રાજ્ય કર્મચારી મહામંડળ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કરશે
- વારંવારની રજૂઆતોનું કોઇ નિષ્કર્ષ નહીં આવતા
- તારીખ ૩ સપ્ટેમ્બરથી રેલી, આવેદન, માસ સી.એલ., પેનડાઉન, હડતાલના તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરાયા
રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરીને તે પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજૂઆતો કરવા છતાંય આજદિન સુધી કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર તરફથી કોઇપણ પ્રકારની હકારાત્મક ઉકેલની દિશામાં કોઇ ચર્ચા કરવામાં આવેલ નથી. જેથી તમામ કર્મચારી આલમમાં ખુબ જ અસંતોષ અને ભારોભાર રોષની લાગણી વ્યાપી ગઇ છે. આમ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની તા.૯-૮ના રોજ સામાન્ય સભાની બેઠકમાં થયેલા ઠરાવ પ્રમાણે રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓના હિતોને લગતા કુલ ૧૫ જેટલી અગત્યની મુખ્ય માંગણીઓ કે જેમાં જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી, ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મુળ નિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે, સાતમા પગાર પંચના બાકી ભથ્થા તા.૧-૧-૨૦૧૬ની અસરથી લાગુ કરવામાં આવે, રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક ૧૦-૨૦-૩૦ વર્ષની ઉચ્ચતર પગાર ધોરણનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર મર્યાદા સિવાય આપવો, રૂા.૧૦ લાખની મર્યાદામાં કેશલેસ મેડીકલેમની મર્યાદા આપવી, વય નિવૃત્તિ ૫૮ વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક ૬૦ વર્ષ કરવી, ૩૦મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇજાફા સહિત પેન્શનનો લાભ આપવો, વર્ગ-૩ અને વર્ગ-૪માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા સહિતની ૧૫ માંગણી કરાઇ છે. સંયુક્ત બેઠકમાં સરકાર સમક્ષ વાટાઘાટો કરીને ઉકેલ લાવવા માટે આ અંતિમ આવેદનપત્ર રજૂ કરવાનું ઠરાવેલ છે. તેમજ આ અંગે તા.૩૦-૮ સુધીમાં પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ન આવે તો તા.૩-૯ના તમામ જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદન, તા.૧૧-૯ના રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદન, તા.૧૭-૯ના રાજ્યના સમગ્ર કર્મચારીઓની માસ સી.એલ., તા.૨૨-૯ના રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન, તા.૩૦-૯ના સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલના કાર્યક્રમો જાહેર કરાયા છે.