Get The App

બોટાદના સેથળી ગામે કેનાલમાં ડુબી જતા ચાર બાળકોના મોતથી અરેરાટી

Updated: Mar 9th, 2023

GS TEAM

Google News
Google News
બોટાદના સેથળી ગામે કેનાલમાં ડુબી જતા ચાર બાળકોના મોતથી અરેરાટી 1 - image


ચાર બાળકોના મોત નિપજતા ધૂળેટી પર્વમાં માતમ છવાયો 

પાળીયાદ રોડની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા બાળકો કેનાલમાં ન્હાવા પડતા કરૂણ બનાવ બન્યો ઃ સેથળી ગામ પાસેની કેનાલમાં ૯ બાળકો ન્હાવા માટે ગયા હોવાની ચર્ચા 

બોટાદ-સેથળી :બોટાદ જિલ્લાના સેથળી ગામે ગઈકાલે બુધવારે કેનાલમાં ડુબી જતા ચાર બાળકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ચાર બાળકોના મોત નિપજતા ધૂળેટી પર્વમાં માતમ છવાયો હતો. પાળીયાદ રોડની સોસાયટીમાં રહેતા બાળકો કેનાલમાં ન્હાવા પડતા કરૂણ બનાવ બન્યો હતો. સેથળી ગામ પાસેની કેનાલમાં ૯ બાળકો ન્હાવા માટે ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. ચાર બાળકો ડુબતા અન્ય બાળકો ન્હાવા પડયા ના હતા અને તેઓએ નજીકમાંથી ખેડૂત સહિતને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા ફાયર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કામગીરી હાથ ધરી હતી. 

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બોટાદ શહેરના યાળીયાદ રોડ પર એમ.ડી.સ્કૂલ સામે આવેલ અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ધુ્રવાંશ પ્રજાપતિ (ઉ.૧પ), લક્ષ રાકેશભાઈ બોરીચા (ઉ.૧પ), સોયા ધુ્રવ હસમુખભાઈ (ઉ.૧૬), અંશ વિજયભાઈ ચાવડા (ઉ.૧૬) સહિતના આશરે ૯ બાળકો ગઈકાલે બુધવારે ધૂળેટી પર્વના દિવસે બપોરના સમયે આશરે ૭ કિલોમીટર દુર આવેલ સેથળી ગામ પાસેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતાં. ઉપરોક્ત ચાર બાળકો પહેલા ન્હાવા પડયા હતા અને ડુબવા લાગ્યા હતા તેથી અન્ય બાળકો ગભરાય ગયા હતાં. કેનાલમાં ડુબતા મિત્રોને બચાવવા માટે બાળકોએ બુમાબુમ કરી હતી અને આસપાસના લોકોને બોલાવ્યા હતાં. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા ફાયર અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

ફાયર સ્ટાફે કેનાલમાં બાળકોને શોધખોળ હાથ ધરી હતી. કેનાલમાંથી ચારેય બાળકોને કાઢી તત્કાલ બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબે બાળકોને તપાસી મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટના સ્થળ અને હોસ્પિટલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ચાર બાળકોના મોત નિપજતા સન્નાટો છવાય ગયો હતો. ધૂળેટી પર્વમાં સોસાયટીમાં માતમ છવાય ગયો હતો. 

અકસ્માતથી બચવા લોકોએ જાગૃત થવુ જરૂરી 

બોટાદ જિલ્લાના સેથળી ગામની કેનાલમાં ડુબી જતા ચાર બાળકોના મોત નિપજયા છે ત્યારે આવા અકસ્માતથી બચવા માટે લોકોએ જાગૃત થવુ જરૂરી છે. કેનાલ, દરિયામાં તેમજ નદીમાં ડુબી જવાથી ઘણા લોકોના મોત નિપજયા છે અને આવા અકસ્માત વારંવાર બને છે તેમ છતા લોકો પાણીમાં ન્હાવા માટે પડતા હોય છે, જે ગંભીર બાબત છે. વડીલોએ બાળકોને જાગૃત કરવા જરૂરી છે.

Tags :