જૈન પરંપરામાં આરાધનાના સર્વશ્રેષ્ઠ ચાતુર્માસનો આજથી પ્રારંભ થશે
- ચાતુર્માસ દરમિયાન ભકિતકાર્યોનો ધમધમાટ જામશે
- રવિવારે યાત્રાધામ પાલિતાણાની પાવનકારી શેત્રુંજય ગિરિરાજની છેલ્લી યાત્રા થશે, સોમવારથી યાત્રા બંધ રહેશે
જૈનશાસનના શ્રધ્ધેય મુનિ ભગવંતો,સાધુ, સાધ્વીજી ભગવંતો સાધુ તો ચલતા ભલાની લોકોકિત અનુસાર હંમેશા ધર્મ ધજા લહેરાવતા વિહરતા જ રહે છે. ચોમાસાના ચાર મહિના એટલે કે, અષાઢ સુદ ચૌદશથી આગામી કારતક સુદ પુનમ સુધી મુનિ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતો એક જગ્યાએ સ્થિર રહે છે. જેે ચાતુર્માસ તરીકે ઓળખાય છે.ચાતુર્માસના ચાર મહિના સુધી જૈન ધર્મના સાધુ, સાધ્વીજી ભગવંતો વિહાર કરતા નથી.ચાતુર્માસ અગાઉ ગુરૂ ભગવંતોના જે તે શહેર કે વિભાગમાં જૈન સંઘ દ્વારા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યા છે. ગુરૂદેવના સામૈયાના વરઘોડા મુખ્ય માર્ગો પર ફરીને જે તે ઉપાશ્રયોમાં જશેે. જયાં ગુરૂદેવના માંગલિક વ્યાખ્યાન યોજાઈ રહ્યા છે. જૈનાચાર્યો દ્વારા જે તે એક સ્થળે રહીને ચાતુર્માસ દરમિયાન શ્રાવક શ્રાવિકાઓને અનેકવિધ આરાધનાઓ કરાવીને જિનવાણીનું શ્રવણ કરાવાશે. એટલુ જ નહિ તેઓ દ્વારા જે તે સંઘમાં જીવદયા અને સહયોગરાશી માટે પ્રેરણા પણ અપાતી હોય છે. જૈન સંઘના ઉપાશ્રયોમાં અષાઢ સુદ ચૌદશથી જૈનાચાર્યોના વ્યાખ્યાનનો પ્રારંભ કરાયો હતો. ચાતુર્માસ દરમિયાન સામુહિક પ્રતિક્રમણ અને આયંબીલ તેમજ વ્યાખ્યાન સહિતના ભકિતકાર્યોનો ધમધમાટ જામશે.
કોરોનાકાળમાં ભાવિકોએ ઘરે ઘરે આરાધના કરી હતી
કોરોનાકાળ દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ સામુહિક પ્રતિક્રમણ, વ્યાખ્યાન અને આયંબીલ બંધ રહ્યા હતા. ભાવિકોએ ઘરેથી જ આ આરાધના કરી હતી. અત્રે એ નોંધનીય છે કે, લોકડાઉનના પગલે અનેક સાધુ,સાધ્વીજી ભગવંતોનું જયા અગાઉથી જ ચાતુર્માસ કરવાનું નિર્ધારીત હતુ તેઓ ત્યાં પહોંચી શકયા ન હતા. તે સમયગાળામાં જે સાધુ ભગવંતો નિયત ચાતુર્માસ સ્થિરતાથી દૂર હતા તેઓએ જયા હતા તે વિસ્તારમાં જ ચાતુર્માસ ફરમાવ્યા હતા.