Gujarat

કુંભારવાડામાં છરીના ઘા ઝીંકીને મિત્રની હત્યા કરનાર શખ્સ ઝબ્બે

By GS Team
17 Sep 20222 mins read
This article was originally published on 17 Sep 2022
કુંભારવાડામાં છરીના ઘા ઝીંકીને મિત્રની હત્યા કરનાર શખ્સ ઝબ્બે

- સામાન્ય બોલાચાલીમાં આવેશમાં આવી હત્યા કરી નાખ્યાની શખ્સની કબુલાત

- હત્યા વેળાએ ઉપયોગમાં લેવાયેલ હથીયાર કબજે લેવાયું, શખ્સ અગાઉ પણ મારીમારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ પર મોડી રાત્રીના બે મિત્ર વચ્ચે બોલાચાલી થતા એક મિત્રએ ઉશ્કેરાઇ છરીના ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી નાખી હતી. જે મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મિત્રની હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી તેના કબજામાંથી હત્યામાં ઉપયોગમાં લીધેલ હથીયાર બરામત કર્યું હતુ. જ્યારે પોલીસ તપાસમાં શખ્સ અગાઉ પણ મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ, શેરી નં.૧૫, રામાપીરવાળા ખાંચામાં રહેતા સાહીલભાઈ ઉર્ફે ઉધડો સુરેશભાઇ ગોહેલ બે દિવસ પુર્વે રાત્રીના ૧૨.૪૫ કલાકના અરસા દરમિયાન તેના મિત્ર નિતીન ઉર્ફે લબક મકવાણા (રે. બાનુબેનની વાડી, કુંભારવાડા) સાથે કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ, શેરી નં.૭ પાસે આવેલ મેલડીમાંના વંડા નજીક બેઠા હતા તે વેળાએ બંને વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થતા નીતીન ઉર્ફે લબકે એકદમ ઉશ્કેરાઇ જઇ સાહિલ ઉપર જીવલેણ હુમલો કરી તેના કબ્જામાં રહેલ છરીના આડેધડ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી નાસી છુટયો હતો. ઉક્ત રક્ત રંજીત ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જ્યારે પોલીસે પણ ઘટના સ્થળ પર દોડી જઈ છાનબીન હાથ ધરી હતી.

ઉક્ત બનાવ અનુસંધાને મૃતક યુવાન સાહિલભાઈ ઉર્ફે ઉધડાના પિતા સુરેશભાઇ કાવાભાઇ ગોહેલે બોરતળાવ પોલીસ મથકમાં સુરેશભાઇ કાવાભાઇ ગોહેલે બોરતળાવ પોલીસ મથકમાં નીતીન ઉર્ફે લબક મકવાણા વિરૂધ્ધ ફરીયાદ આપતા બોરતળાવ પોલીસે આઈપીસી. ૩૦૨, ૩૨૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીને હત્યા કેસમાં ફરાર નિતીન ઉર્ફે લબકની ધરપકડ કરી લઈ તેના કબજામાંથી હત્યા વેળાએ ઉપયોગમાં લેવાયેલ હથીયાર બરામત કર્યું હતુ. જ્યારે પોલીસ તપાસમાં શખ્સ અગાઉ પણ મારા મારીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું હતું.