સંવત્સરી પર્વે પ્રતિક્રમણ સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સમાપન, આજે પારણાં થશે
- ક્ષમા ધર્મની સાધનાના અવસર સંવત્સરી ઉજવાઈ
- જૈનોએ સાંવત્સરિક પ્રતિક્રમણ બાદ પરસ્પર મિચ્છામી દુક્કડમ્ પાઠવ્યા
ભાવનગર શહેર અને જિલ્લામાં ક્ષમાધર્મની સાધનાના અવસર સંવત્સરીની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ હતી. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન શહેર અને જિલ્લામાં ઠેર ઠેર અઠ્ઠાઈ, ઉપવાસ, માસક્ષમણ,પૌષધ તપ,ચોસઠ પ્રહરી, સોળ ભથ્થા,આયંબીલ, એકાસણા અને બેસણા સહિતની ઉગ્ર તપશ્ચર્યાઓ થઈ હતી. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરનારા ક્ષમાપનાના સવંત્સરીના મહાપર્વે શહેરના કૃષ્ણનગર અને દાદાસાહેબ સહિતના વિસ્તારોમાં આવેલા જૈન ઉપાશ્રયોમાં શ્રધ્ધેય જૈનાચાર્યો દ્વારા બારસો સૂત્રનું વાંચન અને કલ્પસુત્રનું પારાયણ કરાયુ હતુ.આલોયણાવિધિ કરાઈ હતી. પર્યુષણના આઠ દિવસની આરાધનાની સમાપ્તિ સંવત્સરી પ્રતિક્રમણ કરીને થાય છે. સંવત્સરી એટલે ક્ષમા માગવાનો દિવસ. સાંય કાળે સાંવત્સરિક પ્રતિક્રમણ બાદ જૈનોએ અગાઉ જાણ્યે અજાણ્યે થયેલી ભૂલોનો પસ્તાવો કરીને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. સંવત્સરીના પર્વ નિમીત્તે જિનાલયોમાં મહાવીર સ્વામીને વિશિષ્ટ આંગી પણ કરાઈ હતી. આવતીકાલથી વિવિધ જૈન સંઘોમાં પારણાના ઉત્સવનો પ્રારંભ થશે. ગુરૂ ભગવંતોની નિશ્રામાં વિવિધ વિભાગોમાં રાજાશાહી પારણા,શાહી બહુમાન યોજાશે. વિવિધ જૈન સંઘ ખાતે જૈનાચાર્યોની નિશ્રામાં તપસ્વીઓના સામૂહિક પારણા થશે.
સોશિયલ મીડિયામાં મિચ્છામિ દુક્કડમ્ છવાયા...
સંવત્સરીના મહાપર્વે શુક્રવારે સવારથી જ વોટસએપ, ફેસબુક સહિતના સોશ્યલ મિડીયાના માધ્યમોમાં જૈન તથા જૈનેતરોએ ક્ષમાપનાના મિચ્છામિ દુકકડમના એક એકથી ચડીયાતા હૃદયસ્પર્શી લખાણ અને સિમ્બોલ સાથેના ઈમેજની પરસ્પર આપ-લે કરી હતી. કોરોના સહિતના કારણસર અને અગાઉના વર્ષોની તુલનામાં આ વર્ષે આ અંગેના મેસેજ વધુ પ્રમાણમાં સોશ્યલ મિડીયામાં મોડી સાંજ સુધી સતત વહેતા રહ્યા હતા.