ભાઈ અને બહેનના નિર્મળ પ્રેમના પ્રતિક સમાન પોષી પુનમનો વિસરાઈ રહેલો મહિમા
- વર્તમાન 4-જીના યુગમાં પવિત્ર પર્વનું ઘટતુ જતુ મહત્વ
- ટીખળખોર ભાઈઓ નાનપણમાં ના પાડીને વહાલસોયી બહેનને ભુખી રાખતા અચકાતા ન હતા
ગોહિલવાડમાં ભાઈ અને બહેનના નિર્મળ પ્રેમના પ્રતિક સમાન પોષી પૂનમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ભુતકાળની તુલનામાં હવે પોષી પુનમનો અનન્ય મહિમા ક્રમશ વિસરાઈ રહ્યો હોય તેવી અનુભુતિ થઈ રહી છે.
હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ અને બહેનના નિર્મળ પ્રેમને બીરદાવવા માટે વર્ષ દરમિયાન રક્ષાબંધન, વીર પસલી, પોષી પૂનમ અને ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયા મુજબ પોષ માસની પુનમે લાડકવાયી બહેન હોંશે હોંશે અગાસીમાં ભાઈને સાથે લઈ જઈને ઘંઉની એક ચાનકીની વચ્ચોવચ્ચ કાણુ પાડીને તે ચાનકી ચંદ્રમાં આડે ધરી કાણા વચ્ચેથી ચંદ્રમાંની સામે નિહાળીને પુનમના તેજમાં તરબોળ બનીને લાડકવાયી બહેનડી બોલે છે કે, ચાંદા તારી ચાનકી, પોષી પોષી પુનમે અગાસીએ રાંધ્યા અન્ન રે, ભાઈની બહેન જમે કે રમે ત્યારે ભલો ભાઈ બહેનને જમે કહે ત્યાર બાદ જ ભોળી બહેન જમતી હોય છે. ત્યારે પોષી પોષી પુનમે રે સાત ભાઈની બહેનડી ડાઈ કહે તો જમે,નીકર બહેન રે ભુખી ત્યારે ટીખળખોર ભાઈઓ નાનપણમાં બહેનોને ના પાડીને ભૂખી રાખતા અચકાતા ન હતા તેવી જે તે સમયની હકિકતને યાદ કરી પરિવારના વડીલોએે તેમજ માતા-પિતાએ તેમના માસુમ સંતાનો પાસે અતીતના સુમધુર સંસ્મરણો વાગોળ્યા હતા. જો કે, વર્ષોના વહાણા વીતી ગયા બાદ હવે ૪-જીના આ યુગમાં આવા મીઠા રિવાજો કાળક્રમે કેટલાક સ્થળોએ જ જળવાયેલા જોવા મળે છે. જયારે મોટા ભાગના મહાનગરોના મોર્ડન પરિવારોમાંથી તે ક્રમશ વીસરાઈ રહ્યા છે.