રાજકોટ બની રહ્યું છે કોરોનાનુ હોટસ્પોટ,વધુ 31 કેસ,3ના મોત
- શહેરમાં જૂલાઈના એક સપ્તાહમાં જ કેસો 100ને પાર!
- જ્યાં કોરોનાના ટેસ્ટ થાય છે તે સિવિલ હોસ્પિ.ના માઈક્રો. ડિપા.ના હેડ ડોક્ટરને કોરોના!
- પરિવારોમાં પ્રસરતો ચેપઃમાઠા પ્રસંગે ભેગા થયેલા પરિવારોમાં ૧૬ને કોરોના તો અન્ય પરિવારમાં મહેમાન આવ્યા બાદ ૪ને ચેપ
- ચેપ ફેલાવવાની કોરોનાની તાકાત-ઝડપ વધી, શહેરમાં હવે એક કુટુંબમાં અનેક કેસો
રાજકોટ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર
અમદાવાદ, સુરત પછી ગુજરાતમાં હવે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બનવાની દિશામાં અત્યંત ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે અને શહેરમાં તા.૩૦ જૂન સુધીના સાડાત્રણ માસમાં ૧૬૬ કેસ સામે જૂલાઈના માત્ર એક સપ્તાહમાં ૧૦૬ કેસ નોંધાયા છે. આજે સાંજ સુધીમાં જ કોરોનાના ૩૧ પોઝીટીવ કેસ સાથે કૂલ કેસની સંખ્યા ૨૭૨ પર પહોંચી છે. તો એક દિવસમાં શહેરની હોસ્પિટલમાં આજે ૫ દર્દીઓએ દમ તોડયો છે તેમાં રાજકોટના ૩ દર્દીઓ છે. કોરોના હવે વધુ ઝડપથી અને પરિવારોમાં અંદરોઅંદર ફેલાવા લાગ્યો છે અને ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવું પણ મૂશ્કેલ બની રહ્યું છે.
શહેરમાં હવે પરિવારોમાં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે, આજે ૩૧ કેસમાં મોટાભાગના કેસો તો માત્ર પરિવારના છે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું કે શહેરના હુંબલ પરિવારમાં અવસાનના માઠા પ્રસંગે દાડો (કારજ) રાખવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો ભેગા થયા હતા અને તેમાં ૧૬ને પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે અને હજુ રિપોર્ટ આવવાના બાકી છે. તો આડેસરા પરિવારમાં બહારગામથી મહેમાન આવ્યા હતા તેમાં પરિવારના ચારને પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. આ પહેલા પણ એક જ પરિવારમાં અનેકને પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માઈક્રોબાયોલોજી વિભાગના હેડ અને લેબોરેટરી કે જ્યાં કોરોનાનું ટેસ્ટીંગ થાય છે તેના ડો.પ્રકાશ મોદીનો પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.
આજે કોરોનાનું નિદાન થયું તેમાં ગીરધરભાઈ ટપુભાઈ (ઉ.૭૨ રહે. ગાંધીગ્રામ,), જગદીશભાઈ મોહનભાઈ (ઉ.૫૮ રહે.નર્મદ ટાઉનશીપ) સુરભીબેન (ઉ.૨૦ રહે.સંતકબીર રોડ), બચુભાઈ નાગજીભાઈ (ઉ.૯૫ રહે.સંતકબીર રોડ), ભારતીબેન અશોકભાઈ (ઉ.૫૦ રહે. રેલનગર) ડો.પ્રકાશ મોદી (રહે. મેડીકલ ક્વાર્ટર્સ, ઈ-૧,રાજકોટ), મસુબેન પ્રભાતભાઈ આગરીયા (ઉ.૬૦ રહે.ખોડીયારપરા સોસાયટી શેરી નં.૨), જ્યોતિબેન રતનાકર કર્ણિક (ઉ.૬૫ રહે.જંક્શન પ્લોટ શેરી નં.૮, મોરબી હાઉસ પાસે), ફિરોઝ મોહમદભાઈ પઠાણ (ઉ.૩૫ રહે. આર.એમ.સી.ક્વાર્ટર, જંગલેશ્વર), ચંદુભાઈ બેચરભાઈ ડાભી (ઉ.૪૦ રહે.ઘનસ્યામનગર,કોઠારીયા રોડ), બીનાબેન નિર્મલભાઈ મારુ (ઉ.૪૬ રહે.મેઘાણીનગર શેરી નં.૩) અને નાનબાઈબેન નાનાભાઈ મારુ (ઉ.૪૦ રહે.ન્યુ સાગર સોસાયટી-૪, કોઠારીયા મેઈનરોડ) સમાવિષ્ટ છે.
