ઓબ્ઝર્વેશન હોમના 19 તરૂણોનો રીપોર્ટ પોઝિટીવ, સ્ટાફનો નેગેટીવ
- 42 પૈકી 19 તરૂણોને કવોરન્ટાઈન કરાયા
- પરિક્ષણ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણો કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા દોડધામ
રાજકોટ, તા. 5 સપ્ટેમ્બર, 2020, શનિવાર
કાયદાના સંઘરમાં આવેલા ૧૮ વર્ષથી નીચેની વયના તરૂણોને અહી રાજકોટ ખાતે ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે. જેમાં ૪૨ તરણુનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવતા તેમાંતી ૧૯ તરૂણોનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થતાં તેઓને આજે તાકીદે મોચીબજાર નજીક કવોરન્ટાઈન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતાં. અલબત ઓબ્ઝર્વેશન હોમમાં ફરજ બજાવતા ૧૧ કર્મચારીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણો માટે રાજકોટમાં કાર્યરત ઓબ્ઝર્વેશન હોમમાં આજે ૧૯ તરૂણોનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયા બાદ સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓમાં દોડદામ મચી ગઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા કચેરી હસ્તક રાજકોટમાં જુદા જુદા સ્થલે સામાજિક સુરક્ષા માટે જે સંસ્થાઓ કાર્યરત છે જે પૈકી અપંગ બાળગૃહ બંધ હાલતમાં છે. જયારે ગોંડલ રોડ ઉપર આવેલા ઓબ્ઝર્વેશન હોમમાં અત્યારે ૪૨ બાળકોને આશ્રય આપવામાં આવ્યો છે. જે પૈકી ૧૯ બાળકોનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ જાહેર થયો છે. કાલાવડ રોડ ઉપર ભિક્ષુક ગૃહનું સંચાલન પણ આ સંસ્થા સંભાળે છે. તેમાં ભિક્ષુકોને આશ્રય આપવામાં આવે છે. એ જ રીતે ગોંડલ રોડ ઉપર માનસિક રીતે ક્ષતિગ્રસ્ત પુરૂષો માટેનું આશ્રયસ્થાન ઉભુ કરવાનું છે પરંતુ કોરોનાને કારણે આ કામ આગળ વધ્યુ નથી. અલબત આજે ઓબ્ઝર્વેશન હોમના તમામ ૧૯ બાળકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમાંથી જે બાળકોના રીપોર્ટ નેગેટીવ આવશે તેમને ફરીને ઓબ્ઝર્વેશન હોમમાં પરત લાવવામાં આવશે.