પરિણીતાની ઘરમાંથી લાશ મળી હત્યા કે આપઘાત, પોલીસ ચકરાવે
- રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાંથી
રાજકોટ, તા. 29 જુલાઈ, 2020, બુધવાર
શહેરનાં ભગવતીપરા મેઈન રોડ પરની નંદનવન સોસાયટી-૨માં રહેતી મૂળ મધ્યપ્રદેશની શારદાદેવી બલરામ ઠાકુર (૩૫) ની આજે બપોરે તેનાં ઘરમાંથી લાશ મળી આવી હતી. બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે સમજવા જતા ખૂદ પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. આ સ્થિતિમાં પોલીસ હવે આવતીકાલે થનારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમનાં રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેનાં પછી જ શારદાદેવીને કોઈએ ગળેટૂંપો આપ્યો કે જાતે જ ગળાફાંસો ખાઈ લીધો તે સ્પષ્ટ થશે.
જો આપઘાત કર્યો હોય તો છત પરથી લાશ કોણે ઉતારી, પતિ કેમ તેનો મોબાઈલ સાથે લઈ ગયો તે સહિતનાં સવાલોનાં જવાબો અનુત્તર
શારદાદેવીના લગ્નને ૧૫ વર્ષ થઈ ગયા છે. તેની સાથે તેનો ભાઈ રાજુ પણ રહે છે. રાજુ અને તેનો પતિ મજૂરી કરે છે. આજે સવારે આઠેક વાગ્યે બંને કામની તલાશમાં ઘરેથી નીકળી ગયા હહતા. થોડે દૂર પહોંચ્યા બાદ બંને અલગ-અલગ થઈ પોત-પોતાનાં કામના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. પાછળથી શારદાદેવીનું તેનાં ઘરમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.
બપોરે ઘણાં સમય સુધી કોઈએ દરવાજો નહીં ખોલતા પાડોશીઓએ અંદર જઈ જોતાં શારદાદેવીની લાશ પલંગ પરથી મળી આવી હતી. તેનાં ગળા પર નિશાન હતા. જો તેણે ગળાફાંસો ખાધો હોય તો પછી તેની લાશ કોણે ઉતારી પલંગ પર મૂકી તેવો સવાલ ત્યાં ૧૦૮ બાદ પહોંચેલી બી-ડિવિઝન પોલીસને થયો હતો.
લાશ મળ્યાના થોડા સમય બાદ શારદાદેવીનો ભાઈ રાજુ ત્યાં પહોંચી ગયો હતો.તેની થોડીવાર પછી તેનો પતિ બલરામ આવી પહોંચ્યો અને પત્નીની લાશ જોઈ ભાંગી પડયો હતો. મેરી બીવી કો કિસને મારા તેમ કહી ધુ્રસ્કે-ધુ્રસ્કે રડી પડયો હતો.
સ્થળ પર જરૃરી કાર્યવાહી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. હવે આવતીકાલે પોસ્ટમોર્ટમ થશે ત્યારે જ શારદાદેવીની ગળેટૂંકો દઈ હત્યા કરાઈ કે પછી તેણે જાતે ગળાફાંસો ખાઈ લીધો તે સ્પષ્ટ થશે.
જો કે પોલીસને બનાવ શંકાસ્પદ લાગે છે, તેનાં ઘણાં કારણો પણ છે. જો શારદાદેવીએ જાતે ગળાફાંસો ખાધો હોય તો તેની લાશ ઉતારી પલંગ પર કોણે મૂકી, વળી તેણે ગળાફાંસો ખાધો હોય તેવા કોઈ ચિન્હો પણ સ્થળ પરથી મળ્યા નથી. એક લુંગી માત્ર મળી છે તે પણ ક્યાંય લટકતી હાલતમાં નહીં પરંતુ પલંગ પરથી મળી છે.
એટલું જ નહીં શારદાદેવીનો પતિ આજે પોતાની સાથે પત્નીનો મોબાઈલ ફોન પણ કેમ સાથે લઈ ગયો તેનો જવાબ હજુ પોલીસને મળ્યો નથી.
આ સ્થિતિમાં તે સાળા સાથે કામ પર ગયા બાદ પરત આવી પત્નીની હત્યા કરી ભાગી ગયો કે કેમ તે શક્યતા પણ પોલીસ ચકાસી રહી છે. આ માટે તેની અને તેનાં સાળા રાજુની પોલીસે પૂછપરછ જારી રાખી છે. આ ઉપરાંત ત્રણેયનાં મોબાઈલની કોલ ડિટેઈલ અને ટાવર લોકેશન પણ પોલીસે મંગાવ્યા છે. આવતીકાલ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે તેમ પોલીસનું કહેવું છે.
જો શારદાદેવીનાં પતિએ જ હત્યા કરી હોય તો પછી તે ભાગી જવાને બદલે કેમ ઘરે પરત આવ્યો. શારદાદેવીને ૧૫ વર્ષમાં દામ્પત્યજીવન પછી પણ સંતાન પ્રાપ્તી થઈ ન હતી. તેના આપઘાત પાછળ આ કારણ હોઈ શકે પરંતુ આપઘાત કર્યો હોય તેવા પુરાવા કેમ નથી તે સહિતનાં સવાલો પોલીસને પણ મુંઝવી રહ્યા છે.