રાજકોટની પંચનાથ સાર્વજનિક હોસ્પિટલે દર્દીઓના લાભાર્થે વીડિયો કોલિંગ મારફતે શરૂ કરી આરોગ્ય સેવા
- શહેરમાં એકલા રહેતા વૃદ્ધો અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓના લાભાર્થે નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી
રાજકોટ, તા.14 એપ્રિલ 2020, મંગળવાર
રાજકોટમાં પંચનાથ મહાદેવનું મંદિર વર્ષોથી જાણીતુ રહ્યું છે ઐતિહાસિક મંદિરના પટાંગણમાં છેલ્લા કેટલાક વર્ષોથી આરોગ્ય ચિકિત્સાનો યજ્ઞ ચાલી રહ્યો છે જરૂરિયાત મંદ દર્દીઓના લાભાર્થે અહીં આવતાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. વર્તમાન લોકડાઉનના સમયગાળા દરમ્યાન આ પંચના સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વીડિયો કોલિંગની મદદથી દર્દીઓ માટેની સારવાર શરૂ કરવામાં આવી છે.
લોકડાઉનના સમયગાળા દરમિયાન હોસ્પિટલ સુધી પહોંચવાનું કામ દૂર રહેતા દર્દીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પંચનાથની સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વીડિયો કોલિંગની મદદથી દર્દીઓ પોતાના ઘરે રહીને નિષ્ણાત ડોક્ટરની સારવાર લઈ શકે તે માટે પંચનાથ હોસ્પિટલ દ્વારા વીડિયો કોલિંગનો એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના મારફતે દર્દી અને ડોક્ટર વચ્ચે વિડીયો કોન્ફરન્સ યોજીને જરૂરી સારવાર આપવામાં આવે છે તેમજ પ્રિસ્ક્રિપ્શન મુજબ જે દવા લખી આપવામાં આવી હોય છે. તે પણ હોસ્પિટલ દ્વારા દર્દીના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
ગઈકાલ સાંજથી જ આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી હોસ્પિટલના સંચાલકોએ કહ્યું હતું કે, પંચનાથ મંદિરના પટાંગણમાં ચાલતી આ હોસ્પિટલમાં અત્યારે લેબોરેટરીની સુવિધા બંધ છે પરંતુ આજથી બીજી અનેક શ્રેષ્ઠ સારવાર શરૂ કરવામાં આવી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન હોસ્પિટલના ચિકિત્સાલય સુધી ડોક્ટરોને લાવવા મુશ્કેલ છે પરંતુ જો ડોક્ટર અહીં આવશે તો તેમના માટે ની પીપી કિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આગામી દિવસો દરમ્યાન ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય વિશે તકલીફોનો સામનો કરવો ન પડે તેમજ ઘર આંગણે બેસીને આ દર્દીઓ નિષ્ણાત ડોક્ટરોની સેવા મેળવી શકે તે માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા વિડીયો કોલની મદદથી નિષ્ણાંત ડોકટરો દર્દીઓના રોગનુ નિદાન કરી રહ્યા છે તેમ જ સારવાર આપી રહ્યા છે.