લીલા શાકભાજીના ભાવ ભડકે બળતા શરદપૂનમે ઉંધિયાનો સ્વાદ મોંઘો પડશે
- શાકભાજીના ભાવ વધવા છતા ડિમાન્ડમાં ઘટાડો થશે નહીં
- શીંગતેલ, બળતણ, વિવિધ ગરમ મસાલાઓ, શ્રમિકોના મહેનતાણાના દર વધી જતા ઉંધિયાના ભાવમાં પ્રતિ કિલોએ ૧૫ ટકા સુધીના વધારાની શકયતા
ઉત્સવપ્રિય અને ખાણી-૫ીણીના રસિક ભાવનગરવાસીઓ દર વર્ષે શરદપૂનમના અવસરે ઉંધીયુ, દહીંવડા અને ગુલાબજાંબુની જયાફત માણતા હોય છે. દરવર્ષે ગોહિલવાડમાં આ પર્વે નોંધપાત્ર સંખ્યામાં ઠેર-ઠેર ત્યારે ઉંધીયુ, દહીંવડા અને ગુલાબજાંબુનું વેચાણ થયું હોય છે. હાલ પણ તહેવારને લઈ વિક્રેતાઓ અને કેટરર્સે તૈયારીઓ આરંભી છે. જેના કારણે શહેરના ગંગાજળીયા તળાવ વિસ્તારમાં આવેલી મુખ્ય શાકમાર્કેટ ઉપરાંત વડવા,ચિત્રા માર્કેટીંગ યાર્ડની બહાર, શિવાજી સર્કલ, ભરતનગર,ભગવતીસર્કલ, કાળીયાબીડમાં પાણીની ટાંકી પાસે આવેલ મીની શાકમાર્કેટમાં કેટલાક લીલા શાકભાજીની આવક વધી છે. તહેવારને અનુલક્ષીને લીલાશાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને પહોંચ્યા હોય તેમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વર્ષે ઉંધીયા સહિતનીખાદ્યસામગ્રીઓનું વેચાણ ઘટી જવાની વિક્રેતાઓ અને કેટરર્સને દહેશત સતાવી રહી છે. આ સાથે ભાવવધારાની અસર મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ પર પણ પડશે તેમ પણ જણાઈ રહ્યુ છે.
આ વર્ષે પણ ફરી એક વખત તિથિની વિસંગતતાને લઈને આગામી તા.૧૬ને બુધ તથા તા.૧૭ને ગુરૂવારે એમ બે દિવસ શરદપૂનમ ઉજવાશે.જેના પગલે આજથી જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મુવ્યત્વે શાકભાજીના રાજા ગણાતા બટાકા રૂા.૧૦૦ ના અઢી કિલો, સારી ગુણવત્તાના ટમેટા રૂા.૭૦ પ્રતિ કિલો જયારે ટીંડોરા, ભીંડો અને રીંગણા રૂા ૬૦ કિલો અને ગુવાર પ્રતિ કિલો રૂા ૬૦ના ભાવેવેચાઈ રહ્યા છે. જયારે શાકભાજીની સાથે સલાડ બનાવવા માટે આવશ્યક ગણાતા ડુંગળી અને કોબીના ભાવમાં પણ આંશિક ભાવવધારો જણાયો છે. જયારે શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવામાં સિંહફાળો આપનાર લસણના ભાવ તો છેલ્લા ત્રણેક માસથી સતત આસમાનમાં જ વિહરી રહ્યા છે. બજારમાં હજુ પણ સારી ગુણવત્તાનું લસણ રૂા ૫૦ થી રૂા ૬૦ નું અઢીસો ગ્રામના ભાવે વેચાઈ રહ્યુ છે.શરદપૂનમને લઈને સ્થાનિક મુખ્ય વિક્રેતાઓ,રસોયાઓ અને દુકાનદારો દ્વારા કેટલાક શાકભાજીના બલ્ક ઓર્ડર એડવાન્સમાં બુકીંગ થઈ ગયા હોય તેની કુત્રિમ શોર્ટેજ વર્તાઈ છે. હાલ લીલા શાકભાજી ઉપરાંત શીંગતેલ, બળતણ, ગરમ મસાલાઓ,સુકામેવા, રસોયા અને શ્રમિકોના મજુરીદર તેમજ ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધી જતા શરદપૂનમે રો મટીરીયલ્સની ગુણવત્તા મુજબ આ વર્ષે ઉંધીયાંમાં પ્રતિકોલ અંદાજે ૧૫ ટકા સુધીનો ભાવ વધારો નોંધાશે તેમ જાણવા મળેલ છે.