Get The App

સૌરાષ્ટ્રમાં મહામારી પાંચ ગણી પ્રસરી,વધુ 115 કેસો

- અગાઉ રોજના વીસ સામે હવે સરેરાશ એકસો કેસો

- રાજકોટ - જુનાગઢ જિલ્લામાં 41-41 કેસો! જામનગર 13 કેસો, 2ના મોતઃ સોમનાથ 8,મોરબી 7, અમરેલી 4 કેસો

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં મહામારી પાંચ ગણી પ્રસરી,વધુ 115 કેસો 1 - image


રાજકોટ,તા.11 જુલાઈ 2020, શનિવાર

સૌરાષ્ટ્રમાં મહામારી અગાઉના લોકડાઉનના સમય કરતા હવે પાંચ ગણી વધુ પ્રસરી ગઈ છે. સાત જિલ્લાઓમાં કેસોની સંખ્યા અગાઉ દૈનિક ૨૦ આસપાસ રહેતી હતી તે હવે ૧૦૦ને પાર થઈ જાય છે.  આજે રાજકોટ જિલ્લામાં ૪૧ કેસો નોંધાયા હતા અને રાજકોટ શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ૨ દર્દીઓના મોત થયાનું સત્તાવાર જાહેર થયું છે. તો જુનાગઢ જિલ્લામાં પણ એક દિવસમાં ૪૧ કેસો ઉપરાંત જામનગરમાં વધુ ૧૩ પોઝીટીવ કેસ, મોરબીમાં ૭, અમરેલી ૪, ગીર સોમનાથ ૮, પોરબંદર ૧ કેસ  સહિત ૧૧૫  કેસો સાંજ સુધીમાં નોંધાયા છે. રાજકોટ અને જામનગર જિલ્લામાં ૨-૨ સહિત ૪ના સત્તાવાર મૃત્યુ જાહેર થયા છે. 

રાજકોટ જિલ્લામાં શહેરમાં ૩૧ સહિત કૂલ ૩૬૯ તો જિલ્લામાં વધુ ૧૦ કેસો સહિત ૨૭૬ સહિત જિલ્લાના કૂલ કેસોની સંખ્યા  ૬૪૫ પર પહોંચી છે અને આ જ રીતે મહામારી જારી રહેશે તો નજીકના સમયમાં જ કેસો ૧૦૦૦ને પાર થઈ જશે. જિલ્લામાં આજે સત્તાવાર બે મૃત્યુ જાહેર થયા છે. કૂલ મૃત્યુ આંક જિલ્લા અને મહાપાલિકા તંત્ર દ્વારા આપવાનું આશ્ચર્યજનક રીતે બંધ કરાયું છે, તંત્ર કોરોનાની સારવાર લેતા દર્દીના મોત તે રીતે પણ આંકડા જારી કરી શકે છે, કારણ કે મોતને છુપાવી શકાતું નથી. મૃત્યુ આંક ૩૦ને આંબી ગયાની શક્યતા છે. આજે જામકંડોરણા, ધોરાજીના કુંભારવાડા રોડ વિસ્તાર તથા ગોંડલના ભોજપરા અને રાજકોટના ૩૧ સહિત જિલ્લામાં કૂલ ૪૧ કેસો નોંધાયા છે.

જુનાગઢમાં આજે એક દિવસમાં જ ૩૧ કેસો નોંધાયા છે. જુનાગઢના મેયરના પત્ની મીનાબેન ધીરુભાઈ ગોહિલ (ઉ.૫૯)નો તેમજ જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા ૩૧ વર્ષીય પોલીસમેનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઉપરાંત ભેંસાણ તાલુકાના હડમતીયા, વંથલીના નવલખી, કણકા, કેશોદની આલાપ સોસાયટી, વિસાવદરમાં મારુતિનગર, કેવદ્રા, જુનાગઢના લક્ષ્મીનગર, ત્રિલોકનગર, આદિત્ય નગર, સિલ્વર પાર્ક, ફૂલીયા હનુમાન, ગીરનાર હાઈટ્સ, પોસ્ટ ઓફિસ સામે આનંદ એપાર્ટમેન્ટ, ગાંધીગ્રામ વસુંધરા શેરી, જોષીપરા, આદર્શનગર, વડલી ચોક, નીલકંઠનગર, ઝાંઝરડા રોડ, મધુરમ બેન્ક શેરી, ટીંબાવાડી, અંબાજીનગર, દિપાંજલીમાં ગોલ્ડન પાર્ક, પાદર ચોક, જોષીપરામાં ગોપાલવાડી, શક્તિનગર, કિરીટ નગર ભેંસાણ તા.ના ગળથ વનગેરે વિસ્તારમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૪૧ કેસો નોંધાયા છે.  

જામનગર જિલ્લામાં આજે વધુ ૧૩ કેસો નોંધાયા છે અને કોરોનાની સારવાર લેતા પટેલ કોલોની શેરી નં.૪માં ૪૯ વર્ષના કમલેશભાઈ તન્ના અને ગુરુદ્વારા પાસે જયભવાની એપાર્ટમેન્ટમાં ૬૫ વર્ષના પ્રદિપભફાઈ દવે નામના  બે દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. નવા કેસો ધ્રોલના ફૂલવાડી રોડ, ખારવા ગામ, ફતેપુરા,ધ્રોલ, મોચી બજાર, કાલાવાડ, સિક્કા, વગેરે વિસ્તારમાં તથા જામનગરના પટેલ કોલોની, સહિતના વિસ્તારમાં નોંધાયા છે. 

મોરબી જિલ્લામાં છ દિવસમાં કોરોનાના કેસો ડબલ થઈ ગયા છે. આજે વધુ સાત નવા કેસો નોંધાયા છે જેમાં વાવડી રોડ ઉમિયા સોસાયટી, જુના બસ સ્ટેન્ડ પાસે, ચિત્રકૂટ સોસાયટી, નાની બજાર, માધાપર, બંધુનગર, વાંકાનેરની અપસરા શેરી વિસ્તારમાં નોંધાયા છે. 

ગીર સોમનાથ જિલ્લામાં આજે સાંજ પહેલા કોડીનારમાં મૂળ સુરતના બે વ્યક્તિના પોઝીટીવ કેસ બાદ રાત્રે વધુ ૫ પોઝીટીવ કેસ જેમાં ૩ કોડીનારમાં, ૧ ઉના અને ૧ ભાવનગરના દર્દીનો આવેલ છે. આમ, કોડીનારમાં એક જ દિવસમાં આજે વધુ ૫ કેસો નોંધાયા છે. 

અમરેલી જિલ્લામાં લીલાના દાડમા ગામ, ચલાલા, રાજુલાના ડુંગર અને લાઠીના ધામેલ ગામ એમ ચાર પોઝીટીવ કેસો આવ્યા છે જેમાં ત્રણ મુંબઈ,સુરતથી આવેલા દર્દીઓ હતા. કૂલ ૧૧ના મૃત્યુ થયા છે અને કેસની સંખ્યા ૧૩૬ પર પહોંચી છે.  આ ઉપરાંત પોરબંદરમાં સુરતથી કુતિયાણા આવેલ યુવાનને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવેલ છે. 

Tags :