તાપીબાઇ આયુર્વેદિક હોસ્પિટલને થયો છે સ્ટાફની અનિયમિતતાનો ભારે રોગ
ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
ભાવનગરની તાપીબાઇ આયુર્વેદિક હોસ્પિટલ દર્દીઓ માટે આશિર્વાદરૃપ છે પરંતુ અહીંના સ્ટાફની અનિયમિતતા હોસ્પિટલનું દર્દ બની છે. મોટાભાગનો સ્ટાફ બે-ત્રણ દિવસે એક દિવસ આવી હાજરી રજીસ્ટરમાં સહી કરી ચાલતી પકડી લે છે. આ વાત ઉચ્ચ અધિકારી જાણતા હોવા છતાં કશું જ કરતા ન હોય તેમની લાચારી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ભાવનગરની તાપીબાઇ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી લોકો નિદાન-સારવાર માટે આવે છે. તબીબી સારવાર માટે આવતા આ લોકો હોસ્પિટલમાં આવે ત્યારે બોડી બામણીનું ખેતર હોય તેવું જણાય છે. ડોક્ટર કે એકાદ-બે કર્મચારી હાજર હોય બાકીના 'ઘેર હાજર' હોય છે. આ સ્થિતી ઘણા સમયથી છે અને અધિકારીના ટેબલ પર રહેતા હાજરી રજીસ્ટરમાં આ કર્મચારીઓ બે-ત્રણ દિવસે આવી સહી કરી તે દિવસે અડધો દિવસ ભરીને ફરી બે-ત્રણ દિવસ માટે અંતર્ધ્યાન થઇ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ દર્દ ઉચ્ચ અધિકારીને ખબર છે જ પરંતુ કોઇ કારણોસર ઇલાજ નથી કરી શકતા !
રોગને મૂળમાંથી દૂર કરતી અને આડઅસર વગરની આયુર્વેદ પધ્ધતિથી સારવાર લેવા જ્યાં લોકો આવે છે ત્યાં લોકોની સેવા કરવાની તક અને જેમની ફરજ છે તેમની આવી બેદરકારી અક્ષમ્ય ગણી શકાય. આ અંગે યોગ્ય નિરાકરણ થાય તે જરૂરી બન્યું છે.
દિલ્હીથી આવેલી ટીમ પણ સ્થિતી જોઇ ચોકી ઉઠી
આજે હોસ્પિટલ ખાતે દિલ્હીથી ચેકીંગ ટીમના સભ્યો આવ્યા હતા. તેમણે પણ સ્ટાફ-તબીબોની અનિયમિતતા, ગેરહાજરી તથા પાણીની સુવિધાનો અભાવ, ફાયર સેફટીના સાધનોની મુદત પુરી સહિતનું જોઇને ચોકી ઉઠયા હતા. આ અંગે પોતાના રીપોર્ટમાં નોંધ કર્યાનું પણ જણાવ્યું હતુ.
લેબોરેટરી શરૂ તો થઇ પણ ટેકનિશ્યન આવે તો આવે..!
અહીંની લેબોરેટરી બંધ હતી કે એકાદ મહિના પહેલા જ પુનઃ શરૂ થઇ છે. જોકે લેબ ટેકનિશ્યન ક્યારે આવે, ક્યારે નહીં તે નક્કી જ ન હોય દર્દીઓને રીપોર્ટ કરાવવા બહાર જવું પડે છે.