તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલમાં ગાબડા પડતા અકસ્માતની ભીતિ
- સરકારી આયુર્વેદ હોસ્પિટલનુ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં
- ગાબડા પડવાની ઘટનાના પગલે દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટ : કેટલીક જગ્યાએ વરસાદી પાણી પણ ટપકે છે
શહેરની તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેથી અહીં ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ હોસ્પિટલનુ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યુ છે. બે દિવસ પૂર્વે તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલની છતના ભાગમાંથી મોટા ગાબડા પડતા દોડધામ મચી જવા પામી હતી. હોસ્પિટલમાં ગાબડા પડતા દર્દીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેટલાક ભાગમાં વરસાદી પાણી પણ પડે છે છતા તંત્ર પગલા લેવામાં આવતા ના હતાં. ગાબડા પડયા અને દેકારો થયા બાદ સરકારી તંત્ર જાગ્યુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. કેટલાક ભાગમાં સમારકામ હાથ ધરવામાં આવેલ છે.
તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલના જર્જરીત બિલ્ડીંગના કારણે કોઈ મોટી ઘટના બને તે પૂર્વે સરકારી તંત્રએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે. ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલનુ નિરીક્ષણ કરી જરૂરી કામગીરી કરાવવા સુચના આપવી જોઈએ તેમ ચર્ચાય રહ્યુ છે.