રાજકોટ મનપામાં યુનિફોર્મ ખરીદીનું અઢી કરોડનું કૌભાંડ
- સ્થાયી થયેલા અફ્સરોની ગરબડ સ્થાયી ચેરમેને પકડી
- અધિકારીઓએ કર્મચારી દીઠ રૂ।.7560નો ખર્ચ વાજબી ગણાવ્યો, ટેન્ડર બહાર પડતા રૂ।.1662નો ભાવ, 4000 સ્ટાફ ગણવેશપાત્ર
રાજકોટ, તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
રાજકોટ મહાપાલિકા દ્વારા સફાઈ કામદાર સહિતના કર્મચારીઓને અપાતા ગણવેશ ખરીદવા મનપાના અધિકારીઓએ પ્રતિ કર્મચારી દીઠ રૂ।.૭૫૬૦ના ભાવથી ગણવેશ આપવા કરેલી દરખાસ્ત શંકાસ્પદ જણાતા સ્થાયી સમિતિના ચેરમેને તપાસ કરાવીને ટેન્ડર ફરી મંગાવતા ગણવેશ પ્રતિ કર્મચારી દીઠ રૂ।.૧૬૬૨ના ભાવથી આપવા ઓફર આવી હતી જે આજે મંજુર કરાઈ છે. કૂલ ૪૦૦૦ કર્મચારીઓ ગણવેશ મેળવવાપાત્ર છે ત્યારે આશરે રૂ।.અઢી કરોડનું કૌભાંડ,વધુ પડતી ચૂકવણી અટકાવાઈ છે.
સ્થાયી સમિતિના સૂત્રોએ જણાવ્યું કે કે મ્યુનિ.કમિશનર મારફત ૧૨૦૦ સફાઈ કામદારો અને ૧૧૫૦ સ્ત્રી કામદારો સહિત ૨૩૫૦ કર્મચારીઓને રૂ।.૧,૮૯,૦૩,૬૯૦ના ભાવે ગણવેશ ખરીદી આપવા તા.૨૪-૧૦-૨૦૧૮ના દરખાસ્ત કરાઈ હતી. આ દરખાસ્તમાં શંકા જણાતા સ્થાયી સમિતિના ચેરમેન ઉદય કાનગડે તે નામંજુર કરીને પોતાની રીતે તપાસ કરાવતા આ ગણવેશ ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ હોવાનું જણાયું હતું. અધિકારીઓની દરખાસ્ત મૂજબ એક ગણવેશ દીઠ રૂ।.૭૫૬૦નો ખર્ચ હતો જે મંજુર કરવા જણાવાયું હતું.
પરંતુ, બાદમાં આ અંગે ટેન્ડર બહાર પડાતા સ્ત્રી અને પુરુષ સફાઈ કામદારો સહિત ૪૦૦૦ કર્મચારીઓનું ગણવેશ ખરીદવા રૂ।.૬૬.૫૦ લાખનો ભાવ આવ્યો હતો, એટલે કે એક ગણવેશ દીઠ રૂ।.૧૬૬૨નો અર્થાત્ ૪૦૦૦ ગણવેશ ખરીદીએ તો રૂ।.૨.૫૫ કરોડ જેવો અને જો ઉપરોક્ત ૨૩૫૦ કર્મચારીઓ માટે જ ગણવેશ ખરીદાતો હોય તો પણ રૂ।.૧.૨૨ કરોડનો વધારાનો ખર્ચ થતો હતો જે હાલ બચી ગયો છે. અધિકારીઓના ભાવ કરતા ૬૫ ટકા નીચો ભાવ આવ્યો છે.
માત્ર ગણવેશ નહીં પણ અનેકવિધ ખરીદી અને કામો ઉંચા ભાવે મનપામાં અપાતા રહે છે જેનું વાસ્તવિક રીતે ઓડિટ થાય તો પ્રજાના કરોડો રૂ।.બચે તેમ છે.