ભાવનગરમાં વિદ્યાર્થીની પર બળાત્કાર, આરોપીની ધરપકડ
- સોશીયલ મિડીયાના માધ્યમથી યુવક-યુવતીની ઓળખાણ થઈ હતી
- ઉત્તરપ્રદેશના યુવાને ભાવનગરના જવાહર મેદાનમાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારી મારમાર્યાની ફરિયાદ નોંધાઈ
ભાવનગર, તા. 8 ડિસેમ્બર 2019, રવિવાર
ભાવનગર શહેરની એક વિદ્યાર્થીની પર ઉત્તરપ્રદેશના એક યુવાને બળાત્કાર કરી મારમાર્યાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોશીયલ મિડીયાના માધ્યમથી યુવક-યુવતી સંપર્કમાં આવ્યા હતા અને યુવાને યુવતી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામેલ છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, રાજસ્થાનની વતની અને શહેરના વિદ્યાનગરમાં આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતી રર વર્ષીય યુવતી પર ગત તા. ર૩ ઓકટોબરથી તા. ૧૦ નવેમ્બર દરમિયાન ભાવનગર શહેરના જવાહર મેદાનના જાળી જાખરામાં વિકાસ ઉર્ફે આદીત્ય રામસેવકસીંગ યાદવ (ઉ.ર૩ રહે. નગલાકલુબા, પોે. વસુંધરા હવાગઢ, જિ. એટા, ઉત્તરપ્રદેશ) નામના યુવાને બળાત્કાર કર્યો હતો.
વિદ્યાર્થીનીને યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારમાર્યો હતો. યુવકે યુવતીના ફોટો તેના સંબંધીને મોકલ્યા હતાં. આ બાબતે ભાવનગરની ઘોઘા રોડ પોલીસે ગઈકાલે શનિવારે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને આજે રવિવારે બપોરના સમયે ઉત્તરપ્રદેશના યુવાનને ગુજરાતમાંથી જ ઘોઘા રોડ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક પણ અભ્યાસ કરતો હોવાનુ જાણવા મળેલ છે.
યુવક અને યુવતી બંને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતાં. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. વોટસઅપ પર વાતચીત થઈ હોવાનુ યુવતીએ પોલીસને જણાવ્યુ હતું. વિદ્યાર્થીની સાથે યુવકે બળાત્કાર કરતા ચકચાર મચી જવા પામેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.