પણ વેપારીઓએ બપોર સુધી ધરણા કર્યા હતાં. બપોર બાદ ધરણા પૂર્ણ કરી દેવામાં આવ્યા હતાં. આ અંગે અલંગના વેપારીઓએ જણાવ્યુ હતુ કે, પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા ધરણા બંધ કર્યા છે. આગામી 20મી સુધી ધરણા કરવામાં નહી આવે પરંતુ યોગ્ય કાર્યવાહી નહી થાય તો ફરી બેઠક કરવામાં આવશે.