એક જ પરિવારમાં કોરોનાના કેસો આવ્યા તેમાં હુંબલ પરિવારના નૈમીષ વિરભાનુભાઈ હુંબલ (ઉ.૧૮), વિરભાનુભાઈ ઘુસાભાઈ હુંબલ (ઉ.૩૭ રહે.દિપ્તીનગર મેઈનરોડ , કોઠારીયા રોડ) તથા વનરાજભાઈ જયતાભાઈ (ઉ.૪૦), ગીતાબેન વનરાજભાઈ (ઉ.૩૭), જાનવીબેન વનરાજભાઈ (ઉ.૧૮), નિર્ભય વનરાજભાઈ (ઉ.૧૪ રહે. બધા મયુરપાર્ક, -૧, જયનાથ હોસ્પિટલ સામે, ભક્તિનગર સર્કલ) તથા દિપાલીબેન અર્જૂનભાઈ હુંબલ (ઉ.૨૨ રહે.શિવમપાર્ક૧, ભક્તિનગર સર્કલ)નો સમાવેશ થાય છે. જ્યારે ગત તા.૪ના પોઝીટીવ આવેલા અમરબેન ઘુસાભાઈ હુંબલ (ઉ.વ.૬૦) રહે. દિપ્તીનગર મેઈનરોડ, કોઠારીયા રોડ)નું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
જ્યારે અન્ય પરિવારમાં નરેન્દ્રભાઈ ભરતભાઈ આડેસરા (ઉ.૩૬), ધન્વી નરેન્દ્રભાઈ આડેસરા (ઉ.૧૦), વૈશાલીબેન નરેન્દ્રભાઈ અને દ્રષ્ટિ નરેન્દ્રભાઈ આડેસરા (ઉ.૧ વર્ષ રહે.ચારેય ગાયત્રીનગર શેરી નં.૩-૭, જલજીત હોલ પાછળ)ને કોરોના પોઝીટીવ આવેલ છે જે અંગે મનપાએ જણાવ્યા મૂજબ બહાર ગામથી તેમને ત્યાં મહેમાન આવ્યા બાદ ચેપ લાગ્યાનું તારણ છે. જ્યારે વાલકેશ્વર શેરી નં.૬, હસનવાડી સામે એક સ્થળે રહેતા જગદીશભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.૫૦) અને અસ્મિતાબેન સુભાષભાઈ બોરીચા (ઉ.૨૫)ને કોરોના પોઝીટીવ આવેલ છે. ત્યાર બાદ રાત્રે વધુ ચાર પોઝીટીવ કેસ આવ્યા હતા.
શહેરમાં આ ઉપરાંત રતનબેન કેશવલાલ દવે (ઉ.૬૦ રહે.દૂધસાગર રોડ, વિમા દવાખાના પાછળ) અને રામસિમરનભાઈ શુક્લ (ઉ.૭૯ રહે.બ્લોક નં.૫૩એ, શિવમપાર્ક, રામાપીર ચોકડી નજીક) એમ ત્રણ રાજકોટના દર્દીઓના મૃત્યુ થયા છે. ત્રણેયને બીપી-ડાયાબીટીસની બિમારી અને વૃધ્ધ ઉંમરના હતા. માત્ર મનપા વિસ્તારમાં કોરોના કેસની સંખ્યા ૨૭૨ ઉપર પહોંચી છે અને હાલ ૧૦૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મનપાએ લોકોને કોઈ પણ પ્રસંગે ભેગા નહીં થવા, હળવા મળવાનું બહાર નીકળવાનું ટાળવા, માસ્ક-ડિસ્ટન્સ-હાથ ધોવાના નિયમો અચૂક પાળવા અપીલ કરી છે. આ રીતે કેસો વધતા જાય તો રાજકોટમાં માસાંતે કેસની સંખ્યા ૧૦૦૦ને આંબી જવાની ભીતિ છે.
સારવાર બાદ હોસ્પિટલમાંથી અપાઇ રજા
મોરબી-વાંકાનેરમાં વધુ બે દર્દીઓ કોરાના સામે જંગ જીત્યા
સુરતથી પોરબંદર આવેલા દર્દી સારવાર દરમિયાન સ્વસ્થ થઇ જતા ડીસ્ચાર્જ કરાયા
મોરબીના યદુનંદન પાર્કના રહેવાસી ૪૪ વર્ષના પુરુષ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોય જેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તે ઉપરાંત વાંકાનેર જીનપરા વિસ્તારના ૪૦ વર્ષના પુરુષ કોરોના સંક્રમિત થતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે યુવાને પણ કોરોના સામેનો જંગ જીતી લીધો છે.
પોરબંદર જિલ્લાના એક દર્દી સુરતના શૈલેષભાઇ વલ્લભભાઇ માણાવદરીયા (ઉ.વ. ૪૫)ને કોવિડ - ૧૯ ભાવસિંહજી હોસ્પિટલ ખાતેના આઇસોલેશન વોર્ડમાંદાખલ કરવામાં આવેલ હતા. જે ૧૦ દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ સંપૂર્ણ સ્વચ્છ થઇ ગયેલ હોય તેમને હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી હતી.