- મત માંગનારા પ્રતિનિધિને લોકોની હાલાકી દેખાતી નથી
- ચુંટણી પડઘમ વાગતાની સાથે ચોતરફ રોડના કામ વેગવંત બન્યા પણ ચોક્કસ વિસ્તારની બાદબાકી
શહેરમાં ચુંટણી આચારસંહિતના પૂર્વે ફટાફટ રોડના કોન્ટ્રાક્ટ મંજુર થયા અને કેટલાક તે પહેલા મંજુર થયા હતા પરંતુ કામને વેગ હાલનાં સમયમાં અપાઈ રહ્યો છે. જ્યારે ચૂંટણી માથે છે. આ અપાયેલ કામમાં ક્યાંક પુરા રોડની જરૂરિયાત ન હોવા છતાં સળંગ રોડના કામ હાથ ધરાયા છે. તો ક્યાંક માત્ર થાગડ થીગડ કરવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં તરસમીયા ભળી ગયેલ હોય ભરતનગર રીંગરોડ તરફ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે અને એ તરફ આવનજાવન લઈ ટ્રાફીક પણ સવિશેષ વધ્યો છે ત્યારે લાંબા સમયથી રીપેરીંગની રાહ જોતો સિંધુનગર દેવુમાના મંદિરથી સરદારનગર તરફ જવાનો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં છે. પ્રશાસનને આટલા કટકા સિવાય તેની આગળનો અને તેની પાછળના રોડના ગાબડા દેખાયા પરંતુ આ બિસ્માર રોડને પેવર કરવાનું હજુ સુધી સુઝતું નથી. રાહદારીઓ આ રોડ પસાર કરવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આ રસ્તા પર પાંચથી દસ ફુટના પહોળા ખાડા પડી જવાનાં કારણે ગાડાકેડા માર્ગ બની ગયેલ છે. રથયાત્રા પ્રસંગે પણ સિંધુનગરવાળા રોડનો મુદ્દો ચગ્યો હતો પરંતુ તંત્ર આ સાર્વજનીક કામ કરવા જાણે માંગતુ જ નથી. સ્વીમીંગ પુલ આવવા વાળા તરવૈયાઓને પણ આ બદતર રોડના કારણે મુશ્કેલી ભોગવવી પડે છે અને હાલ ચુંટણી ટાણે મત માંગનારા પ્રતિનિધિઓને લોકોની હાલાકી દેવાતી નથી જેને લઈ વ્યાપક રોષ ફેલાયો છે.


