- નીલેશ વિરાણીને કોંગ્રેસે પ્રમુખપદ આપ્યું તોય પક્ષ છોડી દીધો!
રાજકોટ,તા,26 માર્ચ 2019, મંગળવાર
રાજકોટ લોકસભાની ગત ઈ.સ.૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયા જેની સામે પૂરા જોશથી મેદાનમાં ઉતરી કુંડારિયાથી માંડીને નરેન્દ્ર મોદીની કડક ટીકા કરી હતી અને હજુ એકાદ વર્ષ પહેલા સુધી કરતા રહ્યા હતા તે બાવળિયા અને કુંડારિયા આજે રીંગરોડ પર એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં બાજુ બાજુમાં ખુરશી પર બેઠા હતા.
જેને મત આપતા નહીં તેમ કહેતા તે કુંડારિયાન હવે જીતાડજો એમ બેધડક ભાષ ણ પણ કરી નાંખ્યુંહતું. તો જિ.પં.ના ૧૧ સભ્યો આજે ભાજપમાં ભળ્યા તેમાં કેટલાક તો ફરી વાર અને કેટલાકે રાજકોટમાં પ્રથમવાર (!) કેસરિયો ખેંસ પહેર્યો હતો. સંમેલનમાં ચોકીદારો પણ ઉભા રખાયા હતા.
તો રાજકોટ જિલ્લા પંચાયતની ગત ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૬માંથી ૩૪ બેઠકો સાથે લોકોએ સ્પષ્ટ ચૂકાદો ભાજપને વિરોધપક્ષમાં પાંચ વર્ષ રહેવાનો ચૂકાદો આપ્યો તે જનતાના ચૂકાદાને બદલવા લાંબા સમયથી ચાલતા પ્રયાસોના ભાગરૂપે આજે નીલેશ વિરાણી સહિત ૧૧ જિ.પં.સભ્યો ભાજપમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, પરસોતમ રૂપાલા વગેરેની હાજરીમાં જોડાયા હતા.
આશ્ચર્યની અને કોંગ્રેસના કમનસીબની વાત એ છે કે મજબૂત દાવેદાર ખાટરિયાને પડતા મુકીને ૩૪માંથી વિરાણીને જિ.પં.ની ગત ટર્મમાં જ પ્રમુખનો તાજ પહેરાવાયો હતો છતાં તેઓ કોંગ્રેસમાં ટક્યા નહીં. આ અંગે અર્જૂન ખાટરિયાએ જણાવ્યું કે કોંગ્રેસના જે સભ્યો સામે અમે પક્ષાંતર ધારા હેઠળ હાઈકોર્ટમાં અને નામોનિર્દેશ કચેરીમાં કેસ કર્યો છે અને તેઓ ગેરલાયક ઠરે તેમ છે તથા અમે જેમની સાથે સમાધાનનથી કર્યું તે આ સભ્યો ભાજપના શરણે ગયા છે. સભ્યોમાં ત્રણ હાલના જિ.પં.ની સમિતિઓના ચેરમેનો છે.
સૌરાષ્ટ્રમાં દરેક ચૂંટણીની જાણે પક્ષપલ્ટુઓ રાહ જોતા હોય (સોદાબાજી માટે?) તેમ કાર્યકરો પ્રચારમાં જોડાય તે પહેલા પક્ષપલ્ટુઓ તક મળતા પલ્ટી મારવાનું શરુ કરી દેતા હોય છે. તાજેતરમાં માણાવદરના અને તે પહેલા જસદણના ધારાસભ્ય તરીકે કોંગ્રેસે આપેલી ટિકીટ પર ચૂંટાયેલા નેતાઓએ પક્ષ બદલીને સીધુ મંત્રીપદ મેળવ્યું હતું અને હવે નાના-મોટા કાર્યકરો પોતાની નિષ્ઠા-વફાદારી પહેલા એક પક્ષ પ્રતિ હતી તે બદલાવીને બીજા પક્ષ સાથે જોડી રહ્યા છે. તેમના ટેકેદારો કે કાર્યકરો આટલી ઝડપથી બદલાઈ શકે છે કે કેમ તે સવાલ છે.
રાજકોટમાં ભાજપના સંમેલનમાં એક વક્તાએ બધુ ભુલી જઈને કામે લાગી જવા કાર્યકર્તાઓને અપીલ કરી. જો કે કાર્યકરોએ ઘણુ બધુ ભુલવું પડે તેમ છે, કુંડારિયા સામેનો આંતરિક વિરોધ, નિષ્ક્રીયતા, શહેરમાં કાર્યાલય પણ ન ખોલવું (અગાઉ કાર્યાલયને તાળાબંધી સર્વવિદિત છે) , ઉપરાંત બાવળિયાને હરાવવા પૂરા જોશથી માથાકૂટો કરીને, મગજ દોડાવીને કરેલી મહેનત ,જિ.પં.પૂર્વ પ્રમુખ વગેરેએ મોદી-રૂપાણી સરકારની કરેલી ટીકા, એમ ઘણુ બધ્ધુ ભુલવું પડે તેમ છે.
એક સમયે એવા નેતાઓ હતા જેમની નિષ્ઠા આજીવન ડગતી નહીં, હવે નેતાઆ છાશવારે પક્ષપલ્ટા કરે છે. જો કે મતદારો પર તેની કેટલી, કેવી અસર થશે તે માટે સમયની રાહ જોવી પડશે પણ ઘડીક કોંગ્રેસ માટે અને ઘડીક ભાજપ માટે જે માટે મત માગે તે માટે મતદારો મતો ખોબલે ખોબલે આપી દે છે કે કેમ તે પણ ચૂંટણી પરિણામ નક્કી કરશે.


