Get The App

પિતાની હત્યા મામલે પુત્ર-પૌત્ર અને જમાઇ થયા જેલ હવાલે

- વૃધ્ધની હત્યા વેળાએ વપરાયેલ કુહાડી કબજે લેવાઇઃ વધુ એક શખસની સંડોવણીની આશંકા

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
પિતાની હત્યા મામલે પુત્ર-પૌત્ર અને જમાઇ થયા જેલ હવાલે 1 - image

ભાવનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

તળાજા તાલુકાના દાત્રડ ગામે વાડી વિસ્તારમાં પિતાએ પુત્રને કુંઢેલી ગામે આવેલ પ્લોટમાં ભાગ આપવાની ના પાડતા ઉશ્કેરાઇ પુત્ર-પૌત્ર અને જમાઇએ ૮૦ વર્ષીય વૃધ્ધને કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા ભારે ચકચાર છવાઇ હતી જે મામલે પોલીસે ત્રણેય શખસની ધરપકડ કરી લઇ હત્યા વેળાએ વપરાયેલ કુહાડી કબજે લઇ આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલ હવાલે કરી દીધા હતાં.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મુળ તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામના વતની અને હાલ દાત્રડ ગામ વાડી વિસ્તારમાં આવેલ જીવરાજભાઇ લાખણકીયાની વાડીમાં ભાગીયુ રાખી રહેતા નરશીભાઇ ટપુભાઇ રાઠોડ (ઉ.વ.૮૦) શનિવારે રાત્રિના ૧૦ કલાકના અરસા દરમિયાન તેઓના ઝુપડામાં સુતા હતા તે વેળાએ તેના મોટા પુત્ર ભરત નરશીભાઇ, પૌત્ર વિશાલ ભરતભાઇ અને બનેવી અરવિંદ કાનાભાઇ મકવાણાએ વૃધ્ધ પાસે આવી કુંઢેલી ગામે આવેલ મજીયારા પ્લોટમાં ભાગ આપવાની વાત કરતા નરશીભાઇએ તે રૂપિયા આપ્યા નથી તને ભાગ આપવાનો નથી, પહેલા રૂપિયા આપ તેમ કહેતા ઉક્ત ત્રણેય શખસોએ ઉશ્કેરાઇ વિશાલ અને અરવિંદ મકવાણાએ વૃધ્ધ નરશીભાઇને પકડી રાખી ભરત કુહાડીનો ઘા ઝીંકી જીવલેણ ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત હાલતે નરશીભાઇ રાઠોડને પ્રથમ તળાજા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું.

ઉક્ત બનાવ અનુસંધાને તળાજા પોલીસે ત્રણેય શખસ સામે આઇપીસી ૩૦૨, ૧૧૪ તેમજ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી પુત્ર ભરત રાઠોડ, પૌત્ર વિશાલ રાઠોડ અને બનેવી અરવિંદ મકવાણાની ધરપકડ કરી લઇ પુછપરછ દરમિયાન ખુલેલી વિગતોના પગલે વૃધ્ધની હત્યા વેળાએ વપરાયેલ કુહાડી તેમજ અરવિંદ મકવાણાનું બાઇક કબજે લીધુ હતું. બાદ આજે સોમવારે તમામને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટના આદેશ તળે જિલ્લા જેલ હવાલે કરી દીધા હતાં.
Tags :