દૈનિક વિરાટ કામગીરી સામે નજીવા વળતરથી આશાવર્કર બહેનોમાં રોષ
- ઈન્સેન્ટીવ તથા બીલોની રકમ પણ દર મહિને નિયમિત ચૂકવાતી નથી
- જાફરાબાદ તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા તમામ પ્રકારની કામગીરીઓ બંધ કરવાની ચિમકી અપાઈ
જાફરાબાદ તાલુકાના આશાવર્કર બહેનો ગ્રાઉન્ડ લેવલે સૌથી વધુ આરોગ્યલક્ષી કામગીરી કરતા હોવા છતાં તેઓને પૂરતું વેતન મળતું નથી. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલ ફિલ્ડ લેવલની તમામ માહિતીઓ, સર્વે પી.એમ.વી.વી.વાય. ની ઘરે ઘરે જઈ ડોક્યુંમેન્ટ લઈ ઓનલાઈનની કામગીરી કરવા છતાં તેઓને વેતન અપાયેલ નથી, આભા કાર્ડની કામગીરી, માતા મરણ, બાળ મરણ અટકાવવામાં મહત્વની કામગીરી કરનાર,રાષ્ટ્રીય તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ પોલિયો નાબૂદીમાં મહત્વનો ભાગ ભજવનાર તેમજ કોરોનામાં પોતાના જીવના જોખમે કામગીરી કરવા છતાં હજુ સુધી તેઓને સંતોષકારક વળતરનું ચુકવણું કરવામાં આવેલ નથી. તેમજ મેલેરિયા, ડેગ્યુંના સર્વેમાં આખા મહિનાના માત્ર ૨૦૦ રૂપિયા જેવી મામૂલી રકમ આપી આશા બહેનો સાથે તંત્રવાહકો દ્વારા જાણે કે, મજાક કરવામાં આવતી હોય તેવું સૌ કોઈને લાગી રહ્યું છે. છ મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પગાર વધારો પણ આપવામાં આવેલ નથી. ઈન્સેન્ટીવ (વળતર)નો વધારો અપાયો ન હોવાની, ઈન્સેન્ટીવ તથા બીલોની રકમો દર મહિને નિયમિત ચૂકવાતી ન હોવાથી તેઓને આર્થિક રીતે સંકટ વેઠવાનો વખત આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકારના શ્રમજીવીને લઘુતમ વેતનના નિયમ મુજબ વેતન પણ આપતી ન હોવાથી, ઈન્સેન્ટીવ (વળતર)નો વધારો અને પગાર વધારો ચૂકવવામાં આવે અને ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.